ગોંડલમાં શરમજનક અકસ્માત બાદ 19 વર્ષીય યુવકનો આપઘાત
લીલા નાળિયેલમાં ગુપ્તભાગ ફસાયાની ઘટના સોશિયલ મીડિયામાં વગોવાય જતા માનસિક દબાણમાં જીવન ટૂંકાવ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
ગોંડલ શહેરમાં એક અજીબોગરીબ અકસ્માત યુવક માટે જીવલેણ સાબિત થયો છે. લીલા નાળિયેર સાથે થયેલા અકસ્માતની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે માનસિક તણાવમાં આવી ગયેલા 19 વર્ષીય યુવકે અંતે આપઘાતનો રસ્તો અપનાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલના નાગડકા રોડ વિસ્તારમાં રહેતા યુવકનો 12 જાન્યુઆરીના રોજ અકસ્માતે ગુપ્ત ભાગ લીલા નાળિયેરમાં ફસાઈ ગયો હતો. ઘટનામાં યુવકને ગંભીર ઈજા પહોંચી હતી તેમજ વધુ રક્તસ્ત્રાવ થવાથી તેને તાત્કાલિક ગોંડલની હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારબાદ રાજકોટ અને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
આ દરમિયાન અકસ્માતની તસવીરો અને વાતો સોશિયલ મીડિયા પર ફેલાઈ જતા યુવક માનસિક રીતે સંપૂર્ણપણે તૂટી ગયો હતો. સમાજમાં બદનામી અને મજાકનો ડર તેને સતત સતાવતો રહ્યો હતો. આ માનસિક આઘાત વચ્ચે યુવકે 25 જાન્યુઆરીના રોજ ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો.
યુવકના મૃત્યુ બાદ પરિવારજનોએ પોલીસને જાણ કર્યા વિના કોટડા સાંગાણી રોડ પર આવેલા ખોડિયાર માતાજીના મંદિર નજીક રહેણાંક મકાન પાછળ તેની દફનવિધિ કરી દીધી હતી. જોકે બાદમાં આ બાબત પોલીસના ધ્યાનમાં આવતાં મૃતદેહ બહાર કાઢી પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
ગોંડલ શહેર પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવારજનોએ પોલીસને જાણ કર્યા વગર દફનવિધિ કેમ કરી, તેમજ સમગ્ર ઘટનાના અન્ય પાસાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે.


