પશ્ચિમી દેશોના પ્રતિબંધો છતાં રશિયા અને ઈરાન નજીક આવી રહ્યા હતા, એક તરફ ઈરાન રશિયાને બેલેસ્ટિક મિસાઈલો આપી રહ્યું હોવાના અહેવાલો આવી રહ્યા હતા તો બીજી તરફ રશિયા ઈરાનને એર ડિફેન્સ સિસ્ટમ આપી રહ્યું હતું. એટલે કે રક્ષા ક્ષેત્રે બન્ને દેશોની મિત્રતા વધી રહી હતી. પરંતુ હવે એક કોરિડોરને કારણે રશિયા અને ઈરાન વચ્ચેની મિત્રતામાં તિરાડ પડી ગઈ છે.
આ તણાવનું કારણ જંગેજુર કોરિડોર છે
રશિયા અને ઈરાન વચ્ચેના તાજેતરના તણાવનું કારણ જંગેજુર કોરિડોર છે, જેને ઈરાનની સરહદ પર સ્થિત વિસ્તારમાં અઝરબૈજાન વિકસાવવા માંગે છે. થોડા દિવસો પહેલા રશિયાએ આ કોરિડોરને લઈને અઝરબૈજાનનું સમર્થન કર્યું હતું, જેના પછી ઈરાન નારાજ છે. આ કોરિડોરનું નિર્માણ ઈરાનની આર્મેનિયા અને ત્યારબાદ યુરોપ સુધી પહોંચવામાં અવરોધ ઊભો કરી શકે છે, જેના કારણે ઈરાન તેનો વિરોધ કરી રહ્યું છે.
પહેલા ઈરાનની સમસ્યાને સમજો
ઈરાન ભૌગોલિક રાજકીય અને આર્થિક બન્ને કારણોસર જંગેજુર કોરિડોરનો વિરોધ કરી રહ્યું છે. આર્મેનિયા સાથે લગભગ 50 કિલોમીટરની સરહદ શેર કરવા વાળા ઈરાન ચિંતિત છે કે આ કોરિડોર આર્મેનિયા અને જ્યોર્જિયા દ્વારા યુરોપમાં તેની પહોંચને કાપી નાખશે. આનાથી ઈરાનના પડોશીઓની સંખ્યા 15થી ઘટીને 14 થઈ જશે, પરંતુ વેપાર માટે એક મહત્વપૂર્ણ માર્ગ પણ બંધ થઈ જશે.
આ કોરિડોર અંગે નિષ્ણાતો શું કહેવું?
નિષ્ણાતો કહે છે કે, ઈરાન કોરિડોરને ભૌગોલિક, આર્થિક અને ઓળખ માટેનો ખતરો માને છે અને આર્મેનિયા સાથેના તેના 2,000 વર્ષના ઐતિહાસિક સંબંધોને કારણે તેની ઉત્તર-પશ્ચિમ સરહદમાં કોઈ ફેરફાર સ્વીકારશે નહીં.
શા માટે કોરિડોર રશિયા માટે મહત્વપૂર્ણ છે?
ઝંગેઝુર પ્રદેશ હાલમાં દક્ષિણ આર્મેનિયાનો ભાગ છે, તે પ્રથમ વિશ્વ યુદ્ધથી વિવાદિત વિસ્તાર રહ્યો છે. અઝરબૈજાન અને આર્મેનિયા બન્ને તેના પર દાવો કરે છે. પરંતુ નવેમ્બર 2020માં અઝરબૈજાન, આર્મેનિયા અને રશિયાના નેતાઓ વચ્ચે ત્રિપક્ષીય કરારમાં કહેવામાં આવ્યું હતું કે આર્મેનિયા, અઝરબૈજાનની મુખ્ય ભૂમિ અને તેની બહારના વિસ્તારો નખચિવન વચ્ચેના કોરિડોર માટે જમીનનો એક ભાગ પ્રદાન કરશે. આ કરારથી આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે 3 મહિનાના લાંબા યુદ્ધનો અંત આવ્યો. ખાસ વાત એ છે કે આ કોરિડોર રશિયાને તુર્કીથી અઝરબૈજાન અને તેના અન્ય પ્રાંત નખચિવનથી જોડશે.
NATO અને રશિયાનાકોરિડોર અંગે સકારાત્મક મંતવ્યો
સરળ શબ્દોમાં કહીએ તો આ કોરિડોરનો ઉદ્દેશ અઝરબૈજાનને કોઈપણ આર્મેનિયન ચેકપોઇન્ટ વિના તેના નાખચિવન એન્ક્લેવમાં પ્રવેશ આપવાનો છે, જ્યારે આ કોરિડોર ઈરાન-આર્મેનિયા સરહદમાંથી પસાર થાય છે. આ કોરિડોર એક ભૌગોલિક રાજકીય પ્રોજેક્ટ છે જે અઝરબૈજાન-તુર્કી દ્વારા યુરોપને મધ્ય એશિયા અને ચીન સાથે જોડે છે. જો આ કોરિડોર બનાવવામાં આવે છે, તો તે ઘણા દેશો વચ્ચેના વેપાર સંબંધોને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરશે. યુક્રેન સંઘર્ષથી લઈને મધ્ય પૂર્વ સુધીના ઘણા મુદ્દાઓ પર NATO અને રશિયાના અલગ-અલગ મંતવ્યો હોવા છતાં આ કોરિડોર અંગે બન્નેના સકારાત્મક મંતવ્યો છે.
ઈરાને રશિયાના વલણ સામે વિરોધ વ્યક્ત કર્યો
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે થોડા દિવસો પહેલા પુતિનની બાકુ મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, રશિયા જંગેજુર કોરિડોરને સમર્થન આપે છે. લાવરોવના આ નિવેદન પર ઈરાને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી ઈરાને રશિયાના રાજદૂતને બોલાવીને મોસ્કોના વલણ સામે વાંધો ઉઠાવ્યો હતો. ઈરાને કહ્યું કે, તે રશિયાની ઉશ્કેરણીને કારણે તેની સરહદો પર સંઘર્ષ નથી ઈચ્છતો. ઈરાને તેને લાલ રેખા પણ ગણાવી હતી.


