- બેસતા વર્ષે ભક્તોની ભારે ભીડ
- અંબાજીમાં માતાજીને અન્નકૂટ ધરાવાયો
- સોનાના થાળમાં ધરાવાયો ભોગ
આજે બેસતા વર્ષ નિમિત્તે અંબાજી ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. નવા વર્ષના પ્રારંભે માતાજીની વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી. માતાજીને શિશ નમાવવા માટે ભક્તોનું માનવ મહેરામણ આજે માતાજીના ધામમાં ઉમટી પડ્યું હતું. આજે માતાજીને સોનાના થાળમાં 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો હતો.
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠ આદિશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિરનું બીજું નામ ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે. હાલમાં દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યુ છે અને મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યુ છે.
આજે નૂતન વર્ષના દિવસે અંબાજી મંદિરમાં સવારે મંગળા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ બપોરે 12 વાગે માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. અંબાજી મંદિરમાં અન્નકૂટ આરતી ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. અંબાજી મંદિરમાં નવા વર્ષના દિવસે માતાજીની ગાદી તરફથી અન્નકૂટ ધરાવવામાં આવ્યો.
અંબાજી મંદિરની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે અને બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિર માઈ ભક્તોથી ઉભરાતું જોવા મળ્યુ હતું. માતાજીને બેસતા વર્ષના દિવસે અન્નકૂટનો ભોગ ધરાવાયો હતો. જેમાં અલગ અલગ જાતની મીઠાઈઓ માતાજીને ધરવામાં આવી હતી, જેમાં 100 ઉપરાંતની વાનગીઓ હોય છે. અંબાજી મંદિરમાં સોનાના થાળમાં માતાજીને રાજભોગ ધરાવવામાં આવે છે .સોનાના થાળનું વજન અંદાજે 10 કિલો જેટલું હોય છે. બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિરમાં 3 આરતી થાય છે.સવારે મંગળા આરતી, બપોરે અન્નકુટ આરતી અને સાંજે સાંય આરતી થાય છે. આમ આજે નૂતન વર્ષના પ્રારંભે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીને માથું નમાવી તેમના આશિષ ગ્રહણ કર્યા હતા.


