કંભરી નવરાત્રિ એ હિંદુ ધર્મમાં માતા દુર્ગાનાં એક સ્વરૂપ, દેવી શાકંભરીને સમર્પિત એક પવિત્ર તહેવાર છે. આ પર્વ મુખ્યત્વે પોષ મહિનાની શુક્લ (સુદ) પક્ષની અષ્ટમીથી શરૂ થઈને પૂનમ સુધી ઊજવવામાં આવે છે, જે આઠ દિવસનો ઉત્સવ હોય છે. જોકે, કેટલીક પરંપરાઓમાં આ પૂનમથી શરૂ થઈને નવ દિવસ સુધી પણ ઊજવાય છે, પરંતુ સામાન્ય રીતે તે પોષ માસની શુક્લ પક્ષની અષ્ટમીથી પ્રારંભ થાય છે અને પૂનમે સમાપ્ત થાય છે, જેને શાકંભરી પૂર્ણિમા કહેવાય છે.
આ નવરાત્રિ અન્ય નવરાત્રિઓ (જેમ કે, શારદીય નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિ) જેટલી વ્યાપક નથી, પરંતુ શાકંભરી દેવીના ઉપાસકો, ખાસ કરીને ઉત્તર ભારતના કેટલાક પ્રદેશો, રાજસ્થાન, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં તેની વિશેષ મહત્તા છે.
દેવી શાકંભરી કોણ છે?
દેવી શાકંભરી એ માતા દુર્ગાનું એક સૌમ્ય અને કલ્યાણકારી સ્વરૂપ છે. તેમનું નામ `શાકંભરી’ બે શબ્દોના સમન્વયથી બનેલું છે:
શાક એટલે શાકભાજી, ફળ, અનાજ અને વનસ્પતિ.
ભરી એટલે ધારણ કરનાર અથવા પોષણ કરનાર.
આમ, શાકંભરી એટલે શાકભાજી, ફળો અને અનાજને ધારણ કરનાર દેવી, જે સમગ્ર સૃષ્ટિનું પોષણ કરે છે. તેમને અન્નપૂર્ણા દેવીનું જ એક સ્વરૂપ પણ માનવામાં આવે છે. તેમની ચાર ભુજાઓ હોય છે, જેમાં તેઓ ધનુષ્ય, બાણ, કમળ અને શાક-ફળ ધારણ કરેલાં હોય છે. તેમનું વાહન સિંહ છે. તેમની દૃષ્ટિ કરુણામયી અને શીતળ હોય છે.
શાસ્ત્રોક્ત પૌરાણિક કથા
માર્કંડેય પુરાણમાં વર્ણવેલી દેવી માહાત્મ્ય અને દેવી ભાગવત પુરાણમાં દેવી શાકંભરીની ઉત્પત્તિ અને મહત્ત્વ વિશેની કથા જોવા મળે છે. કથા અનુસાર પ્રાચીન સમયમાં દુર્ગમા નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો, જેણે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવીને ત્રણેય લોકમાં ભય અને આતંક ફેલાવી દીધો હતો. તેણે એવું વરદાન મેળવ્યું હતું કે વેદોનું જ્ઞાન તેના કબજામાં આવી ગયું, જેના કારણે દેવો યજ્ઞ અને પૂજા કરી શકતા નહોતા. પરિણામે વરસાદ ન થયો અને પૃથ્વી પર 100 વર્ષ સુધી ભયંકર દુકાળ પડ્યો.
દુકાળના કારણે નદીઓ, સરોવરો અને કૃષિ ભૂમિ સુકાઈ ગઈ. મનુષ્યો, પ્રાણીઓ અને વનસ્પતિઓ ભૂખ અને તરસથી પીડાઈ રહ્યાં હતાં. દેવો અને ઋષિ-મુનિઓએ જ્યારે આ ભયંકર સ્થિતિ જોઈ, ત્યારે તેમણે દુર્ગા માતાનું આહ્વાન કર્યું અને તેમની સ્તુતિ કરી.
દેવોનો કરુણ પોકાર સાંભળીને માતા દુર્ગા પ્રગટ થયાં. તેમની આંખોમાંથી નવ દિવસ સુધી અવિરત અશ્રુધારા વહેતી રહી, જેનાથી સમગ્ર પૃથ્વી પર પાણી ફરી વળ્યું અને દુકાળગ્રસ્ત ભૂમિ ફરી જીવંત બની. માતાએ પોતાના શરીરમાંથી તાજાં શાકભાજી, ફળો, અનાજ અને કંદમૂળ ઉત્પન્ન કર્યાં અને તેનાથી સૃષ્ટિના તમામ જીવોનું પાલન કર્યું. તેમણે પોતાના હાથે શાકભાજી ધારણ કર્યાં હોવાથી તેમનું નામ શાકંભરી પડ્યું.
માતા શાકંભરીએ ત્યારબાદ રાક્ષસ દુર્ગમાનો વધ કર્યો અને વેદોનું જ્ઞાન દેવોને પાછું સોંપ્યું. આમ, દેવી શાકંભરીએ દુકાળમાંથી સૃષ્ટિને ઉગારી અને અન્ન, પાણી તથા જીવનનું રક્ષણ કર્યું. આ ઘટના પોષ મહિનામાં બની હતી, તેથી આ સમયગાળાને શાકંભરી નવરાત્રિ તરીકે ઊજવવામાં આવે છે.
પૂજાવિધિ અને ઉપાસના
શાકંભરી નવરાત્રિ દરમિયાન દેવી શાકંભરીની પૂજા શારદીય કે ચૈત્રી નવરાત્રિ જેવા જ વિધિવિધાનથી કરવામાં આવે છે, પરંતુ તેમાં શાકભાજી, ફળો અને અનાજનું વિશેષ મહત્ત્વ હોય છે.
પૂજાસામગ્રી
દેવી શાકંભરીની મૂર્તિ કે ચિત્ર
લાલ વસ્ત્ર
દીપક, ધૂપ, અગરબત્તી
ચોખા, કંકુ, કંકાવટી, હળદર
તાજાં શાકભાજી, ફળો, અનાજ (મુખ્યત્વે મોસમી શાકભાજી)
મીઠાઈ, ખીર, લાડુ
શ્રીફળ, સોપારી, લવિંગ, ઇલાયચી
ગંગાજળ, કળશ
પૂજાવિધિ
ઘટસ્થાપના (જો સંભવ હોય તો) : નવરાત્રિના પ્રથમ દિવસે (પોષ શુક્લ અષ્ટમી) ઘટસ્થાપના કરવી.
દેવી આહ્વાન : સવારે સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાં. પૂજાસ્થાનને સાફ કરીને દેવી શાકંભરીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરવું.
દીપ પ્રાગટ્ય : શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી, ધૂપ-અગરબત્તી કરવાં.
સંકલ્પ : હાથમાં જળ, ચોખા અને ફૂલ લઈને નવરાત્રિના વ્રત અને પૂજાનો સંકલ્પ લેવો.
ષોડશોપચાર પૂજા : દેવીને જળથી સ્નાન કરાવવું, વસ્ત્ર અર્પણ કરવાં, કંકુ-ચોખા લગાવવાં, ફૂલ-હાર ચઢાવવાં.
મુખ્ય ભોગ : દેવી શાકંભરીને શાકભાજી, ફળો અને અનાજનો ભોગ ખાસ કરીને અર્પણ કરવો. આ દિવસે લીલાં શાકભાજીમાંથી બનેલી ખીચડી, શાક, રોટલી વગેરેનો ભોગ ધરાવી શકાય છે.
મંત્રજાપ : શાકંભરી દેવીના મંત્રનો જાપ કરવો.
મંત્ર: `ૐ હ્રીં શ્રીં ક્લીં એં શાકંભર્યૈ નમઃ’ અથવા `શાકંભરી દેવ્યૈ નમઃ’
આરતી : પૂજાના અંતે દેવી શાકંભરીની આરતી કરવી.
પ્રસાદ વિતરણ : પૂજા સમાપ્ત થયા બાદ પ્રસાદ ભક્તો અને પરિવારજનોમાં વહેંચવો.
કન્યાપૂજન : નવરાત્રિ દરમિયાન કન્યાપૂજનનું પણ વિશેષ મહત્ત્વ છે. અષ્ટમી-નવમીના દિવસે ખાસ.
શાકંભરી નવરાત્રિનું મહત્ત્વ અને લાભ
આ નવરાત્રિનું પાલન કરવાથી ભક્તોને નીચેના લાભ પ્રાપ્ત થાય છે.
ભૂખમરો અને ગરીબીનો નાશ : દેવી શાકંભરીની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય અનાજ અને ધનનો અભાવ થતો નથી. ભૂખમરો અને ગરીબી દૂર થાય છે.
સમૃદ્ધિ અને ખુશી : ઘરમાં ધન-ધાન્ય અને સમૃદ્ધિ આવે છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
સ્વાસ્થ્ય લાભ : તાજાં શાકભાજી અને ફળોનાં દાન-ગ્રહણથી સ્વાસ્થ્ય સારું રહે છે. દેવીની કૃપાથી રોગમુક્તિ પણ મળે છે.
વિઘ્ન અને સંકટ દૂર : દેવીની આરાધનાથી જીવનનાં તમામ વિઘ્નો અને સંકટો દૂર થાય છે.
વાતાવરણની શુદ્ધિ : આ નવરાત્રિ પ્રકૃતિ અને પર્યાવરણના રક્ષણનો સંદેશ આપે છે, જેનાથી વાતાવરણ શુદ્ધ રહે છે.
મોક્ષની પ્રાપ્તિ : શુદ્ધ ભાવથી પૂજા કરનારને જીવનમાં સર્વ સુખ પ્રાપ્ત થઈ અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
શાકંભરી પૂર્ણિમાનું મહત્ત્વ
શાકંભરી નવરાત્રિનો અંતિમ દિવસ શાકંભરી પૂર્ણિમા તરીકે ઓળખાય છે, જે આ પર્વનો સૌથી મહત્ત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે દેવી શાકંભરીની વિધિવત્ પૂજા કરવામાં આવે છે અને નવરાત્રિના વ્રતનું પારણું કરવામાં આવે છે. આ દિવસે વિશેષ દાન-પુણ્ય કરવાથી અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ગંગાસ્નાન કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ મહત્ત્વ છે.
ત્યાગ અને સંયમ
અન્ય નવરાત્રિઓની જેમ શાકંભરી નવરાત્રિ દરમિયાન પણ ભક્તો ત્યાગ અને સંયમનું પાલન કરે છે. આ દિવસોમાં સાત્ત્વિક ભોજન લેવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, નકારાત્મક વિચારો અને કાર્યોથી દૂર રહેવું જોઈએ.
શાકંભરી નવરાત્રિ એ અન્ન અને વનસ્પતિની દેવીને સમર્પિત એક એવું પર્વ છે, જે આપણને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું અને સૃષ્ટિના પાલનહાર દેવીની પૂજા કરીને જીવનમાં ધન-ધાન્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનું શીખવે છે.
શાકંભરી માતાજીની સ્તુતિ
શાકંભરી દેવીની ઉત્પત્તિની કથાનું વર્ણન કરતો અને માતાના સ્વરૂપની મહિમા ગાતો આ સ્તુતિપાઠ છે
શાકંભરી સ્વરૂપા તું, સર્વ દુઃખ હરણી,
માતા તું જગત કલ્યાણી, સર્વત્ર પ્રસરી.
દુર્ગાનું સ્વરૂપ ધરી, ધરી શાક ફળ હાથ,
દુર્ગમાને હણનારી, સૃષ્ટિની તું માત.
॥ ધ્યાન મંત્ર ॥
शाकम्भरि! सुरेश्वरि! शरणं त्वदंघ्रौ,
नत्वा भवाब्धौ प्रबलेन हि पाप्मनाढ्ये।
दुःखैर्हतोऽहं ननु जन्ममृत्यु-चक्रप्रवाहमध्ये,
पतितो भृशमुत्सुकोऽस्मि॥
અર્થ : હે શાકંભરી! હે દેવોની ઈશ્વરી! હું જન્મ-મૃત્યુના ચક્રના પ્રવાહમાં પડીને, ભયંકર પાપોથી ભરેલા આ ભવસાગરમાં દુઃખોથી ઘેરાયો છું. હું અત્યંત ઉત્સુકતાથી આપનાં ચરણોમાં નમન કરીને શરણ માંગું છું.
॥ શાકંભરી માહાત્મ્ય ॥
શતાક્ષી શાકંભરી ગિરિજા ભવાની, ભક્તેષ્ટ દાત્રી જગતામપિ માની। આદિ શક્તિ મહામાયા, સૃષ્ટિ તું સંભાળે, તારા અશ્રુ બિંદુથી ધરતી હરીયાળી થાય.
અન્નપૂર્ણા સ્વરૂપા તું, તું જ સર્વ ધન્ય, વનસ્પતિ, ફળ, શાક, તારાથી જગ ભરે. સો વર્ષનો દુષ્કાળ તેં પળમાં હર્યો, દુષ્ટ દુર્ગમાને તેં યુદ્ધમાં સંહર્યો. જે જન તારી ભક્તિ કરે, પ્રેમથી તારું નામ લે, તેના ઘરના ભંડાર કદી ખાલી ન રહે. શાંતિ, સમૃદ્ધિ, સુખ સૌને તું આપે, હે મા શાકંભરી, તું અમારાં સંકટ કાપે. – સુખદેવ આચાર્ય
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


