- રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પર સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલે મૌન તોડ્યુ
- 2004થી 10 વર્ષ કોંગ્રેસના શાસનમાં લોકોએ જોયું છે શું થાય છે
- રાહુલ ગાંધીના નિવેદનથી હિન્દુઓની લાગણી દુભાઈ
રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પર હવે સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલે મૌન તોડ્યુ છે અને નિવેદન આપતા કહ્યું કે રાહુલ ગાંધીની મુલાકાત રાજકીય છે, 2004થી 10 વર્ષ કોંગ્રેસના શાસનમાં લોકોએ જોયું છે શું થાય છે. રાહુલ ગાંધીના નિવેદનથી હિન્દુઓની લાગણી દુભાઈ છે અને તેઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા, ત્યાં સામેથી હુમલો થયો હતો અને ત્યારબાદ વાતાવરણ તંગદિલી ભર્યુ બન્યું હતું.
કોંગ્રેસ શાસનમાં કેવુ રાજ થાય છે તે લોકોએ જોઈ લીધું
તેમને વધુમાં કહ્યું કે ગુજરાતની શાંતિ ડહોળાય નહીં તે સરકાર જુએ છે અને લોકોને આશા છે કે ગુજરાતની સેવા ભાજપ કરી શકશે.કોંગ્રેસ શાસનમાં કેવુ રાજ થાય છે તે લોકોએ જોઈ લીધું છે. ત્યારે આ સાથે જ રાજકોટ અગ્નિકાંડ વિશે સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે દોષિતોને બચાવવાના મૂડમાં સરકાર નથી, તેની તપાસ ચાલી રહી છે અને જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
યજ્ઞેશ દવેએ રાહુલ ગાંધીના નિવેદન પર આપી પ્રતિક્રિયા
ત્યારે હવે રાહુલ ગાંધીના આ નિવેદનની સામે ભાજપના નેતા યજ્ઞેશ દવેએ પ્રહારો કર્યા છે અને કહ્યું કે કોઈની હાર કે જીત વ્યક્તિના હાથમાં નથી, એક સીટ અમે હાર્યા એ ચોક્કસ છે પણ એક સીટથી રાજ્યની કે દેશની હાર-જીત નક્કી કરવી એ અયોગ્ય છે. દેશની જનતાએ ભાજપને પસંદ કર્યો છે, 30 વર્ષથી ભાજપના શાસનને પસંદ કર્યું અને કરશે એ એમને વિશ્વાસ છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાતની 1 સીટ માંડ 30 હજાર વોટથી જીતી છે, તેમની પાસે મેટાડોરમાં ભરીને આવી શકે એટલા પણ ધારાસભ્ય નથી અને જીતવાની વાત કરે છે.
રાહુલ ગાંધીએ ભાજપ પર તીખા પ્રહારો કર્યા
સંબોધન કરતા રાહુલ ગાંધીએ ભાજપ પર તીખા પ્રહારો કર્યા અને કહ્યું કે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ બબ્બર શેર છે. કોંગ્રેસ ગુજરાતમાં જીતશે, ગુજરાતથી જ નવી કોંગ્રેસ બનશે. ભાજપે આપણી ઓફિસ તોડી છે અમે એમની સરકાર તોડીશુ. આ પહેલાની ચૂંટણીમાં અમે ગુજરાતમાં બરાબર નહોતા લડ્યા, કોંગ્રેસમાંથી 50 ટકા લોકો માને છે ગુજરાતમાં કોંગ્રેસ જીતશે. આ 50 ટકા લોકો બાકીનાનો માઈન્ડસેટ બદલી શકે છે અને તમારે ચિંતા કરવાની કોઈ જરૂરી નથી AICCની આખી ટીમ ગુજરાત કોંગ્રેસ સાથે છે. ગુજરાતમાં સાથે મળીને લડીશું અને જીત મેળવીશું. ગુજરાતમાં ભાજપનો ફુગ્ગો ફૂટી ગયો છે, ગુજરાતમાં કોંગ્રેસ પ્રેમથી જીતશે.


