સૌરાષ્ટ્ર યુનિવર્સિટિનું બજેટ કાલે રજૂ થશે, સંશોધન પ્રવૃત્તિને મળશે ખાસ પ્રાધાન્ય
વિકાસ કામો સાથે આધુનિક લેબોરેટરી અને વૈજ્ઞાનિક સાધનો માટે મોટા ફંડની શક્યતા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટિનું આગામી નાણાકીય વર્ષ માટેનું બજેટ આવતીકાલે યોજાનારી ફાઇનાન્સ કમિટીની બેઠકમાં રજૂ થવાનું છે. ગયા વર્ષે યુનિવર્સિટિનું બજેટ રૂ.200 કરોડથી વધુ હતું અને આ વખતે તેમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
યુનિવર્સિટિના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષના બજેટમાં ખાસ કરીને સંશોધન અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા પર ભાર મુકવામાં આવશે. ઉપરાંત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટિની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે કેમ્પસના વિવિધ ભવનોના વિકાસ અને સુધારણા માટે પણ વિશેષ ફાળવણી કરવામાં આવે તેવી શક્યતા છે.
કેન્દ્ર સરકાર તરફથી મળેલી પીએમ ઉષા યોજનાની અંદાજે રૂ.100 કરોડની ગ્રાન્ટના આધારે યુનિવર્સિટીમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ ગ્રાન્ટ તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની અન્ય સહાયથી સંશોધનલક્ષી પ્રવૃત્તિઓને વધુ ગતિ આપવા માટેના પ્રસ્તાવો પણ બજેટમાં સમાવાશે.
ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિભાગોમાં આધુનિક સંશોધન માટે જરૂરી અદ્યતન સાધનો ખરીદવાની દરખાસ્ત કરવામાં આવી છે. માહિતી મુજબ ગાંધીનગર સ્થિત આઈઆઈટી જેવી અદ્યતન લેબોરેટરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટિમાં સ્થાપવાની યોજના પણ વિચારાધીન છે. આવી લેબોરેટરી ઉભી થશે તો બેક્ટેરિયાના જનીનાત્મક બંધારણ અંગે સંશોધન શક્ય બનશે.
આ દિશામાં બાયોસાયન્સ વિભાગ માટે વિશેષ મશીન ખરીદવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. ઉપરાંત અંદાજે રૂ.70 લાખના ખર્ચે બાયોલોગ માઈક્રોબિયલ આઈડેન્ટિફિકેશન સિસ્ટમ વિકસાવવાની યોજના છે. આરટીપીસીઆર માટે રૂ.18 લાખના મશીન અને પ્રોટીન પ્યુરીફિકેશન સિસ્ટમ માટે રૂ.65 લાખના ફંડની માંગ પણ સંબંધિત વિભાગોએ કરી છે.
હાલમાં યુનિવર્સિટિ પાસે એનએફડીડીમાં એનએમઆર મશીન છે, પરંતુ તે લાંબા સમયથી બંધ હાલતમાં હોવાનું જાણવા મળે છે. આ મશીન હવે રિપેર ન થઈ શકે તેવી સ્થિતિમાં હોવાથી તેના સ્થાને અંદાજે રૂ.3.5 કરોડના ખર્ચે નવું મશીન ખરીદવાની પ્રક્રિયા વિચારાધીન છે. આ માટે કંપની સાથે બાયબેક સિસ્ટમ અંગે પણ ચર્ચા ચાલી રહી છે.
આ ઉપરાંત સંશોધન પ્રવૃત્તિઓ ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ બને તે માટે સ્થાનિક તેમજ રાજ્ય અને દેશના અન્ય ઉદ્યોગપતિઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. ઉદ્યોગ આધારિત સંશોધનને પ્રોત્સાહન મળે તે માટે ખાસ ફ્રેમવર્ક તૈયાર કરવાની દિશામાં યુનિવર્સિટિ તંત્ર પ્રયાસ કરી રહ્યું છે.
ખાલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા હજુ ધીમી, 31 માર્ચની સમયમર્યાદા પર પ્રશ્નચિહ્ન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાંબા સમયથી ખાલી પડેલી શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હોવા છતાં ભરતી પ્રક્રિયા હજુ ધીમી ગતિએ આગળ વધી રહી છે. સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગે લગભગ 150 જેટલી જગ્યાઓ ભરવાની મંજૂરી આપી છે અને 31 માર્ચ સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના પણ આપી છે, છતાં હાલની સ્થિતિ જોતા સમયમર્યાદામાં પ્રક્રિયા પૂર્ણ થવી મુશ્કેલ જણાઈ રહી છે.
યુનિવર્સિટી તંત્રના જણાવ્યા મુજબ નિયમોમાં થતા સતત ફેરફારો અને વહીવટી પ્રક્રિયાઓના કારણે ભરતીની કામગીરી ઝડપથી આગળ વધી શકતી નથી. તાજેતરમાં કેમ્પસમાં કાયદા ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ખાલી જગ્યાને લઈને ઇન્ટરવ્યૂ યોજાયા હતા. આ માટે માત્ર પાંચ ઉમેદવારોએ અરજી કરી હતી, જેમાંથી ત્રણ ઉમેદવાર હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આ ત્રણમાંથી એક ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. સમગ્ર ઇન્ટરવ્યૂ પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરીને તેની માહિતી સરકારને મોકલવામાં આવશે.
યુનિવર્સિટીના અધિકારીઓ કહે છે કે ભરતી સંબંધિત નિયમોમાં થતા ફેરફારોને કારણે મેરિટ લિસ્ટ પર પણ અસર પડે છે. અગાઉ એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસર તરીકે ખાનગી કોલેજોમાં કરેલા અનુભવને માન્યતા આપવી કે નહીં તે મુદ્દે વિવાદ હતો. તે દરમિયાન મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કે પહોંચી હતી, પરંતુ બાદમાં સરકારે ખાનગી કોલેજોના અનુભવને માન્ય ગણવાનો નિર્ણય લેતા મેરિટ લિસ્ટ ફરીથી તૈયાર કરવાની સ્થિતિ સર્જાઈ હતી.
બીજી તરફ વર્ગ-3ના કર્મચારીઓની ખાલી જગ્યાઓ માટે મોટી સંખ્યામાં અરજીઓ આવી છે. અંદાજે 1400 જેટલા ઉમેદવારો અરજી કરતા આગામી 16મી તારીખે પ્રાથમિક તબક્કાની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. આ પરીક્ષા ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવશે અને તેના પરિણામો પણ ઝડપથી જાહેર કરવાની યોજના છે.
જો કે સૌથી મોટી મુશ્કેલી વર્ગ-2ના અધિકારીઓની ખાલી જગ્યાઓ ભરવાની છે. આ માટેની ઇન્ટરવ્યૂ પ્રક્રિયા અને અન્ય માપદંડો અંગે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરિણામે ભરતી પ્રક્રિયા ક્યારે ગતિ પકડશે તે અંગે યુનિવર્સિટી વર્તુળોમાં હજુ અનિશ્ચિતતા યથાવત્ છે.


