શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી આજે મતદાન યોજાઈ રહ્યું છે. વોટિંગ સવારે સાત વાગ્યાથી શરૂ થઈ છે, અને સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. ચૂંટણીના પરિણામો 22 સપ્ટેમ્બરે આવવાની શક્યતા છે. અર્થતંત્ર પડી ભાંગ્યા પછી શ્રીલંકામાં આ પ્રથમ ચૂંટણી થઈ રહી છે. આશરે એક કરોડ 70 લાખ મતદારો 13,400થી વધુ પોલિંગ બુથો પર વોટિંગ કરશે. નિષ્પક્ષ ચૂંટણી યોજાવા માટે બે લાખ કરતાં વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
શ્રીલંકામાં યોજાઈ રહેલી ત્રિકોણીય ચૂંટણી હરીફાઈમાં, રાનિલ વિક્રમસિંઘે નેશનલ પીપલ્સ પાવરના 56 વર્ષીય અનુરા કુમારા દિસાનાયકે અને મુખ્ય વિપક્ષી પાર્ટી સામગી જન બાલાવેગયાના 57 વર્ષીય સજીથ પ્રેમદાસા સામે પડકારનો સામનો કરે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ-2022માં શ્રીલંકાની અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે પડી ભાંગી હતી. મોંઘવારી એટલી વધી ગઈ કે લોકોએ તત્કાલીન સરકાર સામે બળવો કર્યો. જેના કારણે તત્કાલિન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું.
શ્રીલંકામાં યોજાનારી ચૂંટણી માટે સુરક્ષા સઘન
શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદ માટે યોજાનારી આ હાઈ વોલ્ટેજ ચૂંટણી માટે સુરક્ષાના તમામ જવાબદારી 63 હજાર પોલસીકર્મીઓને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુલ 38 ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. વર્તમાન રાષ્ટ્રપતિ રાનીલ વિક્રમસિંઘે દેશને આર્થિક સંકટથી બહાર લાવવાના પોતાના પ્રયાસોને લઈ એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે ફરીથી ચૂંટણીના મેદાનમાં છે. ઘણા આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે, વિક્રમસિંઘની આગેવાનીમાં શ્રીલંકાની આર્થિક વ્યવસ્થા ખૂબ ઝડપથી રિકવર થઈ છે.
શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેનો પુત્ર પણ ચૂંટણી મેદાને
મહિન્દા રાજપક્ષે ગોટાબાયા રાજપક્ષના મોટાભાઈ છે. આ બંને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મેદાનમાં નથી. ગોટાબાયા રાજપક્ષેના પુત્ર નમલ શ્રીલંકા પોડુ પેરામુના પાર્ટી (SLPP)તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. અત્યાર સુધીના ચૂંટણી સરવેમાં નમલને દેશના સર્વોચ્ચ પદ માટે મજબૂત ઉમેદવાર તરીકે જોવામાં આવ્યા નથી. બે વર્ષ પહેલા શ્રીલંકાના લોકોએ રાજપક્ષે પરિવાર સામે બળવો કર્યો હતો. તેઓ શ્રીલંકાના રાજકારણમાં રાજપક્ષે પરિવારના એકાધિકારથી છૂટકારો મેળવવા માંગતા હતા. આથી કદાચ નમલને આ ચૂંટણીમાં જનતાનો ટેકો નહીં મળે.
વિક્રમસિંઘેના નેતૃત્વમાં અર્થવ્યવસ્થા પાટા પર આવી
જો કે, શ્રીલંકાને બેલઆઉટ પેકેજ આપવાની સાથે, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)એ દેશમાં આર્થિક સુધારા માટે કડક શરતો લાદી હતી. રાનિલ વિક્રમસિંઘે આ પરિસ્થિતિઓમાં દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પ્રયાસ કરવો પડ્યો હતો.


