રશિયા હવે યુક્રેન યુદ્ધમાંથી મળેલા અનુભવના આધાર પર S-400 એર ડિફેન્સ સિસ્ટમને વધુ શક્તિશાળી બનાવવા તૈયારી કરી રહ્યું છે. આ અપગ્રેડના કારણે ડ્રોન, મિસાઇલ અને હાઇપરસોનિક હથિયારો જેવી નવી પડકારરૂપ ધમકીઓને વધુ અસરકારક રીતે અટકાવી શકાય છે. ભારતને મળનારી બાકીની બે રેજિમેન્ટ અને ભવિષ્યના અપગ્રેડ સાથે દેશનું હવાઈ સંરક્ષણ ખૂબ જ મજબૂત બનશે.
ઓપરેસ સિંદૂરમાં મજબૂત પ્રદર્શન
ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની ફાઇટર જેટ અને ડ્રોનને નષ્ટ કરીને S-400 પહેલેથી જ પોતાની ક્ષમતા સાબિત કરી ચૂકી છે. S-400 ટ્રાયમ્ફ દુનિયાની સર્વાધિક પ્રભાવશાળી એર ડિફેન્સ સિસ્ટમોમાંની એક છે અને 400 કિલોમીટરના અંતરે લક્ષ્યોને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. તે એક સાથે અનેક લક્ષ્યો ટ્રેક કરીને તેમને નષ્ટ કરવાની ક્ષમતા પણ ધરાવે છે.
ડ્રોનને સફળતાપૂર્વક અટકાવ્યા
યુક્રેન યુદ્ધ દરમિયાન S-400 એ અમેરિકન ATACMS મિસાઇલ અને યુક્રેનિયન ડ્રોનને સફળતાપૂર્વક અટકાવ્યા, પરંતુ કેટલાક હુમલાઓમાં તેની નબળાઈઓ પણ સામે આવી. યુક્રેન દ્વારા રડાર અને લોન્ચર્સ પર કરવામાં આવેલા ડ્રોન-ક્રુઝ મિસાઇલ હુમલાએ રશિયાને સિસ્ટમને વધુ મજબૂત બનાવવા પ્રેરિત કર્યું. આ અપગ્રેડ પછી S-400 વધુ શક્તિશાળી રડાર, સુધારેલી એન્ટિ-જામિંગ ટેકનોલોજી, ડ્રોન અને લો-લેવલ મિસાઇલોને શોધવાની વધેલી ક્ષમતા, લાંબા અંતરની મિસાઇલો અને AWACS સાથે વધુ સારા નેટવર્કિંગ જેવી સુવિધાઓથી સજ્જ બનશે.
S-400એ અદ્ભુત સફળતા મેળવી
ભારત માટે આ અપગ્રેડ કોઈ ભેટથી ઓછું નથી, કારણ કે 2018ના સોદા અંતર્ગત ખરીદેલી પાંચમાંથી ત્રણ રેજિમેન્ટ પહેલેથી જ પંજાબ, રાજસ્થાન અને ઉત્તરપૂર્વીય સરહદે તૈનાત છે. મે 2025ના ઓપરેશન સિંદૂર દરમિયાન S-400એ અદ્ભુત સફળતા મેળવી હતી. પાકિસ્તાની JF-17, F-16 અને AWACS વિમાનને 300 કિલોમીટર દૂરથી તોડી પાડવામાં આવ્યા હતા અને પાકિસ્તાની ડ્રોન તથા મિસાઇલોને ભારતના અનેક શહેરોમાં હુમલો કરતા અટકાવવામાં આવ્યા હતા. લાહોરની ચીની LY-80 સિસ્ટમ અને કરાચીના HQ-9 ડિફેન્સ સિસ્ટમનો નાશ કરીને S-400એ પોતાની ઘાતક અસરકારકતા સાબિત કરી હતી.
વધુ પાંચ સ્ક્વોડ્રન ખરીદવાનો નિર્ણય
આ અભિયાન પછી ભારતે વધુ પાંચ સ્ક્વોડ્રન ખરીદવાનો નિર્ણય કર્યો છે. ડિસેમ્બર 2025માં PM મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની બેઠકમાં આ સોદા પર ચર્ચા થવાની છે. S-500 જેવી વધુ અદ્યતન પ્રણાલી ખરીદવાની ચર્ચા પણ આગળ વધી રહી છે. જોકે S-400ની જાળવણી મોંઘી છે અને યુદ્ધ દરમિયાન કેટલીક નબળાઈઓ સામે આવી છે, અપગ્રેડ પછી સિસ્ટમ વધુ અભેદ્ય બનવાની શક્યતા છે. નિષ્ણાતો માને છે કે અપગ્રેડેડ S-400 ભારત-પાકિસ્તાન અને ભારત-ચીન સરહદો પર ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે અને જો ભારતને નવી ક્ષમતાઓ સાથેનું વર્ઝન મળે છે, તો દેશનું હવાઈ સંરક્ષણ વિશ્વમાં સૌથી મજબૂત બની શકે છે.


