- શેખ હસીનાએ બાંગ્લાદેશમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર પીએમ બનવાનો રેકોર્ડ બનાવ્યો
- વિપક્ષ ચૂંટણી બહિષ્કાર કરી મતદાનથી અળગી રહ્યું
- મતદાનને લઈ બાંગ્લાદેશના લોકોમાં કોઈ ઉત્સાહ નહોતો
બાંગ્લાદેશમાં એકવાર ફરીથી શેખ હસીના વડાપ્રધાન બનશે. રવિવારે યોજાયેલી જનરલ ચૂંટણીમાં શેખ હસીનાના પાર્ટીએ 300માંથી બે તૃતિયાંશથી વધુ બેઠકો જીતી લીધી છે. જેથી શેખ હસીના પાંચમી વાર વડાપ્રધાન બનશે. તેઓ વર્ષ-2009થી વડાપ્રધાન પદ પર છે. આ અગાઉ તેઓ વર્ષ-1991થી 1996 સુધી શેખ હસીના વડાપ્રધાન રહી ચૂક્યા છે. અત્યાર સુધીની મતગણતરીમાં શેખ હસીનાની પાર્ટી 300 સંસદીય બેઠકોમાંથી 224 બેઠકો જીતી ચૂકી છે. બાંગ્લાદેશની અન્ય એક પાર્ટીએ ચાર સીટો જીતી છે. અપક્ષના ભાગે 62 બેઠકો હાથમાં આવી છે. જ્યારે અન્યના ખાતામાં એક બેઠક આવી છે. છેલ્લી બે બેઠકો પર મત ગણતરી ચાલુ છે. શેખ હસીના પોતાની સંસદીય સીટ ગોપાલગંજ-3થી ભારે અંતરથી જીતી છે. શેખ હસીનાને 2,49, 965 વોટ મળ્યાં હતાં. તેમની નજીકના હરીફ એમ. નિઝામ ઉદ્દીન લશ્કરને માત્ર 469 વોટ જ મળ્યા હતા. ગોપાલગંજ-3થી શેખ હસીના 1986થી અત્યાર સુધી આઠમીવાર ચૂંટણી જીતી ચૂક્યા છે.
સતત જીત
બાંગ્લાદેશમાં વર્ષ-2018માં યોજાયેલી ચૂંટણીમાં રેકોર્ડ 80 ટકા મતદાન થયું હતું. પરંતુ આ વખતે જનરલ ચૂંટણીમાં વિપક્ષના સભ્યોએ બહિષ્કાર કરી દીધો હતો. પરિણામ એ થયું કે ચૂંટણીમાં માત્ર 40 ટકા જ મત પડયા હતા. આવામી લીગના મહાસચિવ ઓબેદુલ કાદિરે દાવો કર્યો કે લોકોએ વોટ આપીને બીએનપી અને જમાત-એ-ઈસ્લામીના બહિષ્કરારને ફગાવી દીધો. ચૂંટણી પહેલા બાંગ્લાદેશમાં ઠેર-ઠેર હિંસક ઘટનાઓ સામે આવી હતી. રવિવારે પણ વોટિંગ દરમિયાન સમગ્ર બાંગ્લાદેશમાં 18 સ્થળો પર આગચંપીની ઘટનાઓ આવી હતી. જ્યારે 10 પોલિંગ બૂથને ટોળાએ ટાર્ગેટ કર્યા હતા.
વિપક્ષ પણ ડગી ગયું
પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના નેતાઓએ આ વખતની ચૂંટણીને બનાવટી કહી. બીએનપીએ વર્ષ-2014માં પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. જો કે વર્ષ-2018માં પાર્ટીએ ચૂંટણી લડી હતી. આ વખતે ફરી બીએનપીએ ચૂંટણીનો બહિષ્કાર કર્રીયો હતો. બીએનપીની સાથે બાંગ્લાદેશમાં અન્ય 15 રાજકીય પક્ષોએ પણ ચૂંટણીનો બોયકોટ કર્યો હતો. ઉપરાંત બીએનપીએ 48 કલાકનો બંધ પણ જાહેર કર્યો હતો. જેમાં જનતાને વોટ ન આપવા અપીલ કરવામં આવી હતી. બીએનપી નેતાઓનો દાવો છે કે, ઓછું મતદાન એ વાતનો પુરાવો છે કે ચૂંટણી બહિષ્કાર સફળ રહી છે.
નિરસ મતદાન
આ વખતે લોકોમાં મતદાનને લઈ કોઈ ઉત્સાહ નહોતો. પોલિંગ બૂથ પર પણ લાંબી લાઈન નહોતી. આ ચૂંટણીમાં 436 અપક્ષ ઉમેદવારો સિવાય 27 રાજકીય પક્ષોના 1500થી વધુ ઉમેદવાર ચૂંટણીના રણમેદાનમાં હતા. પૂર્વ ચૂંટણી કમિશનર બ્રિગેડિયર જનરલ સખાવત હુસૈને જણાવ્યું કે આ ચૂંટણીને ગત બે ચૂંટણીની સરખામણીમાં અનોખી હતી. સખાવતે વધુમાં કહ્યું કે આ વખતે અપક્ષ અને ડમી ઉમેદવારના નામ પર એક જ પાર્ટીના ઉમેદવારો વચ્ચે યોજાઈ રહી છે. આ માટે મતદાતાઓની રૂચિ ઓછી છે. આ અનોખું મૉડલ છે. સૌ કોઈ જાણે છે કે કોણ જીતશે, પરંતુ સવાલ એ છે કે વિપક્ષમાં કોણ હશે.


