શાકિબ અલ હસને પોતાના તાજેતરના નિવેદનથી બધાને ચોંકાવી દીધા છે.તેણે ખુલાસો કર્યો છે કે તેણે 2024માં સરે માટે રમતી વખતે શંકાસ્પદ એક્શન સાથે બોલિંગ કરી હતી.શાકિબના શબ્દો સ્પષ્ટપણે દર્શાવે છે કે તેણે આવું જાણી જોઈને કર્યું હતું.શાકિબને આ ગેરકાયદેસર બોલિંગ એક્શન માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. શાકિબે આ ખુલાસો બીયર્ડ બિફોર વિકેટ પોડકાસ્ટમાં કર્યો હતો.ગયા વર્ષે ડિસેમ્બરમાં,શાકિબ અલ હસનની બોલિંગ એક્શનનું સ્વતંત્ર પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેને લોફબરો યુનિવર્સિટી દ્વારા ગેરકાયદેસર માનવામાં આવ્યું હતું.પરિણામે,તેને ફક્ત તમામ ECB મેચોમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ બોલિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
શાકિબ અલ હસનનું નિવેદન
બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડરે પોડકાસ્ટમાં ખુલાસો કર્યો હતો કે તેણે જાણી જોઈને શંકાસ્પદ એક્શન સાથે બોલિંગ કરી હતી. શાકિબના મતે, તેણે એક જ મેચમાં 70 થી વધુ ઓવર ફેંકી હતી. તેણે તેની કારકિર્દીમાં આ પહેલા ક્યારેય ટેસ્ટ મેચમાં 70 ઓવર ફેંકી ન હતી. શાકિબે ખુલાસો કર્યો હતો કે તે ટોન્ટનમાં સમરસેટ સામે સરે માટે રમાયેલી ચાર દિવસીય મેચ દરમિયાન ખૂબ થાકી ગયો હતો. પોડકાસ્ટમાં, શાકિબે જણાવ્યું હતું કે તે પાકિસ્તાનમાં ટેસ્ટ શ્રેણી રમ્યા પછી તે ચાર દિવસીય મેચ રમવા ગયો હતો. શાકિબે કહ્યું હતું કે અમ્પાયર ફક્ત તેને ચેતવણી આપી શકે છે, જે તેના અધિકારો અને નિયમોમાં છે. તેથી, તેણે ફરિયાદ કરી ન હતી.
બાંગ્લાદેશમાં શાકિબ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી
શાકિબ અલ હસન મે 2024 થી બાંગ્લાદેશ પાછો ફર્યો નથી.5 ઓગસ્ટના રોજ ભારતના પડોશી દેશમાં વિદ્યાર્થીઓનો વિરોધ શરૂ થયો.આ પછી,વડા પ્રધાન શેખ હસીનાને દેશ છોડવાની ફરજ પડી હતી,અને આવામી લીગ સરકાર પડી ભાંગી હતી.શાકિબ આવામી લીગના સાંસદ હતા અને તેમની સામે હત્યાના આરોપમાં FIR દાખલ કરવામાં આવી હતી,જોકે તે સમયે તે દેશમાં ન હતા.તેમણે કાનપુરમાં ભારત સામે તેમની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી, જે તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ હતી.
શાકિબે બીજો ખુલાસો કર્યો
બીયર્ડ બિફોર વિકેટ પોડકાસ્ટમાં,શાકિબે બીજો ખુલાસો કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે તેમણે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિ લીધી નથી. તેઓ બાંગ્લાદેશ પાછા ફરવા અને નિવૃત્તિ લેતા પહેલા ત્યાં ટેસ્ટ, T20 અને ODI સીરિઝ રમવાનો ઇરાદો ધરાવે છે. ગયા વર્ષે કાનપુરમાં ભારત સામે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હોવા છતાં, શાકિબ અલ હસન મે 2024 પછી બાંગ્લાદેશ પાછો ફર્યો નથી.
શાકિબે બાંગ્લાદેશ ટીમ માટે ઘણી મેચ જીતી
શાકિબને શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક માનવામાં આવે છે અને તેણે ઘણી મેચોમાં એકલા હાથે બાંગ્લાદેશ ટીમને વિજય અપાવ્યો છે. તેણે ટેસ્ટમાં 4609 રન અને 246 વિકેટ લીધી છે. તેના નામે ODI ક્રિકેટમાં 7570 રન છે, જેમાં કુલ 317 વિકેટ છે. T20I ક્રિકેટમાં પણ તેનો રેકોર્ડ સારો છે, જેમાં તેણે 129 મેચોમાં કુલ 2551 રન બનાવ્યા છે. આ ઉપરાંત, 149 વિકેટ પણ લીધી છે.


