જમ્મુ કાશ્મીરની સુરક્ષા સ્થિતિ અને આગામી અમરનાથ યાત્રાની તૈયારીઓને લઈ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સેનાના ટોચના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી છે. ઉધમપુરમાં ઉત્તરી કમાન્ડ મુખ્યાલયમાં આયોજિત આ બેઠકમાં સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા અને અન્ય સિનિયર અધિકારીઓએ ભાગ લીધો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે 2500 સૈનિકોની સાથે રાજનાથ સિંહે યોગ સત્રમાં ભાગ લીધો
અધિકારીઓએ સંરક્ષણ પ્રધાનને કેન્દ્રશાસિત પ્રદેશમાં હાલની સુરક્ષા વિશેની વધારે જાણકારી આપી. ખાસ કરીને સરહદી વિસ્તારો અને જંગલના વિસ્તારોમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી અભિયાનો પર ચર્ચા થઈ, તે સિવાય 3 જુલાઈથી શરૂ થનારી 38 દિવસની અમરનાથા યાત્રા માટે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાઓ પર પણ ચર્ચા થઈ. રક્ષા મંત્રી શુક્રવારે 2 દિવસના પ્રવાસે ઉધમપુર પહોંચ્યા હતા. શનિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે 2500 સૈનિકોની સાથે યોગ સત્રમાં ભાગ લીધો અને અલગ અલગ યોગાસનોનો અભ્યાસ કર્યો. યોગ સત્ર બાદ તેમને સેનાના અધિકારીઓની સાથે સુરક્ષા સમીક્ષા બેઠક પણ કરી.
અમરનાથ યાત્રાના બે મુખ્ય રસ્તાઓ
અમરનાથ યાત્રા માટે સેનાએ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે, જેથી યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ના કરવો પડે. આ મુસાફરી મુખ્ય રીતે બે રસ્તાથી થાય છે. પ્રથમ રસ્તો અનંતનાગ જિલ્લાના 48 કિલોમીટર લાંબા પહલગામનો રસ્તો છે, જે લોકપ્રિય છે. બીજો રસ્તો 14 કિલોમીટર લાંબો બાલટાલનો છે, જે નાનો છે પણ ખુબ જ ચઢાણ વાળો છે. સેના અને અન્ય સુરક્ષા દળ આ રસ્તાઓ પર કડક નજર રાખે છે.