ભારત અને પાકિસ્તાનની વચ્ચે ઓપરેશન સિંદૂર પછી યુદ્ધવિરામ જાહેર કરાયું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધીમાં ઘણી વખત યુદ્ધવિરામ પર ક્રેડિટ લઈ ચૂક્યા છે. તેમણે એવો દાવો કર્યો છે કે અમેરિકાને કારણે યુદ્ધવિરામ થયું છે. આ વિશે કોંગ્રેસના નેતા શશિ થરૂરે રિએક્શન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ભારતને સમજાવવાની જરૂર નથી.
જો કે કોંગ્રેસના નેતા શશિ થરૂરના નેતૃત્વમાં ભારતીય ડેલિગેશન બ્રાઝિલ સુધી પહોંચ્યું હતું. થરુરે બ્રાઝિલના ઉપરાષ્ટ્રપતિ ગેરાલ્ડો અલ્કમિન સાથે મુલાકાત કરી. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ ભારતના પ્રતિનિધિમંડળની બ્રાઝિલ યાત્રાને લઈને ખુશી વ્યક્ત કરી હતી.
થરુરે આ દરમિયાન ભારત અને પાકિસ્તાનના સીઝફાયર વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમારે કોઈને સમજાવવાની જરૂર નથી. અમે પહેલા જ યુદ્ધ રોકી દીધું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ કે તેમના દિગ્જ અધિકારીઓએ જો કોઈને સમજાવવાની જરૂર હતી તો તે પાકિસ્તાનને હતી કારણકે ભારત ક્યારેય યુદ્ધ ઈચ્છતું જ નહોતું.
ટ્રમ્પે ભારત-પાકિસ્તાનના યુધ્ધવિરામ પર ઘણી વખત લીધી ક્રેડિટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત- પાકિસ્તાનના યુદ્ધવિરામ પર ક્રેડિટ લેતા હજી થાકતા નથી. તેઓ ઘણી વખત આ વાતનો દાવો કરી ચૂક્યા છે કે અમેરિકાને કારણે બંને દેશો વચ્ચેનું યુદ્ધ ટળી ગયું. ટ્રમ્પે હાલમાં જ કહ્યું કે સીઝફાયર માટે તેમણે ટ્રેડ ડીલનો સહારો લીધો હતો.