- લોકોના ટોળા વળતા કોર્પોરેશન તંત્ર એકશનમાં
- મનપા તંત્રએ લોકોને ફેક મેસેજ હોવાની આપી માહિતી
- એક જ દિવસમાં 1000થી વધુ લોકો આવી ગયા
વડોદરા મનપામાં સફાઈ કર્મચારીઓની જગ્યાઓ પર ભરતી આવી હોવાની એક ફેક મેસેજના લીધે આજે 1000થી વધુ લોકોનું ટોળું કચેરીએ ધસી આવ્યું હતું અને ફોર્મ મેળવવાની માગણી કરી રહ્યું હતું. જો કે આ ઘટના ફેક હતી અને મનપામાં કોઈ પણ જગ્યા ખાલી ન હોવાની જાણકારી ખુદ તંત્ર દ્વારા આપવામાં આવી. જો કે આ માહિતી મેળવીને ઘણાં લોકો નિરાશ થયા હતા.
મહત્વનું છે કે આજનાં આધુનિક યુગમાં ઘણાં લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ રોજગાર ઈચ્છતા લોકો માટે પણ સોશિયલ મીડિયામાં અનેક ગ્રુપ હોય છે. ત્યારે આજે વડોદરા મનપામાં સફાઈ સેવકની ભરતી માટેનો મેસેજ ફરતો થતા લોકો સફાઈ સેવક બનવા દોડતા થયા હતા. જે બાદ મહાનગર પાલિકાનાં જનસેવા કેન્દ્ર ખાતે લોકો ઉમટી પડ્યા હતા. 300 અરજી સ્વીકાર્યા બાદ ખબર પડી કે સફાઈ સેવકની આવી કોઈ જ ભરતી ન હોવાની જાણ થતા અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તેમજ સોશિયલ મીડિયામાં ફરતો મેસેજ ફેક હોવાનું સામે આવ્યું હતું. આ મામલે મનપા તંત્રએ પણ આવી કોઈ પણ જગ્યા હાલ ન હોવાનું જણાવવા માટે પોસ્ટરો લગાડ્યા હતા.
મહત્વનું છે કે આ મામલે વધુ જાણકારી પ્રમાણે એક વોટ્સએપ ગ્રુપમાં 1200 જેટલા સફાઈ સેવકોની ભરતી કરવાની હોવાની કોઈક ઈસમે અફવા ફેલાવી હતી. જેને લઈ સવારથી જ સફાઈ સેવકોની નોકરી મેળવવા માટે લોકો કોર્પોરેશનમાં ઉમટ્યા હતા. કોઈ અજાણ્યા શખ્સે whatsapp પર તો કોઈએ અરજીની પ્રિન્ટ કાઢી ફરતી કરી હતી. એક જ દિવસમાં અંદાજે 1,000 થી વધુ લોકો કોરા કાગળ પર અરજી કરવા ઉમટ્યા હતા. ઝેરોક્ષની દુકાનો વાળાને પણ અરજી ની ઝેરોક્ષ કાઢવામાં તડાકો થયો હતો અને લોકોના ટોળા વળતાં કોર્પોરેશન તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું.
વડોદરા મહાનગર પાલિકામાં સફાઈ સેવકની ભરતીનાં મેસેજને લઈ રોજગાર વાંચ્છુક હજારો લોકોએ સફાઈ સેવકની ભરતી માટે દોડ લગાવી હતી. હજારોની સંખ્યામાં લોકો નોકરી મેળવવા માટે વડોદરા મહાનગર પાલિકાનાં જનસેવા કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. જે બાદ જનસેવા કચેરી કર્મચારી દ્વારા કબૂલાત કરી હતી કે અધિકારીનાં કહેવાથી અરજી સ્વીકારી છે. વડોદરા મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારીની ભરતીનો ફેક મેસેજ ફરતો થયા બાદ હજારો લોકો મહાનગર પાલિકાનાં જનસેવા કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા. જે બાદ અધિકારીને તેઓની ભૂલનું ભાન થતાં અધિકારીએ બોર્ડ લગાવ્યુ હતું કે આવી કોઈ ભરતી નથી. ત્યારે નોકરી ઈચ્છતા સફાઈ સેવકોને કોણે ગેરમાર્ગે દોર્યા તે સૌથી મોટો સવાલ છે.
વડોદરા સફાઈ સેવકની ભરતી માટેનાં ફોર્મ મામલે વહીવટી ઓફીસર તરૂણ શાહે નિવેદન આપ્યું છે કે, આવી કોઈ ભરતી કોર્પોરેશને હાથ ધરી જ નથી. કોઈએ લોકોને ગેરમાર્ગે દોર્યા છે. તેમજ કોર્પોરેશને આવી કોઈ જાહેરાત કે ફોર્મ બહાર પાડ્યા જ નથી. તેમજ અરજીનાં સ્વરૂપે લોકો આપી રહ્યા છે તે સુવિધા કેન્દ્રમાં સ્વીકારીએ છીએ. અત્યાર સુધીમાં 700 જેટલી અરજી આવી છે. આવી કોઈ પ્રક્રિયા જ નથી માટે સૂચનાઓ લખવામાં આવી છે. લોકોએ ગેરમાર્ગે ના દોરાવવું જોઈએ.


