ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ ટી દિલીપનું ભારતીય ટીમમાં વાપસી હવે પુષ્ટિ થઈ ગઈ છે. તેમનો પાછલો કોન્ટ્રાક્ટ માર્ચ 2025 માં સમાપ્ત થઈ ગયો હતો અને એવા અહેવાલો હતા કે બોર્ડ તેનો કોન્ટ્રાક્ટ લંબાવવા માંગતો ન હતો.
પરંતુ હવે એક નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અનુભવી ખેલાડી રોહિત શર્માના વ્યક્તિગત સમર્થને પણ ભારતીય ટીમમાં તેમની વાપસીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ રોહિતે પોતે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને બોર્ડ અધિકારીઓને દિલીપને ફરીથી ટીમમાં સામેલ કરવા વિનંતી કરી હતી, ત્યારબાદ તેને એક વર્ષનો નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. રોહિત હવે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે, તેમ છતાં ટીમમાં તેના પ્રભાવ અને યોગદાનને અવગણી શકાય નહીં.
બોર્ડે બદલ્યો પોતાનો વિચાર
તેના સિવાય BCCIએ ગયા મહિને બેટિંગ કોચ અભિષેક નાયર અને કેટલાક અન્ય સપોર્ટ સ્ટાફને પણ દૂર કરવાની યોજના બનાવી હતી. પરંતુ હવે બોર્ડે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. ગૌતમ ગંભીરના નેતૃત્વમાં સપોર્ટ સ્ટાફને સ્લિમ અને ચુસ્ત બનાવવાની રણનીતિના ભાગ રૂપે BCCI દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.
ડ્રેસિંગ રૂમમાં દિલીપનું યોગદાન અને સન્માન
ટી દિલીપ તેમના વ્યક્તિગત તાલીમ અભિગમ અને ફિલ્ડિંગ ડ્રીલ માટે જાણીતા છે. તેમના કાર્યકાળ દરમિયાન, ભારતની સ્લિપ ફિલ્ડિંગમાં જબરદસ્ત સુધારો જોવા મળ્યો છે, જેની ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. તેમને 2023 ODI વર્લ્ડકપ અને 2024 T20 વર્લ્ડકપ દરમિયાન ‘બેસ્ટ ફિલ્ડર ઓફ ધ મેચ’ ની અનોખી પરંપરા પણ શરૂ કરી, જેનાથી ખેલાડીઓમાં સ્પર્ધા અને ઉત્સાહ વધ્યો.
મીડિયા સાથે વાત કરતાં એક સૂત્રએ જણાવ્યું હતું કે, “દિલીપ એક સારા કોચ છે જેમણે ત્રણ વર્ષથી ટીમની સારી સેવા કરી છે. તે ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓને ખૂબ નજીકથી જાણે છે. તેથી, મોટી સિરીઝ માટે તેમને ટીમમાં સામેલ કરવા એ ટીમ માટે સારું રહેશે. તેથી, આ સ્તરે નવું નામ લાવવાનો કોઈ અર્થ નથી.


