55000 ચો.ફૂટમાં આવેલ બંગલા સહિત વધુ 6 ગેરકાયદે મિલ્કતો જમીનદોસ્ત : લોકોએ પોલીસના પગલાંને અવકાર્યો
જામનગરના કુખ્યાત સાયચા વિરુદ્ધ ફરી એકવાર સરકારે કાર્યવાહી હાથ ધરી છે. બેડી વિસ્તારમાં તેણે ગેરકાયદેસર નિર્માણ કરેલા અનેક બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ પહેલાં પણ અનેક વાર સ્થાનિક પ્રશાસને સાયચા ભાઈઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું હતું. જે બાદ હવે ફરી તંત્ર એક્શનમાં આવ્યું છે. લોકોમાં પણ પોલીસ હવે ગુંડાઓને છોડશે નહીં તેવો આશાનો સંચાર થયો છે અને આ પગલાને આવકાર મળી રહ્યો છે.
જામનગરમાં તાજેતરમાં એડવોકેટ હારૂન પલેજાની સરાજાહેર લોકોમાં ભય ફેલાય તે રીતે ક્રૂરતાપૂર્વક હત્યા કરીને ભાગી છૂટેલી સાયચા ગેંગના બંગલાઓ સહિત 6 મિલ્કતો પર આજે SP પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં પોલીસ તથા મામલતદાર કચેરી, મહાપાલિકાની ટીમોએ બુલડોઝર ફેરવી દીધુ હતું. બેડી વિસ્તારમાં સાયચા ગેંગની અગાઉ ૩ મિલ્કતો તોડી પાડયા બાદ આજે આશરે 55000 ચો.ફૂટમાં આવેલ બંગલા સહિત વધુ 6 ગેરકાયદે મિલ્કતોને ધરાશાયી કરીને આ ગેંગને જમીનદોસ્ત કરવા હાથ ધરેલી કડક કાર્યવાહીને સમગ્ર રાજ્યમાં આવકાર મળ્યો છે. પોલીસનો આકરો મિજાજ જોઈને આ ગુંડાતત્વો પ્રત્યે હમદર્દી દાખવતા તત્વો પણ આજે ભોંભીતર થઈ ગયા હતા જ્યારે સાયચા ગેંગના સાગ્રિતો પોલીસનો મિજાજ પારખી નાસી છૂટયા છે.
જામનગરથી વિશેષ અહેવાલ મૂજબ સાયચા ગેંગે શહેરમાં લોકોમાં ભયનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું અને તે સાથે સરકારી જમીન દબાવવી, ગેરકાયદે બાંધકામ સહિત અન્ય નિયમો, કાયદાઓનો બેખૌફ બનીને ભંગ કરાતો હતો. જામનગરના પંચવટી વિસ્તારમાં એક શિક્ષીકાને આ સાયચા ગેંગે આપઘાત કરવા ફરજ પાડી હતી જે અંગેનો ગુનો સિટી બી ડિવિઝનમાં નોંધાયો હતો. આ કેસમાં બે શખ્સોની ધરપકડ થઈ હતી. આ શિક્ષિકાના ભાઈ અને તેમનો કેસ લડતા એડવોકેટ હારૂન પલેજાને અદાલતમાં ધાકધમકી અપાઈ હતી અને તેનો ગુનો પણ આ ગેંગ સામે નોંધાયો હતો. આટલેથી નહીં અટકીને આ ગેંગે તાજેતરમાં જામનગરના એડવોકેટ હારૂન પલેજાની સાયચા ગેંગ દ્વારા ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી.જેમાં 15 શખ્સો સામે ગુનો નોંધાયો છે અને તેને પકડવા પોલીસે ઠેરઠેર જાળ બિછાવી છે. આ ઉપરાંત આ ગેંગે દાદાગીરીથી સરકારી જમીન દબાવીને તેના પર વૈભવી ગેરકાયદે બંગલા ખડકી દીધા હતા જે અંગે પણ પોલીસમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આજે SP પ્રેમસુખ ડેલુ અને પોલીસ સ્ટાફે વહેલી સવારે બેડી વિસ્તારમાં ધસી જઈને સાયચા ગેંગના અગાઉ ત્રણ અને આજે 6 સહિત 9 બંગલા, મિલ્કતો ધરાશાયી કરીને ગુંડાગીરીને નેસ્તનાબુદ કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો જે પગલાને લઈને લોકોમાં પણ પોલીસ હવે ગુંડાઓને છોડશે નહીં તેવો આશાનો સંચાર થયો છે અને આ પગલાને આવકાર મળી રહ્યો છે.