આપણા યુગના સૌ પ્રથમ સંન્યાસી-શ્રમણ તરીકે જેમનું નામ નોંધાયું છે એવા ઋષભદેવ ભગવાને ફાગણ વદ 7ના દિવસે સંયમ જીવનનો સ્વીકાર કરેલો. એમણે જ્યારે સંયમ ગ્રહણ કરેલું એની પહેલાં સમગ્ર આર્યાવર્તમાં કોઈ સાધુ-સંન્યાસી ન હતા. એટલે એમની દિનચર્યાનો કોઈને બોધ નહોતો. એ તો બરાબર પણ એ આપણા ઘેર આવે તો આપણે એમને કેવી રીતે આહાર અર્પણ કરવો એની પણ કોઈ પદ્ધતિ કોઈને ખબર ન હતી.
ભગવાને દીક્ષા લીધી એ પહેલાં આ વિષયની કોઈની સાથે ચર્ચા વિચારણા પણ કરેલી નહીં. ભગવાને સંયમ જીવનનો પ્રારંભ કરતા પહેલા દિવસે તો બે ઉપવાસની પ્રતિજ્ઞા કરેલી. ત્રીજા દિવસે ભગવાન આહાર ગ્રહણ કરવા માટે ગામ-નગરમાં જાય. બધા અહોભાવથી એમની પાસે જાય. એમને આગ્રહ કરી કરીને સોના-રૂપાના થાળ લાવીને આપવાનો આગ્રહ કરે. ભગવાન જે દિવસે દીક્ષા-સંયમનો સ્વીકાર કરે એ દિવસથી મૌન હોય. કોઈની પણ સાથે એક અક્ષરની વાત કરવાની નહીં, એમાં પણ પોતાના માટે તો કંઈ પણ બોલે જ નહીં.
રોજનો એમનો આ ક્રમ છે. રોજ આહાર ગ્રહણ કરવાનો સમય થાય ત્યારે મધ્યાહ્નના સમયે પોતાના આશ્રમ સ્થાનથી નીકળે. નગરની વસ્તીની દિશામાં આગળ વધે. એક એક કરતાં પાંચ-સાત કે દસ ઘરોમાં જાય. લોકો ભેગા થઈ જાય. પરમાત્માનાં દર્શન કરીને પોતાની જાતને ધન્ય માનતા હોય, પણ કોઈને એ વિચાર પણ ન આવે કે આ તો શ્રમણ છે. એમને તો એમને કલ્પે એવો જ આહાર આહાર તરીકે આપવાનો હોય અને આહાર સિવાય તો એમને કંઈ જરૂર પણ ન હોય, પણ આવી તો એમને ખબર પણ ન પડતી હોય.
ભગવાનનો પણ આ નિત્યનો ક્રમ. પાછા એક જ સ્થાને રહ્યા હોય એવું પણ ન હોય. આમ ને આમ ચારસો દિવસ પસાર થઈ ગયા, પણ એ દરમિયાન કોઈને એવો વિચાર પણ ન આવ્યો કે લાવોને એકાદ રોટલી કે કોઈ ફળ સમારેલાં હોય તો એવું કંઈક કે પછી કોઈ પણ ઘરમાં બનાવેલા મોદક આપીએ. આવા કોઈ વિચારો જ ના આવ્યા અને ભગવાન પણ રોજ આહાર ગ્રહણ કર્યા વગર જ પોતાના સ્થાનમાં પહોંચે અને આગળની સાધના ચાલુ થઈ જાય. આપણે કલ્પના કરી શકીએ કે ચારસો દિવસના ઉપવાસ કર્યા પછી માણસ સહજતાથી વર્તન કરે! પણ આ તો ભગવાન હતાને! એમના મનના ભાવોમાં કોઈ અસર જોવા ન મળે. પેલો શ્રેયાંસકુમાર ભગવાનનો સંસારી અવસ્થાનો પૌત્ર હસ્તિનાપુર નગરનો રાજકુમાર. પોતાના મહેલના ગવાક્ષમાં ઊભા ઊભા નગરની શોભા જોઈ રહ્યા હતા, એ સમયે એમણે આ દૃશ્ય જોયું. આગળ ભગવાન ચાલતા હતા અને પાછળ સેંકડો માણસો ચાલી રહ્યા હતા. એ માણસો કંઈક કહી રહ્યા હતા, પણ અવાજ સ્પષ્ટ થતો ન હતો, પણ એણે આ વાત તો સાંભળેલી કે ભગવાન આવે છે અને કંઈ પણ લીધા વગર પાછા જાય છે.
શ્રેયાંસને એ સમયે અચાનક શું થયું એ બેહોશ થઈ ગયો. શીતોપચાર કરવાથી થોડીવારમાં એ સ્વસ્થ થયો. એક ગ્લાસ પાણી પીને એ દોડ્યો. ભગવાનની પાસે પહોંચ્યો અને વિનંતી કરી ભગવાન પધારો મારા ઘરે મને આહારનો લાભ આપો.
ભગવાન તરત જ એના ઘરે ગયા. એ જ સમયે ઈક્ષુરસ-શેરડીના રસના એકસો આઠ ઘડા આવેલા હતા. ભગવાનને વિનંતી કરી. ભગવાને એની વિનંતીનો સ્વીકાર કર્યો.
હાથમાં જ ઈક્ષુરસ ત્યાં ને ત્યાં ઊભા ઊભા ગ્રહણ કર્યો. આ રીતે ભગવાને ચારસો ઉપવાસ-વરસી તપનું પારણું અક્ષય તૃતીયાના દિવસે કર્યું. નગરજનો રાજી રાજી થઈ ગયા.
બધા પૂછે છે તમને આ બધી ખબર કેવી રીતે પડી? શ્રેયાંસ કહે છે આ ભગવાનની સાથે મારો છેલ્લા નવ ભવોનો સંબંધ છે. આવા સાધુ મહાત્માને આ રીતે ભોજન અર્પણ કરવાથી બહુ મોટો લાભ મળે છે.