સોપાન હાઇટ્સના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી નેપાળી પરિવારના માસૂમ ભાઈ બહેનના મોત
સ્વિમિંગ પુલમાં ડૂબતી 5 વર્ષીય બહેનને બચાવવા જતા 7 વર્ષીય ભાઈએ પણ જીવ ગુમાવ્યો ; પરિવારમાં શોકનો માહોલ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલી સોપાન હાઈટ્સ એપાર્ટમેન્ટમાં હ્રદય દ્રવી જાય તેવી ઘટના સામે આવી છે, જેમાં ડૂબતી પોતાની નાની બહેનને બચાવવા માટે સ્વિમિંગ પુલમાં કૂદેલા 7 વર્ષીય ભાઈ સહિત બંને માસુમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે. આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને જોતા દરેકની આંખોમાં આંસુ આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે અને પરિવારમાં કલ્પાંત મચી ગયો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિપેશ કરણભાઈ ભંડારી (ઉંમર 7 વર્ષ) અને તેની બહેન દેવીસીકા કરણભાઈ ભંડારી (ઉંમર 5 વર્ષ) પોતાના માતા-પિતા સાથે રૈયાધાર વિસ્તારમાં આવેલી સોપાન હાઈટ્સમાં રહેતા હતા. મૂળ નેપાળના રહેવાસી આ પરિવાર રોજગારી માટે આશરે 14 દિવસ પહેલા જ રાજકોટ આવ્યો હતો અને અહીં બિલ્ડીંગમાં સફાઈ કામ કરી જીવન નિર્વાહ કરતો હતો.
ગઈકાલે સાંજે લગભગ 4 વાગ્યાના સમયે બંને ભાઈ-બહેન એપાર્ટમેન્ટના પટાંગણમાં રમતા હતા. તે દરમિયાન તેમના માતા-પિતા બિલ્ડીંગમાં સફાઈ કામમાં વ્યસ્ત હતા. રમતા રમતા બંને બાળકો બિલ્ડીંગમાં આવેલા સ્વિમિંગ પુલ નજીક પહોંચી ગયા હતા. આ દરમિયાન અચાનક 5 વર્ષીય દેવીસીકા પુલમાં પડી ગઈ હતી.
બહેનને પાણીમાં ડૂબતી જોઈ 7 વર્ષીય દિપેશે વિલંબ કર્યા વગર બહેનને બચાવવા માટે તરત જ પુલમાં કૂદકો માર્યો હતો. પરંતુ બંને બાળકોને તરતા આવડતું ન હોવાથી થોડા જ પળોમાં બંને પાણીમાં ડૂબી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં બંને બાળકો પુલમાં સંઘર્ષ કરતા નજરે પડે છે.
બાળકોને પાણીમાં જોઈ બિલ્ડીંગના રહીશો તરત જ દોડી આવ્યા હતા અને બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના અંગે માતા-પિતાને જાણ થતા તેઓ દોડતા સ્થળ પર પહોંચ્યા હતા અને પોતાના સંતાનોની હાલત જોઈને કરુણ રડારડ મચાવી દીધી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી બંને બાળકોને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ બંને બાળકોની તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઈ જયસિંહ ઝાલા સહિતનો સ્ટાફ હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.
પરિવાર પાસેથી મળતી માહિતી અનુસાર, બંને બાળકોને આજે તેમના સગા સંબંધીઓ સાથે પરત નેપાળ મોકલવાની તૈયારી ચાલી રહી હતી. તેમની ટિકિટ પણ બુક થઈ ગઈ હતી અને મંગળવારે તેઓ રાજકોટથી રવાના થવાના હતા. પરંતુ તે પહેલા જ આ દુર્ઘટનાએ આખા પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો છે.
આ બનાવની જાણ થતાં રાજકોટના નેપાળી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. એક જ પરિવારના બે માસુમ સંતાનોના અચાનક મોતથી સમગ્ર સમાજમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે.
આ દુર્ઘટનાએ ફરી એકવાર રહેણાંક વિસ્તારોમાં સુરક્ષાના અભાવ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. ખાસ કરીને સ્વિમિંગ પુલ જેવા જોખમી સ્થળોએ પૂરતી સુરક્ષા વ્યવસ્થા, બેરિકેડિંગ અને દેખરેખનો અભાવ ગંભીર સાબિત થઈ શકે છે. જો સમયસર યોગ્ય સુરક્ષા પગલાં લેવાયા હોત તો કદાચ આ માસુમ જીવ બચી શક્યા હોત. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજના આધારે ઘટના અંગે વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ આ કરુણ ઘટનાએ એક વાત સ્પષ્ટ કરી છે કે, થોડા પળોની બેદરકારી ક્યારેક આખા પરિવાર માટે જીવનભરનું દુઃખ બની શકે છે.


