દિવગંત પંજાબી ગાયક કલાકાર સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે તેમના પુત્રની ત્રીજી પુણ્યતિથિના બે દિવસ પહેલા મોટી જાહેરાત કરી છે. તેમને જાણકારી આપતા કહ્યું કે તેઓ 2027માં આગામી પંજાબ વિધાનસભાની ચૂંટણી લડશે. તેઓ માનસા બેઠક પરથી પોતાનું ફોર્મ ભરશે અને રાજકારણમાં એન્ટ્રી કરશે. બલકૌર સિંહે કહ્યું, ‘હા, ચોક્કસ, હું ચૂંટણી લડીશ.’ આપણે સિસ્ટમમાં આવ્યા પછી જ ન્યાય વિશે વાત કરીશું.
સિદ્ધુ મૂસેવાલા 2022માં ચૂંટણી હારી ગયા હતા
મુખ્યમંત્રી તરફથી નિવેદન આવ્યું કે ગોલ્ડી બ્રારને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તે જે કંઈ કહે છે તે બધું છેતરપિંડી સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે સિદ્ધુ મૂસેવાલા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. ઉલ્લેખનીય છે કે સિદ્ધુ મૂસેવાલાના પિતાએ હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે કે કોઈ પક્ષ વતી. સિદ્ધુ મૂસેવાલા 2022માં પંજાબની માનસા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. તેમને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ. વિજય સિંગલાએ 63,323 મતોથી હરાવ્યા હતા. ડૉ. વિજય સિંગલાને એક લાખ (1,00,023)થી વધુ મત મળ્યા હતા. જ્યારે સિદ્ધુને માત્ર 36,700 મત મળ્યા હતા.
ત્રણ વર્ષ પહેલા સિદ્ધુ મૂસેવાલાની થઈ હતી હત્યા
29 મે 2022ના રોજ માનસા જિલ્લાના જવાહરકે ગામમાં સિદ્ધુ મૂસેવાલાની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. તે પોતાની કાળા રંગની મહિન્દ્રા થાર ગાડીમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે બે અન્ય વાહનોએ તેમની ગાડીને રોકી હતી અને ત્યારબાદ ગોળીબાર શરૂ કરી દીધો હતો. લગભગ 30 રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. આમાં મૂસેવાલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે મૂસેવાલાના શરીર પર 24 ગોળીઓના નિશાન હતા. જ્યારે, તેના અન્ય બે મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આ હત્યાની જવાબદારી પણ લીધી હતી.