- સોનું કીચડમાં પડ્યું હોય તો પણ શુદ્ધ છે. `અતુલિતબલધામં હેમશૈલાભદેહં; અને સોનાને આપણે હંમેશાં શુદ્ધ માન્યું છે
શ્રી હનુમાનજી મહારાજ પુણ્યપુંજ છે, પુણ્યરાશિ છે. એને સંખ્યામાં બાંધવાનું મુશ્કેલ છે કે કેટલાં પુણ્ય છે; પરંતુ મારી વ્યાસપીઠ શ્રી હનુમાનજીનાં અગિયાર પ્રકારનાં પુણ્ય કહેવા માગે છે. પુણ્ય ત્રણ પ્રકારનાં હોય છે- કાયિક, માનસિક અને વાચિક. શ્રી હનુમાનજી મહારાજમાં ત્રણ પુણ્ય વાચિક છે. અલબત્ત, ઘણાં પુણ્ય છે પરંતુ એમાંથી હું અગિયાર પુણ્ય પસંદ કરી રહ્યો છું. અને અગિયાર પણ તમને વધારે લાગે તો તમે એમાંથી પણ ઓછાં કરી શકો છો. બે-ચાર પુણ્ય સમજમાં આવી જાય તો પણ ઘણું છે. અને આ કોઈ ચીલાચાલુ પ્રલોભનવાળાં પુણ્યની ચર્ચા નથી થતી. પુણ્ય એટલે કોઈ પરમશુભ. આપણે પુણ્યનો અર્થ કરીએ છીએ કે પુણ્ય એટલે લાભ નહીં પરંતુ શુભ.
શ્રી હનુમાનજી મહારાજનાં ત્રણ કાયિક પુણ્ય છે. હવે હનુમાનજીનો તો પૂરેપૂરો વિહાર પુણ્યમય છે. છતાં પણ ત્રણેયમાંથી ત્રણ-ત્રણ લઈએ. હનુમાનજીનાં જે શારીરિક ત્રણ કર્મ છે એ વિશ્વ માટે ખૂબ જ પુણ્યમય છે. એક, શ્રી હનુમાનજીએ મા જાનકીની શોધ કરી. એમાં એમણે શરીરને કામે લગાડ્યું. શ્રી હનુમાનજી મહારાજનું કાયિક પુણ્ય હતું. સીતાની શોધમાં પોતાની કાયાનો પૂર્ણત: સદુપયોગ. ખુદ ઊભા થયા, વિરાટ થઈ ગયા, ઝૂક્યા. અહીં બધી જ શારીરિક પ્રક્રિયા છે. બીજું, હનુમાનજીનું કાયિક પુણ્ય છે, એમણે સેતુનું નિર્માણ કર્યું અને ત્રીજું, શ્રી હનુમાનજીએ શરીરથી લંકાના મેદાનમાં યુદ્ધ કર્યું છે. એ ત્રણ કાર્ય જે હનુમાનજીએ કર્યાં એ મારી દૃષ્ટિએ કાયિક પુણ્ય છે.
આપણે રામની સેવામાં રહેવા માગતા હોઈએ તો આપણે પણ શરીરથી આ ત્રણ પ્રકારનાં પુણ્યકર્મ કરીએ. એક તો, વાંચીને, સંશોધન કરીને, અભ્યાસ કરીને, અનુસંધાન કરીને, ડિગ્રીઓ પ્રાપ્ત કરીને આપણી ઊર્જા શું છે, આપણી શક્તિ શું છે, એની શોધ કરીએ. સીતા એટલે ઊર્જા; સીતા એટલે પરમશક્તિ; એની શોધ કરવામાં આવે કે ક્યાં-ક્યાં એ બધી શક્તિ છે? રામના પ્રેમી થવા માટે, રામની ચાકરી કરવા માટે માત્ર જ્ઞાની જ હોવું પર્યાપ્ત નથી, વિજ્ઞાની હોવું પણ જરૂરી છે. વૈજ્ઞાનિક રીતે કોઈ ઊર્જાની શોધ કરે તો એ શારીરિક પુણ્ય છે. બીજું, આજનો યુવાન વિઘટનવાદી ન હોય; એ બધાંને જોડે. રામનામથી જોડે; અલ્લાહને નામે જોડે અથવા તો સંવેદનાથી જોડે, પરંતુ પોતાના શરીરની મદદથી સૌને જોડી આપે તો એ શારીરિક પુણ્ય છે. અને જ્યાં અભદ્રતા છે, જ્યાં કંઈક આસુરી તત્ત્વ છે, આ આખી સૃષ્ટિને કુરૂપ કરવાની વૃત્તિઓ છે, એવાં પરિબળો સામે દ્વેષમુક્ત ચિત્તે જો સંઘર્ષ કરવો પડે તો એ પણ કાયાનું પુણ્ય છે.
ત્રણ પ્રકારનાં માનસિક પુણ્ય છે. માનસિક પુણ્યનો મારો મતલબ છે શુભચિંતન, શુભવિચાર. શ્રી હનુમાનજી જ્યાં પોતાના વિચારો મૂકે છે ત્યાં શુભ વિચારો મૂકે છે; ઈવન રામ સમક્ષ વિચારો મૂકશે તો પણ; સુગ્રીવ સમક્ષ વિચારો મૂકશે તો પણ; વિભીષણ સમક્ષ મૂકશે તો પણ અને રાવણ સમક્ષ રાખશે તો પણ. જ્યાં પણ હશે, હનુમાનજીનું ચિંતન અત્યંત શુભ રૂપમાં આવ્યું છે. સુગ્રીવને ભગવાન સામે રજૂ કરે છે કે મહારાજ, સુગ્રીવ પર્વત પર રહે છે. આપનો સેવક બનીને રહેશે. આપ એને આપનો સેવક બનાવો. એ જ હનુમાનજી વિભીષણને શરણાગત થવામાં પણ પોતાના શુભ વિચારોથી બળ પૂરું પાડે છે. એ જ હનુમાનજી વળી મા જાનકીજી જ્યારે દુ:ખી થઈ જાય છે અને મૃત્યુ પામવા સુધીનો નિર્ણય લેવા માટે મજબૂર થઈ જાય છે ત્યારે માને જીવનદાન મળી જાય એવા સુંદર વિચારો પ્રસ્તુત કરે છે.
તો, શ્રી હનુમાનજીનાં શારીરિક કર્મ પુણ્ય છે. વૈચારિક સ્થિતિ પુણ્યમયી છે અને ત્રીજું ક્ષેત્ર વાચિક; હનુમાનજી જે બોલે છે! એમાં તો વાલ્મીકિનો જ સંદર્ભ લેવો પડશે. વાલ્મીકિના હનુમાન જ્યારે રામને પહેલાવહેલા મળે છે અને રામની સાથે વાર્તાલાપ થાય છે ત્યારે ભગવાન હનુમાનજી વાતચીતથી એટલા બધા પ્રભાવિત થઈ જાય છે અને લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, આ માણસે બહુ જ અધ્યયન કર્યું છે. આ માણસ વ્યાકરણ, વેદ, શાસ્ત્ર બધાંનો પારંગત છે. એના વિના આટલી વાક્શુદ્ધિ ન હોઈ શકે. આ પંડિતોનો પંડિત છે.
માણસ ત્રણ પ્રકારની વાણી બોલે એ પુણ્ય છે. એક તો વાચિક રૂપમાં સત્ય બોલે. હું બોલી જાઉં એ સરળ છે, તમે સાંભળો એ સરળ છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે સત્ય બોલવું કેટલું બધું મુશ્કેલ છે! તો, જેમની વાણીમાં સત્ય છે, એમની વાણી પુણ્ય છે, પરંતુ આપણે ત્યાં કહેવાયું છે, `સત્યં બ્રૂયાત્, પ્રિયં બ્રૂયાત્’ સત્ય બોલો પરંતુ પ્રિય સત્ય બોલો, કટુ સત્ય નહીં. સત્ય બોલવું એ પુણ્ય છે હનુમાનનું. અને પ્રિય સત્ય બોલવું એ હનુમાનજીનું બીજું પુણ્ય છે. અને ત્રીજું, હિતકારી સત્ય બોલવું. એવું સત્ય કે જેમાં બીજાનું શુભ જ થતું હોય. વાણી સત્ય હોય, પ્રિય હોય, હિતકારી હોય. આ ત્રણ પ્રકારનું સત્ય, વાચિક પુણ્ય મારી વ્યાસપીઠની દૃષ્ટિએ હનુમાનમાં છે.
પુણ્ય બીજું; દેહશુદ્ધિ પુણ્ય છે. શરીરને વિશુદ્ધ રાખવું, દેહને પવિત્ર રાખવો એ પુણ્ય છે. અને બીજું, દિમાગ શુદ્ધ રાખવું એ પુણ્ય છે. હનુમાનજીમાં બંને છે. એમનો દેહ શુદ્ધ છે અને એમનું દિમાગ શુદ્ધ છે; દિલ તો શુદ્ધ છે જ. હું આપને એટલું જ કહું કે હનુમાનજીનું શરીર સોનાનું છેને? સોનું કીચડમાં પડ્યું હોય તો પણ શુદ્ધ છે. `અતુલિતબલધામં હેમશૈલાભદેહં; અને સોનાને આપણે હંમેશાં શુદ્ધ માન્યું છે. વ્યાપારી એને અશુદ્ધ કરી નાખે એ વાત જુદી છે! સોનું પવિત્ર છે. શ્રી હનુમાનજી મહારાજ દેહશુદ્ધ છે. ઈન્દ્રિયોથી તો શુદ્ધ છે જ. સુવર્ણના નાતે દિમાગ અને દેહ બંને શુદ્ધ છે. આ દેહની શુદ્ધિ મારી વ્યાસપીઠની દૃષ્ટિએ પુણ્ય છે. તમે નહાઈ-ધોઈને તમારા શરીરને શુદ્ધ રાખો, બરાબર રાખો એ પુણ્ય છે. તો, શ્રી હનુમાનજી મહારાજ પુણ્યપુંજ છે અને બીજી પંક્તિમાં તુલસી કહે છે કે, `પુન્યપુંજ બિનુ મિલહિં ન સંતા.’ જ્યાં સુધી આપણા પુણ્યનો સમૂહ એકઠો નથી થતો ત્યાં સુધી કોઈ સંત નથી મળતા. અને જ્યાં સુધી સંત નહીં મળે ત્યાં સુધી જે સંસાર દુ:ખમય દેખાય છે, જેને આપણે દુ:ખમય મહેસૂસ કરીએ છીએ એ બરાબર સમજાશે નહીં અથવા તો સંસારની દુ:ખમયતાનો અંત નહીં આવે.
તુલસી કહે છે કે આપણાં કેટલાંક એવાં પુણ્ય અર્જિત થઈ જાય તો સંત મળી જાય. અને એવા કોઈ સંત મળી જાય તો આપણો દૃષ્ટિકોણ બદલી દે અને આપણી જૂની-પુરાણી વાતોને સંશોધિત કરી દે. સંત દૃષ્ટિમાં પરિવર્તન કરી દે છે. મધ્યકાળમાં એવા પાંચ સંતો આવ્યા કે જેમણે આ બધું દુ:ખમય છે, પીડામય છે, એવી વાતોને બદલી નાખી. મધ્યકાળમાં એ પાંચ સિતારા આપણી પાસે છે કે જેમણે અનેક પ્રકારનું સંશોધન પ્રસ્તુત કર્યું. એમાં પહેલાં હું પુણ્યસ્મરણ કરવા માગું છું કબીરનું. બીજા સુરદાસ. જોકે તેઓ શરણાગતિ અને પ્રેમપથના મહાત્મા હતા, પરંતુ સુરદાસે પણ સંતત્વ અર્જિત કરીને બહુ જ ક્રાંતિકારી કામ કર્યું. અને આ બાજુ પંજાબ તરફ જાઉં તો ગુરુ નાનકદેવ. બહુ જ નવી દૃષ્ટિ આપી. આખો માહોલ બદલી નાખ્યો એ મહાપુરુષે. એક અન્ય સંત મારી સામે આવે છે અને એ છે રૈદાસ. અદભુત કામ કર્યું! કહેવાય છે કે મીરાંએ એમની પાસે દીક્ષા લીધી છે. એમાં થોડો વિવાદ પણ છે. જે હોય તે; એ વિવાદ છે એટલે એમાં હું જાઉં પણ નહીં. મીરાં એક એવી સંત છે જેણે એક જડ પરંપરાને નાબૂદ કરી નાખી અને એ મહિલાએ દુનિયાની સામે નૃત્ય કરવાનું શરૂ કરી દીધું. ઘૂંઘરું બાંધી લીધાં. અને જેમનું નામ મારા માટે તો શું નથી? એ ગોસ્વામી તુલસી. આ બધા એવા સંતો છે જેમણે ઘણું સંશોધન કર્યું. આ મધ્યયુગીન સંતોએ ઘણું કામ કર્યું. એવા કોઈ સંત મળી જાય તો આ સંસાર જે દુ:ખમય લાગે છે એનો અંત આવી જાય.


