- સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ દ્વિશતાબ્દી મહોત્સવમાં લાભ લેવા રૂબરૂ આમંત્રણ આપ્યું
- ઋષિ સુનકને સારંગપુર મંદિરના સંતોએ હનુમાનજીની પ્રતિમા અર્પણ કરી
- ઋષિ સુનકે કહ્યું, હનુમાન ચાલીસા પાઠ કરતી વખતે આ મૂર્તિ મારી સામે રાખીશ
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામના 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે દેશ-વિદેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડતાલના વર્તમાન ગાદીપતિ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી, મુખ્ય કોઠારીશ્રી ડૉ. સંત સ્વામી, ચેરમેન દેવસ્વામી, પૂ. માધવપ્રિય સ્વામી, પૂ. નિત્યસ્વરૂપ સ્વામી, વગેરે સંતો અમેરિકા લંડન જેવા દેશોમાં વસતા સંપ્રદાયના અનુયાયીઓને રૂબરૂ આમંત્રણ પાઠવી રહ્યા છે.
આજ રોજ કચ્છ સ્વામિનારાયણ મંદિર હેરો મુકામે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉ. સંતસ્વામી અને પૂજ્ય માધવપ્રિય સ્વામી છારોડીએ યુકેના પ્રથમ હિન્દુ વડાપ્રધાન ઋષિ સુનકને શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં લાભ લેવા માટે આમંત્રણ આપ્યુ હતુ.
આ સભા બોબ બ્લેકમેન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લંડનને પ્રથમ હિન્દુ પ્રાઈમ મિનિસ્ટર મળ્યા છે તેનુ ગૌરવ વ્યક્ત કર્યું હતુ. અને કહ્યુ હતુ કે, આ વડાપ્રધાન સતત તમારા સહુ માટે કામ કરે છે. અને અમને એમના માટે ગૌરવ છે.
ઋષિ સુનકે સભામાં પોતાના સ્વાગત સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ભગવાન અને સંતોના આશીવાર્દ મળ્યા. આપ સહુનો સ્નેહ મળ્યો. મારો ઉછેર મંદિરના ઉષ્માભર્યા વાતાવરણમાં થયો છે. મને લાગે છે કે, આપણને સહુને ભગવાન જોઈ રહ્યા છે. આટલું કહીને અંતમાં દેશ-સમાજ અને સમષ્ટિ માટે સતત કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજ ઈંગ્લેન્ડમા વડાપ્રધાન હોવા છતા હિન્દુ હોવાનું ગર્વપૂર્વક જાહેરમાં સ્વીકારતા સુનક યુવકોના પ્રેરક – આઈકોન હોવા જોઈએ. એમ ડૉ. સંત સ્વામીએ જણાવ્યું હતું.
મંદિરના પ્રમુખ સુરેશભાઈ , સેક્રેટરી રીકીનભાઈ અને સેવકોએ તમામ વ્યવસ્થા ગોઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા ગુજરાતીઓ પણ લંડનના કાઉન્સિલમાં મેમ્બર તરીકે સેવાઓ આપી રહ્યા છે. સારંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી સહિત સંતોએ હનુમાનજીની પ્રતિમા અર્પણ કરી હતી. જેનો તેમને સહર્ષ સ્વીકાર કરીને કહ્યુ હતુ કે, હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આ મૂર્તિ મારી સામે રાખીશ.


