જે પ્રમાણે કાદવમાં જ કમળ ઊગે છે તેમ હિરણ્યકશિપુને ત્યાં પ્રહ્લાદ જેવા ભક્ત અને દેવવૃત્તિ ધરાવતા પુત્રનો જન્મ થયો. પ્રહ્લાદ જ્યારે માતાના ગર્ભમાં રહ્યા હતા જ્યાં ગર્ભમાં જ તેના સંસ્કારોનું સિંચન થવા લાગ્યું. પ્રહ્લાદ ભગવદ્ ભક્તિથી પૂર્ણ હતો. પ્રહ્લાદનો ઈશ્વરવાદ જો રાજ્યમાં સર્વત્ર ફેલાઈ જશે તો કોઈ તેને ભગવાન નહીં માને એમ વિચારી તેણે પ્રહ્લાદને સામ, દામ, અને દંડ દ્વારા પ્રભુભક્તિ છોડવા અને પોતાને ભગવાન માનવા ઘણું સમજાવ્યો છતાં પણ પ્રહ્લાદમાં લેશમાત્ર પરિવર્તન ન આવ્યું. તેણે પ્રભુભક્તિને ન ત્યજી.
છેવટે હિરણ્યકશિપે તેને મારવાના અનેક પ્રયત્નો કર્યા, પરંતુ તે બધા જ પ્રયત્નો નાકામ રહ્યા, તેથી હિરણ્યકશિપની બહેન હોલિકાએ પોતાના ભાઈને એક ઉપાય બતાવ્યો. પ્રહ્લાદને અગ્નિમાં બાળી નાખવાનો. હોલિકાને વરદાન હતું કે જો તે સદ્વૃત્તિના મનુષ્યને પરેશાન નહીં કરે તો અગ્નિ તેને બાળી શકશે નહીં. લાકડાં, છાણાં વગેરેમાંથી બનાવેલ પ્રહ્લાદની મૃત્યુશય્યા પર હોલિકા તેને ખોળામાં લઈને બેસી ગઈ અને ચારે બાજુ આગ લગાવવામાં આવી.
ઈશ્વરની ઈચ્છા વગર પાંદડુંય ફરકી શકે ખરું? પરિણામ એ આવ્યું કે ઈશ્વરભક્ત પ્રહ્લાદને કોઈ વરદાન ન હોવા છતાં પણ અગ્નિ ન બાળી શક્યો જ્યારે વરદાન મેળવેલ હોલિકા એ જ અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગઈ. હોલિકાને અગ્નિએ બાળી એનું કારણ પણ હતું કે હોલિકાની ભક્તિ નિષ્કામ નહીં, પરંતુ સકામ ભક્તિ હતી. સકામ ભક્તિથી મેળવેલું કોઈ પણ વરદાન સાર્થક થતું નથી. જ્યારે ઈશ્વરની નિષ્કામ ભક્તિ કરનારો અને સદ્વૃત્તિ ધરાવતો ભક્ત પ્રહ્લાદ હસતો-રમતો બહાર આવ્યો. જ્યારે વ્યક્તિ પ્રભુનિષ્ઠ, તપસ્વી કે પ્રભુ ભક્તિમાં ક્રિયાશીલ હોય તો કોઈ પણ ખરાબ શક્તિ કે વૃત્તિ તેને સ્પર્શ પણ કરી શકતી નથી એવો સંદેશ આપણને હોલિકાદહન દ્વારા મળે છે.
હોલિકાદહનથી ખુશ થયેલા લોકોએ ઉત્સવ મનાવ્યો. આનંદના વાતાવરણમાં રત બનેલા લોકોએ એકબીજા પર રંગ-ગુલાલ ઉડાડવાનું શરૂ કર્યું તો કોઈકે ધૂળ ઉડાડવાનું શરૂ કર્યું અને તેમાંથી જ ધુળેટીનું સર્જન થયું.
પૌરાણિક માન્યતા અને હોલિકા ઉત્સવ
પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે ભગવાન શંકરે પોતાના ક્રોધાગ્નિથી કામદેવને ભસ્મ કરી દીધા હતા, ત્યારથી તેનું પ્રચલન શરૂ થયું એમ કહેવાય છે. સૌથી પ્રચલિત માન્યતા અને કથા ભક્ત પ્રહ્લાદ અને હોલિકા સાથે સંબંધિત છે.
બીજી એક એવી કિંવદંતી પણ સાંભળવા મળે છે કે રાક્ષસી ઢુંઢા નગરમાં બાળકોને ડરાવતી રહેતી હતી અને તેમને મારી નાખતી હતી. એક દિવસ વ્રજના ગોવાળિયાઓએ તેને પકડી લીધી. તેનાં કુકર્મોની સજા આપવા માટે મારતાં મારતાં બહાર લઈ ગયાં. ત્યાં લાકડાં, છાણાં, ઘાસનો ઢગલો કરીને તેમાં આગ લગાવી દીધી અને ઢુંઢાને તેમાં નાખતાં તે બળીને રાખ થઈ ગઈ.
આ દિવસે આમ્રમંજરી (આંબાનો મોર) અને ચંદનને ભેળવીને ખાવાનું ઘણું મહત્ત્વ છે. એવું કહેવામાં આવે છે કે ફાગણની પૂનમના દિવસે જે લોકો ચિત્તને એકાગ્ર કરીને હીંચકામાં ઝૂલતાં ઝૂલતાં ભગવાન વિષ્ણુનાં દર્શન કરે છે. તેમને અવશ્ય વૈકુંઠ પ્રાપ્ત થાય છે.
ભવિષ્ય પુરાણ અનુસાર નારદજીએ મહારાજ યુધિષ્ઠિરને કહ્યું કે, `હે રાજન! ફાગણ પૂર્ણિમાના દિવસે બધા જ લોકોને અભયદાન આપવું જોઈએ, જેથી બધી જ પ્રજા ઉલ્લાસપૂર્વક રહે અને વિવિધ પ્રકારની ક્રિયાઓ કરે. હોળીનું વિધિવત્ પૂજન કરે અને એકબીજા સાથે અટ્ટહાસ્ય કરતાં આ તહેવારની ઉજવણી કરે.’ આ દિવસે અટ્ટહાસ્ય (મજાક-મસ્તી) કરવાથી, કિલકારીઓ કરવાથી તથા મંત્રોચ્ચાર કરવાથી ખરાબ આત્મા ને રાક્ષસોનો નાશ થાય છે. હોલિકાદહન અધર્મ પર ધર્મના વિજયના પ્રતીકરૂપ કરવામાં આવે છે. આથી આ તહેવારને પ્રેમ અને ભાઈચારાથી મનાવવામાં આવે તો સમાજમાં વ્યાપ્ત તમામ પ્રકારનાં અનિષ્ટ દૂર થઈ જાય છે.
હોળીનું સામાજિક મહત્ત્વ
ફાગણમાં ફસલ પાકીને તૈયાર થઈ જાય છે, જેથી ઘરમાં ધન-ધાન્યના આગમનનો આનંદ દરેક પર છવાયેલો રહે છે, તેથી આ ઉત્સવ ધૂમધામથી મનાવવામાં આવે છે.
દરેક રંગની પોતાની ખાસિયત હોય છે અને તે જીવનના જુદા-જુદા ભાવોને દર્શાવે છે. સફેદ રંગ શાંતિનો, લીલો રંગ ખુશીનો, લાલ રંગ શક્તિનો આભાસ કરાવે છે. રંગનું બીજું મહત્ત્વ એ છે કે તે મનુષ્ય જીવનમાં પ્રેમ અને મીઠાશ પ્રસરાવે છે. રંગો વગર જીવન નીરસ થઈ જાય છે, તેથી જીવન નીરસ ન બની જાય તે માટે આ રંગોત્સવ ઊજવવામાં આવે છે.
આખું વર્ષ શરીર સ્વસ્થ રહે તે માટે લોકો હોળીની ઝાળ પાસે ઊભા રહી તેની ગરમી લે છે. આ દિવસે ખવાતાં ધાણી, ચણા, મમરા, ખજૂર કફનાશક હોવાથી તે ખાવા પાછળનો એક આશય તે પણ રહેલો છે.
વાતાવરણની અસર મનુષ્યના મન-મગજ પર થતી હોય છે. ઉત્તરાયણ પછી જ્યારે મોટો તહેવાર હોળી આવે છે ત્યારે વસંત પોતાના યૌવન પર હોય છે. બધાં જ વૃક્ષ-છોડ પર વિભિન્ન રંગોનાં પુષ્પ ખીલી ઊઠે છે. આમ, ઝાડ, છોડ પર નવયૌવન છવાઈ જાય છે. પાનખરમાંથી મુક્ત થઈને નવી કુંપળોથી ઝાડ, છોડ ઉત્સાહિત થઈ જાય છે. સમગ્ર વાતાવરણ આ પુષ્પોથી આહ્લાદક લાગે છે અને મનુષ્ય મન આનંદથી ઝૂમી ઊઠે છે. કેસૂડાનાં ફૂલોમાંથી રંગ બનાવીને લોકો એકબીજા પર છાંટીને આ ઉત્સવ મનાવે છે.
હોલિકાનું દહન અને પૂજન
ફાગણ સુદ આઠમના દિવસથી પૂર્ણિમા સુધીના આઠ દિવસ હોળાષ્ટક મનાવવામાં આવે છે. તેની સાથે જ હોળી ઉત્સવ ઊજવવાની શરૂઆત થાય છે. હોલિકાદહનની તૈયારીનો પણ ત્યારથી જ આરંભ થાય છે. હોલિકાનું દહન અને પૂજન કેટલીક બાબતોનું ધ્યાન રાખીને કરવામાં આવે છે.
હોળાષ્ટકના છેલ્લા દિવસે એટલે કે ફાગણ સુદ પૂનમના દિવસે રાત્રે ઘાસ-પૂરા, લાકડાં, છાણાંથી એક ઢગલો કરવામાં આવે છે. તે ઢગલાને હોલિકા કહેવામાં આવે છે. હોલિકાનું મુહૂર્ત અનુસાર પૂજન કરવામાં આવે છે.
અલગ-અલગ સમાજ અને ક્ષેત્રની અલગ-અલગ પૂજનવિધિ હોય છે. આથી હોલિકાનું પૂજન પોતાની પારંપારિક પદ્ધતિ અનુસાર કરવું જોઈએ. હોળીનું પૂજન ધાણી, નાળિયેર, આઠ પૂરીઓમાંથી બનાવવામાં આવેલી અઠાવરી તથા હોળીના દિવસ માટે બનાવવામાં આવેલા મિષ્ટાન્નથી કરવામાં આવે છે.
પૂજા કર્યા પછી હોલિકાનું દહન કરવામાં આવે છે. આ પૂજન હંમેશાં ત્યારે જ કરવું જોઈએ જ્યારે ભદ્રા લગ્ન ન હોય. એવું માનવામાં આવે છે કે ભદ્રા લગ્નમાં હોલિકાનું દહન કરવાથી અશુભ પરિણામ મળે છે. આ જ પ્રમાણે ચોથ, એકમના દિવસે હોલિકાનું દહન ન કરવાનું વિધાન છે.
હોળીની રાખને હોળીભસ્મ કહેવામાં આવે છે. તેને શરીર પર લગાવવી જોઈએ. એવી પણ માન્યતા છે કે હોળીની ગરમ રાખને ઘરમાં રાખવાથી તે સમૃદ્ધિ લાવે છે. સાથે આવું કરવાથી ઘરમાં શાંતિ અને પ્રેમના વાતાવરણનું સર્જન થાય છે.
નવવધૂને હોલિકાના દહનથી દૂર રાખવી જોઈએ, કારણ કે હોલિકાદહન (મૃત સંવત્સર)નું પ્રતીક છે. આથી નવવિવાહિતા મૃતને સળગતા જુએ તે અશુભ માનવામાં આવે છે.
આપણા મોટાભાગના તહેવારો કૃષિચક્રને ધ્યાનમાં રાખી બન્યા છે. હોળી આવે ત્યારે ખેડૂતો શિયાળુ પાકમાંથી પરવારી ચૂક્યા હોય છે. નવી સીઝનની શરૂઆત કરતાં પહેલાં એક નાનકડા બ્રેકની જરૂર હોય છે. એ બ્રેક કે વેકેશન એટલે હોળીની ઉજવણી. રંગના આ તહેવારમાં સૌ રંગીન થઈ ફરી એક વખત કામે ચડવા તૈયાર થાય છે. હોળીની ઝાળ (અગ્નિશિખા) કઈ દિશામાં જાય છે, તેના આધારે વર્ષ કેવું રહેશે એ પણ ખેડૂતો નક્કી કરતા હોય છે. એ રીતે હોળી એ નવી શરૂઆતનું તેનું પ્રતીક પણ કહી શકાય.
અંબાજીમાં હોળી પ્રગટે એ જ મુહૂર્ત
જૂનાગઢ પંથકમાં હોળી પ્રાગટ્યનું મુહૂર્ત જરા અલગ રીતે નક્કી થાય છે. ચારેક હજાર ફીટ ઊંચાઈ પર આવેલા અંબાજી મંદિર પાસે હોળી પ્રગટે છે. ઊંચાઈ પર હોવાના કારણે દૂર દૂર સુધી એ હોળીની જ્વાળા દેખાય છે. આજુબાજુના વિસ્તારો મુહૂર્ત માટે એ જ સમયનો ઉપયોગ કરે છે. મતલબ કે પોતે પણ અંબાજીમાં હોળી પ્રગટે પછી જ હોળી પ્રગટાવે. એ મુહૂર્ત કરતાં ઉત્તમ મુહૂર્ત બીજું કયું હોઈ શકે!
હોળીની જ્વાળા અને વરસાદની આગાહી
હોળીની જ્વાળા કઈ દિશામાં પ્રસરે છે તેના આધારે આગામી ચોમાસાની આગાહી કરવાનું લોકવિજ્ઞાન પ્રચલિત છે. સાધારણ રીતે ફાગણ મહિનાના સમયગાળા દરમિયાન સમી સાંજે પવનની દિશા ઉત્તર તરફની હોય છે, પરંતુ જો હોળીના દિવસે પવનની દિશા ઉત્તર-પૂર્વ તરફની હોય તો વરસાદ સારો, સ્થિર અને મંદ જ્વાળાઓ હોય તો વરસાદ મધ્યમ અને ગોળ ઘૂમરાતી તોફાની જ્વાળાઓ હોય તો અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તેવી લોકમાન્યતા છે.
ભાણિયા માટે પહેલી હોળી મામાની કાખમાં
સૌરાષ્ટ્રમાં એક માન્યતા પ્રમાણે બાળકનો જન્મ થાય તો પહેલી હોળી તેના મામા સાથે જ કરવામાં આવે છે. એ રિવાજ પ્રમાણે મામા ભાણિયાને કાખમાં લઈને હોળી ફરતે પરિક્રમા કરાવે છે.