બાળક ઘનશ્યામ ખૂબ જ વિલક્ષણ પ્રતિભા ધરાવતા હતા. તે ખૂબ જ વિચારશીલ હતા. ઘનશ્યામ વિશે એવું કહેવાય છે કે સાત વર્ષની ઉંમર સુધી પહોંચતાં-પહોંચતાં તેમણે વેદો, ઉપનિષદો, પુરાણો અને રામાયણ સહિતના તમામ ગ્રંથો કંઠસ્થ કરી લીધા હતા. તેમનો મોટાભાગનો સમય તો ત્યાગીની જેમ કથા, કીર્તન અને પ્રભુપારાયણમાં જ વિતાવતા હતા.
માતા-પિતાનાં મૃત્યુ પછી અગિયાર વર્ષની ઉંમરે બાળ ઘનશ્યામ એક રાત્રે વરસતા વરસાદમાં કોઈને પણ કહ્યા વગર ચાલી નીકળ્યા. સવારે ઊઠીને ઘનશ્યામને ઘરમાં ન જોતાં ભાઈઓએ તેમની શોધ કરી, પરંતુ તેમની ક્યાંય ભાળ ન મળી. બીજી તરફ બાળ ઘનશ્યામ નીલકંઠ નામ ધારણ કરીને નદીઓ, જંગલો, પહાડોને ખેડતાં-ખેડતાં અનંતની શોધમાં નીકળી પડ્યા. તેઓ નેપાળ તરફ હાડ થીજવી નાખતી ઠંડીમાં અને હિમાલયની ગોદમાં રહ્યા તો ક્યાંક રસ્તામાં જેમનો ભેટો થયેલો તેવા ગોપાલમુનિ નામના એક મહાત્મા પાસેથી યૌગિક ક્રિયાઓનો અભ્યાસ પણ કર્યો. પોતાની સફર દરમિયાન તેઓ કેટલાયે યોગીઓ, મુનિઓ અને મહાત્માઓની સાથે સત્સંગ કરતા, પરંતુ જેની શોધ માટે ઘનશ્યામ નીલકંઠ નામ ધારણ કરીને ફરતા હતા તેવો આદર્શ આશ્રમ તેમને હજુ સુધી ન મળ્યો. રામેશ્વર, ભીમનાથ, પંઢલપુર, વિષ્ણુકાંચી, વેંકટાદ્રી વગેરે સ્થળોની મુલાકાત પણ તેમણે લીધી હતી.
સતત સાત વર્ષ સુધીની પોતાની અનંતની શોધ માટેની યાત્રા ગુજરાતમાં જૂનાગઢ જિલ્લાના લોજ ગામમાં આવીને સંપન્ન થઈ. આ ગામમાં તેમની મુલાકાત રામાનંદ સ્વામીના શિષ્ય અને ઉદ્વવ સંપ્રદાયના સ્થપાક એવા મુક્તાનંદ સ્વામી સાથે થઈ. મુક્તાનંદ સ્વામીની વિદ્વતા જોઈને નીલકંઠને તેમના ગુરુ રામાનંદ સ્વામીને મળવાની ઈચ્છા થઈ. રામાનંદ સ્વામી એક યાત્રા માટે બહાર ગયા હોવાથી નીલકંઠ થોડા દિવસ સુધી આશ્રમમાં રોકાઈ ગયા અને રામાનંદ સ્વામીની પ્રતીક્ષા કરવા લાગ્યા. રામાનંદ સ્વામી પોતાની યાત્રા પૂર્ણ કરીને પરત ફરે છે ત્યારે તેઓ નીલકંઠને મળે છે. માત્ર અઢાર વર્ષના આ કિશોરના જ્ઞાન કૌશલ્યથી તેઓ એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે તેમણે નીલકંઠને સંન્યાસી તરીકે દીક્ષા આપી સાથે પોતાના પંથના આગામી આગેવાન તરીકે ઘનશ્યામ(નીલકંઠ)ની નિમણૂક કરી.
ઈ.સ. 1802માં જ્યારે સ્વામી રામાનંદ સમાધિસ્થ થયા ત્યારે શિષ્ય પરંપરા મુજબ નીલકંઠ સહજાનંદ નામે સ્વામી ગાદી પર આવ્યા અને ઉદ્વવ સંપ્રદાયમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત થઈ. તેમણે અનેક લોકકાર્યો પણ કર્યાં. તેમણે પ્રચારકાર્ય કરીને લોકોને જાતજાતનાં દુર્વ્યસનોથી બચાવ્યા અને સાચા માર્ગે વાળવાની પહેલ કરી. ભગવાન સ્વામિનારાયણે ઈ.સ. 1826માં વડતાલ તેમના નિવાસ દરમિયાન પોતાના હજારો અનુયાયીઓ અને ભક્તો માટે 202 સૂત્રોની સંસ્કૃત ભાષામાં શિક્ષાપત્રી તૈયાર કરી હતી. જે આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો છે. સહજાનંદ સ્વામીએ તેમના જીવનકાળ દરમિયાન સતત પ્રભુભક્તિ કરી તથા હરિભક્તોને ધર્મનું સાચું જ્ઞાન આપ્યું અને સંપ્રદાય પ્રત્યે લોકજાગૃતિ ફેલાવી હતી.
અંતિમ સમય ગઢડામાં વિતાવ્યા બાદ બ્રહ્માનંદ સ્વામીની આજ્ઞા મેળવી સંવત 1886ની જ્યેષ્ઠ સુદ દસમને મંગળવારના રોજ બપોરના મધ્યાહ્ને ઓગણપચાસ વર્ષ, બે માસ અને એક દિવસની જીવનયાત્રા કરીને તેઓ અક્ષરવાસી થયા.