છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટ જગતમાંથી એક પછી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે ઘણા દિગ્ગજ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. મે અને જૂન 2025 દરમિયાન ભારતીય ક્રિકેટના બે મોટા નામો રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જ્યારે અન્ય દેશોના સ્ટાર્સ પણ આ યાદીમાં જોડાયા છે. ખેલાડીઓના આ નિર્ણયથી ક્રિકેટ જગત માટે ચિંતાનો વિષય છે તો બીજી તરફ ફેન્સ પણ તેમના મનસપંસદ ક્રિકેટરના નિવૃતિના નિર્ણયથી દુ:ખી થયા છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
ભારત માટે આ ભાવનાત્મક સમય રહ્યો છે. 7 મે 2025ના રોજ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી જે તેમની શાનદાર કેપ્ટનશીપ અને બેટિંગ કારકિર્દીનો અંત હતો. ત્યાર બાદ રોહિત શર્માની નિવૃતિના 5 દિવસ બાદ 12 મે 2025ના રોજ વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. બંને ક્રિકેટરોની નિવૃતિના સમાચારે આખા દેશને હચમાચાવી દીધો છે. બંને ખેલાડીઓએ ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. તેમણે કહ્યું હતું કે, તેમની નિવૃત્તિએ ટીમમાં યુવા નેતૃત્વ માટે માર્ગ ખોલ્યો છે અને એ પણ દર્શાવ્યું હતું કે, તેઓ પોતાનો વારસો નવા ખેલાડીઓને સોંપવા માટે તૈયાર છે.
આ ક્રિકેટરો એ પણ કરી નિવૃત્તિની જાહેરાત
રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ પણ નિવૃત્તિનો સિલસિલો યથાવત રહ્યો કારણ કે શ્રીલંકાના અનુભવી ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝે 23 મે 2025ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, મેથ્યુઝની વિદાય એ શ્રીલંકન ક્રિકેટ માટે મોટો ફટકો છે કારણ કે તેમને લાંબા સમય સુધી ટીમમાં યોગદાન આપ્યું છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે 2 જૂન 2025 ના રોજ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી તેમના આ નિર્ણયથી ઓસ્ટ્રેલિયન ટીમ માટે એક નવો પડકાર ઉભો થયો છે. જોકે, મેક્સવેલ T20 ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે.
આ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર
સાઉથ આફ્રિકાના હેનરિક ક્લાસેન અને વેસ્ટ ઈન્ડિઝના નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંપૂર્ણ નિવૃત્તિ જાહેર કરી છે. ક્લાસેનની શાનદાર વિકેટકીપિંગ અને બેટિંગે સાઉથ આફ્રિકાને ઘણી મેચોમાં મજબૂત બનાવ્યું પરંતુ તેણે 33 વર્ષની ઉંમરે નિવૃત્તિ લીધી હતી. તો બીજી તરફ, નિકોલસ પૂરને માત્ર 29 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે જે વધુ આઘાતજનક છે. એવું માનવામાં આવે છે કે આ બંને ખેલાડીઓએ ફ્રેન્ચાઈઝી ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ કર્યું છે.