કેન્દ્રમાંથી રિક્ષા મારફત બારોબાર જથ્થો મોકલાતા વર્કર ઝડપાયા : 36 પેકેટ ICDS વિભાગે જપ્ત કરી ફરી આંગણવાડીમાં મોકલાયા
રાજકોટમાં વોર્ડ નંબર 6 ના ભાજપ પ્રમુખે દૂધસાગર રોડ પાસે આવેલી શાળા નંબર 78ની આંગણવાડીમાં પૌષ્ટિક આહારનું કૌભાંડ આચર્યુ હોવાનું સામે આવ્યુ છે. જેમાં ભૂલકાઓને આપવામાં આવતું બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાના 120 પેકેટ રિક્ષામાં જતા હોવાનું પકડાઈ ગયું હતું.
ICDSના CDPO દ્વારા આ કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. જોકે આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી ત્યારે સામે પક્ષે આંગણવાડી કાર્યકર રજા પર ઉતરી ગયા છે અને હેલ્પરે કોઈ કૌભાંડ ન થયું હોવાનું જણાવ્યું હતું. CDPO(ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર)એ આક્ષેપ કર્યો છે કે જે સમયે અનાજ રીક્ષામાં લઈ જવાતું હતું ત્યારે રેડ પાડી હતી. આ દરમિયાન આંગણવાડી વર્કરના ફોનમાંથી ભાજપના કોઈ વ્યક્તિની ભલામણ આવી હતી.
શહેરના દૂધસાગર રોડ ઉપર આવેલી શાળા નંબર 78માં આંગણવાડીનો પૌષ્ટિક આહાર રિક્ષામાં ભરી રામવન પાસેની સોસાયટીમાં લઈ જવા તો હોવાની બાતમીના આધારે ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર સહિતના અધિકારીઓએ રેડ પાડી હતી અને રીક્ષા ચાલકને પકડી પાડ્યો હતો જે બાદ પૌષ્ટિક આહારના 36 પેકેટ ફરી આંગણવાડીમાં મૂકવામાં આવ્યા હતા.
આંગણવાડી વર્કર નજમાબેન પઠાણની CDPOએ કરેલી પૂછપરછમાં કબુલાત આપી હતી કે આંગણવાડી હેલ્પર ખમાબા ઝાલા મારફત જથ્થો પહોંચાડવાનો હતો. જે બાદ નજમાબેન દ્વારા ભાજપના કોઈ વ્યક્તિ સાથે ફોન ઉપર વાત કરાવવામાં આવી હતી અને આમાં જોજો એવું કહ્યું હતું. તે વખતે મેં કહ્યું કે હું જો આમાં જોવાનું તો મારી નોકરીનું શું થાય. જોકે તે વ્યક્તિ કોણ હતું તેનો મને ખ્યાલ નથી. હવે 25/11ના GR મુજબ સરકારે જે ઠરાવો ટાંકયા છે તે મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે પોલીસ ફરિયાદ તો આંગણવાડી કાર્યકર દ્વારા જ નોંધાવવી જોઈએ તેવું તેમણે કહ્યું હતું.
120 પેકેટ ઝડપી પાડયા : CDPO
આ બાબતે CDPO જયશ્રીબેન સાકરીયાએ જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે મને ફોન આવ્યો હતો કે કોડ નંબર 6માં આવેલી શાળા નંબર 78ની આંગણવાડીમાંથી GJ 03 BX 5984 નંબરની રિક્ષામાં બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાના 120 પેકેટ પગ કરી જતા ઝડપી પાડ્યા હતા.
પેકેટ પૂરતા પ્રમાણમાં જ છે : હેલ્પર
આંગણવાડી હેલ્પર આંગણવાડી હેલ્પર ખમાબા ઝાલાએ કહ્યું કે, અહીં કોઈ પણ પ્રકારનું કૌભાંડ થતું નથી. ગઈકાલે પણ 36 ફૂડ પેકેટ હતા અને આજે પણ 36 ફૂડ પેકેટ છે. અહીં 78 બાળકો છે. જ્યારે આંગણવાડી વર્કર નજમાબેનના પરિવારમાં ડીલિવરી હોવાથી તેઓ રજા પર છે તેમ જણાવ્યુ હતું.
ભાજપના જ નેતાનું કૌભાંડ : કોંગ્રેસ
સમગ્ર મામલે કોર્પોરેશનના વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 6ના મહિલા ભાજપ પ્રમુખ આ આંગણવાડી કેન્દ્રના સંચાલક છે. તેમના દ્વારા જ આ કૌભાંડ કરવામાં આવ્યું છે. આ મામલે અમે મનપા કમિશનર અને જિલ્લા કલેકટરને પત્ર લખીશુ. સમગ્ર કૌભાંડ મામલે તપાસ કરવામાં આવે. અગાઉ પણ બાળકોના ભોજનમાં આ પ્રકારે ગેરરીતિઓ સામે આવી ચૂકી છે. જ્યારે ફરી એક વખત આ પ્રકારે આંગણવાડીના બાળકોના ફૂડ પેકેટમાં કૌભાંડ કરવામાં આવ્યું છે ત્યારે આવા કૌભાંડ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી એક અમારી માંગ છે.


