- મુંબઈથી અયોધ્યા સુધીની 1425 કિલોમીટરની પદયાત્રા કરશે મુસ્લિમ યુવતી
- રામભક્ત હોવા માટે હિન્દુ હોવું જરૂરી નથી, સારા માણસ હોવું જરૂરી: શબનમ
- અયોધ્યા પદયાત્રાની શરૂઆતથી મુંબઈની શબનમને મળી છે પોલીસની સુરક્ષા
એક યુવતી છે અને તે મુસ્લિમ છે… છતાં રામ ભક્ત છે. આ શબ્દો વાંચીને તમને ચોક્કસ આશ્ચર્ય થશે. પરંતુ આખી વાત જાણીને તમે પણ રોમાંચિત થઈ જશો. વાસ્તવમાં મુંબઇમાં રહેતી યુવતી શબનમ ગત 21 ડિસેમ્બરના રોજ મુંબઈથી અયોધ્યા સુધીની પદયાત્રા માટે નીકળી પડી છે. તેની સાથે છે તેના સાથી રમન રાજ શર્મા અને વિનીત પાંડે. શબનમે 1425 કિલોમીટરની યાત્રા કરવાની છે પરંતુ રામધૂન ગાઈ રહેલી શબનમના ચહેરા પર સેજ થાક દેખાતો નથી.
પ્રતિદિન કરે છે 25થી 30 કિલોમીટરની પદયાત્રા
પોતાના મુસ્લિમ હોવા પર ગર્વ હોવાનું કહીને તે કહે છે કે રામની પૂજા કરવા અને તેમનામાં શ્રદ્ધા રાખવા માટે હિન્દુ હોવું જરૂરી નથી. જરૂ છે તો બસ એક સારા માણસ હોવાની. હાલ શબનમ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સેંધવા પહોંચી ગઈ છે. તે અને તેમના સાથી રોજની 25થી 30 કિલોમીટરની પદયાત્રા કરે છે. ભગવાન રામની ભક્તિમએ તે એટલા મગ્ન થઈ ગયા છે કે અયોધ્યા પહોંચવા માટે તેમણે કોઈ તારીખ નક્કી નથી કરી. તેમને જોઈને એવું લાગે છે કે તેમણે એક સૂત્રને પોતાનો મંત્ર બનાવી લીધો છે કે ‘હોઇહિ સોઈ જો રામ રચી રાખા’ જેનો અર્થ થાય છે કે રામે જે રચી રહ્યું છે તે જ થાય છે.
ભગવાન રામ તો સૌના છે: શબનમ
હાલમાં સોશિયલ મીડિયા પર શબનમ અને તેના સાથીઓની ખૂબ ચર્ચા થઈ રહી છે. જ્યારે શબનમને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું- હું મારી પદયાત્રાથી માત્ર બે સંદેશ આપવા માંગુ છું. સૌથી પહેલા ભગવાન રામ દરેકના છે. તેઓ કોઈ જાતિ કે ધર્મથી બંધાયેલા નથી. તેઓ માત્ર ભારતના નથી પરંતુ સમગ્ર વિશ્વના છે. બીજું શબનમ એમ કહેવા માંગે છે કે છોકરીઓ પણ કોઈથી કમ નથી. તેઓ છોકરાઓની જેમ પગપાળા પણ યાત્રા કરી શકે છે. તે એ ભ્રમણા તોડવા માંગે છે કે અમુક કામ માત્ર છોકરાઓ જ કરી શકે છે.
પોલીસ પણ આપી રહી છે શબનમની પદયાત્રાને સુરક્ષા
જ્યારથી શબનમે તેની યાત્રાની શરૂઆત કરી ત્યારથી તેને પોલીસ સુરક્ષા મળી છે. જ્યારે, તે મહારાષ્ટ્રના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ફસાઈ ગઈ ત્યારે પોલીસે તેને બહાર કાઢીને મધ્યપ્રદેશ સુધી પહોંચાડી. પોલીસ તેમના ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરી રહી છે.
સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ શબનમ
શબનમ પોતાની પદયાત્રાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તે કહે છે કે યાત્રા દરમિયાન તેમને સોશિયલ મીડિયા પર કેટલીક નફરતભરી ટિપ્પણીઓ મળી છે પરંતુ મોટાભાગના લોકો તેને સકારાત્મક રીતે લઈ રહ્યા છે. જ્યારે તે હાથમાં ભગવો ધ્વજ લઈને ચાલી રહી હોય છે, ત્યારે ઘણી વખત તેને રસ્તામાં મળતા મુસ્લિમ સમુદાયના લોકો તેને સલામ કરવા સાથે જય શ્રી રામ પણ કહે છે. શબનમ કહે છે કે, લોકો માની રહ્યા છે કે જ્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રતિમા સ્થાપિત થશે, ત્યારે અમે પણ અયોધ્યા પહોંચીશું. પરંતુ આ સાચું નથી, અમે આવી કોઈ તારીખ નક્કી કરી નથી.


