- યુક્રેન પર પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને વ્લાદિમીર પુતિનનો દાવો
- એક ઇન્ટરવ્યૂમાં રશિયન રાષ્ટ્રપતિએ યુક્રેન અને પશ્ચિમી દેશોને આપી ચેતવણી
- સાર્વભૌમત્વ અને સ્વતંત્રતા જોખમાશે ત્યારે રશિયા પરમાણુ હથિયારો વાપરશે
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનની સાથે સાથે પશ્ચિમી દેશોને ચેતવણી આપી છે. પુતિને કહ્યું છે જે જો રશિયાના સાર્વભૌમત્વ અને સ્વતંત્રતા સામે ખતરો પેદા થશે તો તે ચોક્કસ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવા માટે તૈયાર છે. વાસ્તવમાં, પશ્ચિમી દેશોની મદદથી જ યુક્રેન રશિયા પર હુમલાઓ કરી રહ્યું છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને જણાવ્યું છે કે તેમને આશા છે કે અમેરિકા કોઈપણ પ્રકારના તણાવની સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ નહિ કરે જેનાથી પરમાણુ યુદ્ધ શરૂ થાય. રશિયાની પરમાણુ શક્તિ તેના માટે સંપૂર્ણ તૈયાર છે.
યુક્રેન વિરુદ્ધ પરમાણુ હથિયારના પ્રયોગને લઈને શું બોલ્યા પુતિન
યુક્રેન વિરુદ્ધ પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિને જણાવ્યું હતું કે હાલ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની જરૂર નથી. તેમણે એમ પણ દાવો કર્યો કે મોસ્કો યુક્રેનમાં પોતાનો હેતુ સિદ્ધ કરશે. પુતિને જણાવ્યું કે તેમણે વાતચીત માટે હંમેશા દ્વાર ખુલ્લો રાખ્યો છે. પુતિને કહ્યું કે પશ્ચિમી દેશોની સાથે કોઈપણ પ્રકારના સમાધાન માટે પક્કી ગેરંટીની જરૂરિયાત રહેશે. તાજેતરમાં, પુતિને પશ્ચિમી દેશોને ધમકાવતા કહ્યું હતું કે અમારી પાસે એવા હથિયાર છે જે તેમના વિસ્તારોને પણ ભેદી શકે છે.
પીએમ મોદીના કારણે ટળ્યું હતું પરમાણુ યુદ્ધ
છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલ રશિયા-યુક્રેન યુદ્ધ હવે પરમાણુ સંઘર્ષ તરફ આગળ વધી રહ્યું છે. જો કે, એક અમેરિકન રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેટલાંક વૈશ્વિક નેતાઓના સક્રિય પ્રયાસોને કારણે પરમાણુ યુદ્ધ ટાળી શકાયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનના વહીવટીતંત્રના બે ટોચના અધિકારીઓને ટાંકીને એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચેના સંઘર્ષને રોકવા માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ મોદી અને અન્ય ઘણા વૈશ્વિક નેતાઓની સક્રિયતાના કારણે રશિયન સેના અને પુતિનને મનાવવામાં સફળતા મળી. ત્યારબાદ જ યુક્રેન પરનો પરમાણુ હુમલો ટાળી શકાયો હતો.


