સૌરાષ્ટ્રના આર્થિક કેપીટલ રાજકોટ જિલ્લામાં થયુ ઓછુ મૂડી રોકાણ
ભાવનગર, અમરેલીમાં રાજકોટ કરતા વધુ ઇન્વેસ્ટમેન્ટ : જિલ્લામાં માત્ર ૨3,૧૬૦ કરોડના ૨૯૨૧ MOU થયા
અગ્ર ગુજરાત, રાજકોટ
ઉદ્યોગિક વિકાસની દ્રષ્ટે રાજકોટને સૌરાષ્ટ્રનું હબ માનવામાં આવે છે. રાજકોટ સૌરાષ્ટ્રનું આર્થિક કેપીટલ તરીકે છેલ્લા દાયકામાં ઉભરી આવ્યું છે અને રોકાણકારોને પણ રાજકોટ પર વિશ્વાસ છે. પરંતુ વાઇબ્રન્ટમાં ચિત્ર અલગ ઉપસી આવ્યું છે. જેમાં રાજકોટ કરતા ભાવનગર અને અમરેલી જિલ્લામાં ઉદ્યોગપતિઓને વધારે રોકાણ કર્યુ છે.
કચ્છ અને સૌરાષ્ટ્રની ઔદ્યોગિક કુશળતાને વૈશ્વિક ઊંચાઈ આપવા તથા નિકાસનું હબ બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ હાલમાં જ સંપન્ન થઈ. જેના થકી કચ્છ-સૌરાષ્ટ્રમાં કુલ રૂપિયા ૫,૭૮,૩૩૦ કરોડ રૂપિયાના રોકાણના લક્ષ્યાંક સાથે ૫૪૯૨ પ્રોજેક્ટસ એમ.ઓ.યુ. (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ – સમજૂતિ કરાર) થયા છે, જેને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. જેનાથી ૬,૨૬,૨૫૩ જેટલી રોજગારીની તકો ઊભી થશે. આમ આ મકરસંક્રાતિએ ‘વી.જી.આર.સી.-૨૦૨૬’ થકી કચ્છ-સૌરાષ્ટ્રમાં ‘વિકાસની સંક્રાંતિ’ શરૂ થઈ છે.
પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, વી.જી.આર.સી.માં સૌથી વધુ રોકાણમાં કચ્છ જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો છે. કચ્છમાં કુલ રૂ. ૧,૨૫,૦૧૭ કરોડની રકમના કુલ ૪૫૮ પ્રોજેક્ટસના એમ.ઓ.યુ. થયા છે. જેના થકી ૪૮,૪૧૯ લોકોને રોજગારી તક ઊભી થઈ છે. બીજા ક્રમે ભાવનગર જિલ્લો રહ્યો છે. આ પંથકમાં કુલ રૂ. ૬૦,૧૭૬ કરોડની રકમના કુલ ૩૦૬ એમ.ઓ.યુ. આવ્યા છે. જેના થકી અંદાજે ૧,૮૪,૬૦૬ લોકો માટે રોજગારીનું સર્જન થશે. ત્રીજા ક્રમે અમરેલી જિલ્લો રહ્યો છે. જ્યાં રૂ. ૩૬,૨૭૫ કરોડની રકમના કુલ ૬૨ પ્રોજેક્ટસના સમજૂતિ કરાર થયા છે. જેના થકી ૧,૧૧,૪૪૭ રોજગારી મળશે.
રાજકોટ જિલ્લામાં કુલ રૂ. ૨૩,૧૬૦ કરોડની રકમના ૨૯૨૧ પ્રોજેક્ટના એમ.ઓ.યુ. સાઈન થયા છે. આ પ્રોજેક્ટસ થકી કુલ ૩૯,૪૨૩ લોકો માટે રોજગારીની તકો સર્જાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રોકાણ માટે રોકાણકારોએ ભારે ઉત્સાહ દાખવ્યો છે. સમુદ્રીતટીય આ જિલ્લામાં કુલ રૂ. ૩૪,૪૩૯ કરોડના રોકાણના ૮૫ સમજૂતિ કરાર કરવામાં આવ્યા છે. જેના થકી ૧૧,૫૧૪ રોજગારીની તકો સર્જાશે.
જામનગર જિલ્લો પણ રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. આ પંથકમાં કુલ રૂ. ૧૫,૩૦૦ કરોડના રોકાણના ઈરાદા સાથે ૩૫૭ સમજૂતિ કરારો થયા છે. જેના થકી ૮૮૫૭ લોકોને રોજગારી મળશે તેવો અંદાજ છે.
પોરબંદર જિલ્લામાં રૂ. ૯૦૮૯ કરોડના રોકાણ માટે કુલ ૪૪૭ પ્રોજેક્ટના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જેનાથી ૯૯૫૪ લોકો માટે રોજગારીની તકો ઊભી થઈ છે. મોરબી જિલ્લામાં રૂ.૪૭૯૫ કરોડના રોકાણના ઈરાદા તેમજ ૧૨,૦૯૬ લોકોને રોજગારીના પ્લાનિંગ સાથે ૧૯૧ સમજૂતિ કરારના હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં રૂ. ૩૩૨૪ કરોડના રોકાણના લક્ષ્ય તથા ૪૩૦૫ રોજગારના અંદાજ સાથે ૨૨૮ પ્રોજેક્ટના એમ.ઓ.યુ. થયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ રૂ. ૨૮૧૭ કરોડના રોકાણના ઈરાદા સાથે કુલ ૧૯૩ પ્રોજેક્ટસના એમ.ઓ.યુ. સાઈન થયા છે. ગીર સોમનાથ જિલ્લામાં કુલ રૂ.૧૩૫૩ કરોડના રોકાણના ધ્યેય સાથે કુલ ૧૫૧ કરારો કરવામાં આવ્યા છે. બોટાદ જિલ્લામાં કુલ રૂ. ૨૯૧ કરોડની રકમના ૩૪ એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત વિવિધ સ્થળોએ કુલ રૂ. ૨,૬૨,૨૯૩ કરોડના રોકાણના ઈરાદા સાથે ૫૯ એમ.ઓ.યુ. મંજૂર કરાયા છે. જેના દ્વારા ૧,૮૧,૧૪૩ લોકો માટે રોજગારીની તકનું સર્જન થયું છે.


