- સાળંગપુર મંદિર ખાતે દાદાને ગુલાબ અને મોગરાના ફુલોનો શણગાર
- મંગળવાર અને શનિવારના રોજ દાદાને કરાય છે ભવ્ય શણગાર
- હજારો ભકતો દ્વારા દર્શનનો લેવાયો લાભ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી તા. 15 એપ્રિલ 2024ને સોમવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને ગુલાબ અને મોગરાના ફુલોનો દિવ્ય શણગાર કરી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. જેના દર્શન આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.
50 કિલો ફુલ વપરાયા શણગારમાં
આજે દાદાને કરાયેલાં શણગાર વિશે વાત કરતાં પૂજારી ધર્મકિશોર સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને 20 કિલો ગુલાબ અને 30 કિલો મોગરાના ફુલનો શણગાર કરાયો છે. આ ફુલ વડોદરાના આસપાસના ગામડાઓમાંથી મંગાવવામાં આવ્યા છે. દાદાના સિંહાસનેઆ શણગાર કરતા સંતો, પાર્ષદ અને હરિભક્તો સહિત ચાર લોકોને ચાર કલાકનો સમય લાગ્યો હતો.
લાઈટ શોનું આયોજન
સાળંગપુરમાં બિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દર વર્ષે ભક્તો માટે અલગ-અલગ નજરાણા જોવા મળી રહ્યા છે. હનુમાનજીના ધામમાં દરેક તહેવાર હર્ષોલ્લાસ સાથે ભવ્યાતિભવ્ય રીતે ઉજવાય છે. આ વર્ષે મંદિર પરિસરમાં હનુમાન જયંતી પછી ભક્તો માટે અહીં 54 ફૂટ ઊંચી પંચધાતૂમાંથી બનેલી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની મૂર્તિ પર 4D AR (ઓગમેન્ટેડ રિઆલિટી) ટેક્નોલોજી દ્વારા લાઇટ એન્ડ સાઉન્ડ શો કરાશે. જેમાં હનુમાનજીનું જીવન ચરિત્ર અને સાળંગપુર ધામનો મહિમાં દર્શાવાશે.



