- રતનપર ખાતે લાખોની સંખ્યામાં ક્ષત્રિયો થશે એકઠા
- DCB, SOG સહિતનો સ્ટાફ પોલીસ રહેશે તૈનાત
- 250થી વધુ અધિકરીઓ જવાનો રહેશે બંદોબસ્તમાં
રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવારા પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી ટિપ્પણી પર ક્ષત્રિય સમાજનું ઉગ્ર રૂપ સામે આવી રહ્યું છે. જેમાં રવિવારે રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે. જેના માટે રાજકોટ પોલીસ પાસેથી મંજૂરી પણ આપવામાં આવી શકે છે. જેના માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.
આવતીકાલે 14 એપ્રિલના રવિવારે સાંજે રાજકોટમાં રતનપર ગામે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું છે. જેમાં રતનપર મંદિર પાસે 30 વીઘાના મેદાનમાં 2 લાખથી વધુ લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે. આ સંમેલનમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર અને મોરબી સહિતના જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો પહોંચવાના છે.
આ માટે કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત અને મહિપાલસિંહ મકરાણા તેમજ રાજ્યના અલગ-અલગ સ્ટેટના રાજવીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યાં છે. જેના માટે પોલીસ દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટ પોલીસ દ્વારા DCB, SOG સહિતનો સ્ટાફ તૈનાત કરવામાં આવશે. તેમજ 250થી વધુ અધિકરીઓ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે.
ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ સ્ટેજનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15 જેટલા લોકોને સ્ટેજ ઉપરથી સ્પીચ આપવાની પરવાનગી આપવામાં આવશે. તેમજ આ સંમેલનમાં રાજ શેખાવત ઉપરાંત મહિપાલસિંહ મકરાણાને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે જ ગામેગામ અને તાલુકા તેમજ શહેરમાંથી ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો ઊમટી પડશે. એ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.


