ભાવમાં ઇતિહાસની સૌથી મોટી અસ્થિરતા જોવા મળતા રોકાણકારોમાં ફફડાટ
ચાંદીમાં રૂ.૬૫૦૦૦, સોનાના ભાવમાં ૨3૦૦૦ની જોરદાર ઉથલ પાથલ
રૂપિયો ગગડીને ૯૧.૯૫ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર કિંમતી ધાતુઓના ભાવમાં ઈતિહાસની સૌથી મોટી અસ્થિરતા નોંધાતા રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે. દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં રૂ. 65,047 અને સોનાના ભાવમાં રૂ. 22,971 જેટલી જોરદાર ઉથલ-પાથલ જોવા મળી છે. આ આંચકાજનક તેજી-મંદીને કારણે બજારમાં ભારે અચોક્કસતાનો માહોલ સર્જાયો હતો, જેમાં ભાવ ગણતરીની મિનિટોમાં જ આસમાને પહોંચીને ફરી પાતાળમાં પટકાયા હતા.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં ઐતિહાસિક કુલ રૂ. 65,047ની ભારે ઉથલ-પાથલ નોંધાઈ હતી. ગુરુવારે રાત્રે 10.00 કલાક સુધીમાં ચાંદીનો ભાવ રૂ.3,94,227 પર ટ્રેડ કરી રહ્યો છે. ચાંદી રૂ. 3,99,000ના સ્તરે ખુલી હતી અને જોતજોતામાં રૂ. 4,20,048ની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી. જોકે, બજારમાં આવેલા તીવ્ર ઘટાડાને કારણે તે રૂ. 3,55,001ના નીચલા સ્તર સુધી પણ પટકાઈ હતી. અગાઉના રૂ. 3,85,366ના બંધ ભાવની સરખામણીએ આજે ચાંદીના બજારમાં રોકાણકારો માટે ભારે જોખમી અને અચોક્કસ માહોલ જોવા મળ્યો હતો.
જ્યારે સોનાના ભાવમાં પણ ભારે અસ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં આખા દિવસ દરમિયાન કિંમતોમાં રૂ. 22,971ની મોટી ઉથલ-પાથલ નોંધાઈ હતી. ગુરુવારે રાત્રે 10.00 કલાક સુધીમાં સોનાનો ભાવ રૂ.1,68,564 પર ટ્રેડ કરી રહ્યો છે. દિવસની શરૂઆતમાં સોનું રૂ. 1,69,882 પર ખુલ્યા બાદ રૂ. 1,80,779ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, જોકે ત્યારબાદ તેમાં ઘટાડો થતા તે રૂ. 1,57,808ના નીચલા સ્તર સુધી પટકાયું હતું. અગાઉના રૂ. 1,65,915ના બંધ ભાવની સરખામણીએ બજારમાં જોવા મળેલી આ તેજી-મંદીની વધઘટે રોકાણકારોની ચિંતા વધારી છે.
ગુરુવારે ભારતીય શેરબજારમાં ભારે અફરાતફરી વચ્ચે ડૉલર સામે રૂપિયો ગગડીને 91.95ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. આર્થિક સર્વેક્ષણ 2026 મુજબ, અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો ન કરવા અને ટ્રમ્પ સરકારની ટેરિફ નીતિઓના કારણે રૂપિયા પર આ નકારાત્મક દબાણ જોવા મળ્યું છે. આ વર્ષે ભારતીય ચલણમાં અત્યાર સુધીમાં 2.5 ટકાનો ઘટાડો નોંધાયો છે, જેની સીધી અસર દેશના આયાત બિલ પર પડી રહી છે. જોકે, નાણાં મંત્રાલયના અહેવાલ મુજબ આ ઘટાડો ભારતની આર્થિક પાયાની સ્થિતિ નબળી હોવાનું સૂચવતો નથી, પરંતુ તે વૈશ્વિક પરિબળો અને કેપિટલ આઉટફ્લોમાં થયેલા અવરોધનું પરિણામ છે.
ભારતે ચાંદીની આયાત વધારી
ભારતની ચાંદીની જરૂરીયાત આયાત પર નિર્ભર છે. મીડિયા રિપોર્ટ મુજબ, ભારતે 2025માં 9.2 બિલિયન ડૉલર(લગભગ 75 હજાર કરોડ રૂપિયાથી વધુ) કિંમતની ચાંદીની આયાત કરી હતી, જે 2024ની તુલનાએ 44 ટકા વધુ છે. આમ ભારત ચાંદીનો સૌથી મોટો આયાતકાર દેશ બની ગયો છે.


