RMCનું એડવાન્સ હાઇટેક આયોજન, વધુ ૧૦૦ ઇલેક્ટ્રિક બસ ચાર્જી સ્ટેશન બનશે
હાલ ૧૫૦ ઇ-બસના ચાર્જીગ માટે બે સ્ટેશન છે કાર્યરત, ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખી કુલ ૨૫૦ બસના ચાર્જીંગ સ્ટેશન માટે ટેન્ડર પ્રસિધ્ધ
રૂ.૨૫ કરોડનો પ્રોજેક્ટ, પ્રજાપતિ ચોક પાસે ૨૦૦૯ સ્કવેર મીટરના વિશાળ પ્લોટમાં બનશે હાઇટેક સ્ટેશન
એકસાથે ૧૦૦ બસ ચાર્જીંગમાં મુકી શકાય તેવી ટેકનોલોજી સાથે સ્ટેશન બનશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણમુક્ત પરિવહન સેવાને વેગ આપવા માટે મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં ઇલેક્ટ્રિક સિટીબસની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને શહેરના પ્રજાપતિ ચોક પાસે રૂ. 25 કરોડના અંદાજિત ખર્ચે નવું અને અત્યાધુનિક ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર રીતે ટેન્ડર જાહેર કરી દેવામાં આવ્યા છે. આ નવું સ્ટેશન તૈયાર થવાથી શહેરમાં ચાલતી ઇલેક્ટ્રિક બસોના સંચાલનમાં મોટી રાહત થશે. આ સાથે જ જાહેર પરિવહન સેવા વધુ ઝડપી બનશે.
મનપા દ્વારા આ ચાર્જિંગ સ્ટેશન માટે પ્રજાપતિ ચોક પાસે 20092 સ્કવેર મીટરનો વિશાળ પ્લોટ ફાળવવામાં આવ્યો છે. આ સ્ટેશનની વિશેષતા એ હશે કે, તેમાં એકસાથે 100 સિટીબસ ચાર્જ થઈ શકે એવી ક્ષમતા વિકસાવવામાં આવશે. હાલમાં રાજકોટમાં અમૂલ સર્કલ પાસે એક ચાર્જિંગ સ્ટેશન અને અટલ સરોવર નજીક એક ચાર્જિંગ સ્ટેશન કાર્યરત છે. આ બંનેની મળીને કુલ ક્ષમતા 150 બસ ચાર્જ કરવાની છે. હાલ શહેરમાં 150 ઇલેક્ટ્રિક અને 100 CNG બસો સેવામાં રાખવામાં આવી છે પરંતુ, ભવિષ્યમાં ઇલેક્ટ્રિક સિટીબસની સંખ્યા વધવાની છે.
જેને ધ્યાનમાં રાખીને અત્યારથી જ નવા ચાર્જીગ સ્ટેશનના નિર્માણની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ સ્ટેશન બન્યા બાદ 150 બસોને ચાર્જ કરવા માટે 250ની કેપેસિટીનાં 3 ચાર્જીગ સ્ટેશન થતા લાંબો સમય રાહ જોવી પડશે નહીં અને બસોનું સંચાલન વધુ ઝડપી બનશે.
18 મહિનામાં ચાર્જિંગ સ્ટેશન ઊભું કરી દેવાનું લક્ષ્યાંક
પ્રોજેક્ટના આર્થિક પાસાંની વાત કરીએ તો, આમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો મોટો ફાળો રહેલો છે. કુલ ખર્ચના 60% રકમ કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ પેટે આપવામાં આવશે, જ્યારે 20% રકમ રાજ્ય સરકાર અને બાકીની 20% રકમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભોગવવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવશે અને ત્યાંથી 18 મહિનાના નિર્ધારિત સમયગાળામાં આ ચાર્જિંગ સ્ટેશન ઊભું કરી દેવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
હાઈ-વોલ્ટેજ ચાર્જિંગ પોઈન્ટ્સ અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે નવા ચાર્જિંગ સ્ટેશનના નિર્માણથી માત્ર મનપાને જ નહીં, પરંતુ રાજકોટના હજારો નાગરિકોને પણ સીધો ફાયદો થશે. હાલમાં ચાર્જિંગની મર્યાદિત સુવિધાને કારણે ઘણીવાર રૂટ પર બસોની સંખ્યા મર્યાદિત રાખવી પડે છે અથવા ચાર્જિંગ માટે બસોને લાંબો સમય ડેપોમાં ઉભી રાખવી પડે છે. હવે ઝડપી ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ થતાં સિટીબસના રૂટની સંખ્યામાં વધારો કરી શકાશે, જેનાથી મુસાફરોને બસની રાહ જોવામાંથી મુક્તિ મળશે.


