‘કરુણાનિધિ અરૂ કૃપાનિધિ, હરિવંશ ઉદાર વૃંદાવન રસ કહન કૌ, પ્રગટ ધર્યો અવતાર.’
માવતાર અને કૃષ્ણાવતારમાં ધર્મના રક્ષણ માટે શસ્ત્રોના ઉપયોગથી અધર્મીઓનો સંહાર કરી ઉદ્ધાર કર્યો હતો, પરંતુ કળિયુગમાં શ્રીકૃષ્ણે પ્રેમલક્ષણા ભક્તિના પ્રચાર-પ્રસાર માટે વલ્લભાચાર્યજી અને હિત હરિવંશ મહાપ્રભુજી તરીકે આ ભૂતલ પર પાદુર્ભાવ કર્યો હતો. વલ્લભાચાર્યજી બાલક અને રાધાકૃષ્ણ અવતાર તરીકે જ્યારે શ્રીહિત હરિવંશ બંસી પ્રેમાવતાર તરીકે પ્રગટ થયા હતા.
આ બંનેએ શસ્ત્રોને બદલે શાસ્ત્રો દ્વારા ઉપદેશ આપ્યો હતો. વલ્લભાચાર્યજીએ ભારતયાત્રા કરી હતી અને જ્યાં જ્યાં ભાગવત પારાયણ કર્યું ત્યાં ત્યાં બેઠકજીની સ્થાપના થઇ એવી 84 બેઠકો હાલમાં અસ્તિત્વમાં છે. જ્યારે પ્રિયા-પ્રિતમ વૃંદાવનધામમાં જ બિરાજમાન હોઇ હિત હરિવંશ મહાપ્રભુજી રાધાજીની સેવામાં હોવાને કારણે વૃંદાવન છોડી બીજે ક્યાંય ગયા ન હતા અને એક જ સ્થળે રહીને ઉપદેશ આપ્યો હતો. વિકલ્પ તરીકે ફક્ત એક વખત રાધાકુંડ ઉપર આમંત્રણ મળવાથી ગયા હતા અને હાલમાં ત્યાં તેમની બેઠક-પગલાં છે. બંને મહાપ્રભુજીઓ સમકાલીન છે.
551 વર્ષ પૂર્વે માતા તારામતી, પિતા વ્યાસમિશ્રજીને ત્યાં ઉત્તરપ્રદેશના સહરાનપુર જિલ્લામાં દેવવંદ ગામમાં વિક્રમ સંવત 15૩0માં વૈશાખ સુદ અગિયારસના શુભદિને અનુરાધા નક્ષત્રમાં પ્રિયા-પ્રિતમની લીલાઓના વિસ્તાર અર્થે શ્રી રાધા વલ્લભલાલના રસ સ્વરૂપ, પ્રેમાવતાર, રસાવતાર અને વૃંદાવન પ્રાગટ્યવતાર શ્રી હિત હરિવંશચંદ્ર મહાપ્રભુજીનો પાદુર્ભાવ થયો હતો. દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણે બંસીનાદથી હિતરસનીતિનો પ્રવાહ વહેવડાવ્યો હતો. એ જ પ્રવાહ મહાપ્રભુજીએ પોતાની વાણી દ્વારા કળિયુગમાં વહેવડાવ્યો. તેઓ શ્રીકૃષ્ણની પ્રાણપ્યારી વાંસળીના અવતારરૂપે હોઇ બંસી અવતાર તરીકે ખ્યાતનામ થયા. દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણે પ્રેમનું પરિવર્તન બંસી દ્વારા કર્યું હતું. આ ભાવ રાસલીલા દ્વારા પ્રગટ થયો હતો. તે ભાવ મહાપ્રભુજીએ કલિયુગમાં પોતાની વાણી દ્વારા પ્રગટ કર્યો, પરંતુ તે વખતે પ્રેમથી પણ કોઇ અન્ય ભાવનું તેમાં સંમિશ્રણ થયું હતું. તે અલગ ભાવ અલગ રીતે પ્રગટ થતાં શ્રીકૃષ્ણે અંતર્ધા થવું પડ્યું હતું. રાસલીલાની અખંડિતતા કાયમી રાખવા અને કલિયુગમાં જીવોના કલ્યાણ માટે રાસલીલાનું પ્રવર્તન રહે તે હેતુથી શ્રીકૃષ્ણની મોરલીમાં રાધાજીની ઇચ્છા અને શ્રીકૃષ્ણની આજ્ઞા પ્રમાણે નિર્ધારિત થયા મુજબ હરિવંશ મહાપ્રભુજી તરીકે અવતાર ધારણ કર્યો હતો.
વ્યાસમિશ્રજી અને તારામતીને ત્યાં મહાપ્રભુજીના જન્મના સમાચાર ગામવાસીઓના કાને પડતાંની સાથે જ ગામવાસીઓ હર્ષઘેલા થઇને વધામણી આપવા દોડી આવ્યા. પરસ્પર હળદર, દહીં, કેસર, અત્તર અને અબીલગુલાલ છાંટીને વાજિંત્રો સાથે નાચગાન કરવા લાગ્યાં અને નાચતાં નાચતાં ગાવા લાગ્યા કે:
‘શુભ મંગલ દિવસ છે આજ પ્રગટ્યો
હિતહરિવંશ રસિક સરતાજ’
જોતજોતાંમાં છ દિવસ પૂરા થતાં છઠ્ઠીએ મંગળ પૂજન થયું. દસમા દિવસે નામકરણ સંસ્કાર થયા ને બાળકનું નામ પરમ રસમય ‘હિતહરિવંશ’ રાખવામાં આવ્યું. કોઇ ઉત્સાહી વ્રજબાળા હરિવંશને કહેતી, ‘અરે, ઓ હરિલાલા રાધે રાધે બોલ’ બસ, રાધા નામ સાંભળતાં જ તેઓ ખડખડાટ હસી પડતા અને કારણવશાત્ જો ઉદાસ થતા તો પણ રાધા નામ સાંભળતાં જ પ્રફુલ્લિત થઇ જતા. હરિવંશને ખુશ કરવા બાળસુલભ રમકડાં નહીં, પરંતુ કેવળ રાધાનું નામ જ જરૂરી હતું. છ માસની ઉંમરે પારણામાં ઝૂલતાં ઝૂલતાં તેઓ સુંદર શ્લોકોનું રટણ કરવા લાગ્યા. જે પાછળથી આ 170 શ્લોકો રાધા સુધાનિધિ સ્તવનના નામથી જાણીતા થયા.
તેમની બાળલીલાઓ અદ્ભુત અને અનન્ય છે. બાલ્યકાળમાં જદિવ્ય ચમત્કારોએ મહાપુરુષનો સંકેત આપી દીધો હતો. પાંચ વર્ષની ઉંમરે દિવ્ય શક્તિના જ્ઞાનચક્ષુ પ્રાપ્ત થઇ ગયા હતા. આઠ વર્ષની ઉંમરે યજ્ઞોપવીત સંસ્કાર થયા ને બધાં જ શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો. સોળ વર્ષની ઉંમરે રુક્મિણીદેવી સાથે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો, પરંતુ તેમની ધાર્મિક નિષ્ઠામાં કોઇ જ ફેર પડ્યો નહીં. ગૃહસ્થાશ્રમનું પાલન કરતાં કરતાં તેઓ મહાન ભક્ત બની ગયા.
એક વખતે હરિવંશ વૃંદાવન તરફ પ્રયાણ કરતા હતા ત્યારે તેઓને રાધાજીનાં દર્શન થયાં. રાધાજીની આજ્ઞા અનુસાર ચિથાવલના આત્મદેવ બ્રાહ્મણની કૃષ્ણદાસીજી અને મનોહરીજી નામની બે કન્યાઓ સાથે તેમણે બીજાં લગ્ન કર્યાં. આત્મદેવે શ્રીરાધા વલ્લભલાલની મૂર્તિ હરિવંશને ભેટમાં આપી. જેને પાલખીમાં પધરાવીને શ્રીધામ વૃંદાવનમાં તેઓ પહોંચી ગયા. યાત્રાનો પહેલો પડાવ યમુનાતટ પર મદનટેર પર નાખ્યો અને યમુનાજીની સ્તુતિ કરી જે આજે પણ યમુનાષ્ટક તરીકે જગપ્રસિદ્ધ છે.
શ્રી હિત હરિવંશ મહાપ્રભુજી વૃંદાવન ગયા ત્યારે વૃંદાવન તુલસીનું મહાવન હતું અને ત્યાં રાજા નરવાહનનો મહાજુલમ હતો, પરંતુ હરિવંશજીએ નરવાહનને પ્રેમથી જીતી લીધો અને તે તેમનો પ્રથમ શિષ્ય બન્યો. હરિવંશના પ્રભાવ માત્રથી કેટલાક વ્રજવાસીઓ તેમના શિષ્ય બની ગયા. વૃંદાવનમાં નિવાસ કરતા તેમણે સાધના માટે ચાર સ્થળો માનસરોવ2, સેવાકુંજ, વિહારઘાટ અને ગોવિંદઘાટ પાસે રાસમંડળ અને બંસીતટની સ્થાપના કરી. સેવાકુંજમાં 1565ના કારતક સુદ-1૩ના દિવસે રાધાવલ્લભનો પ્રથમ પાટોત્સવ ઊજવ્યો. ત્યારબાદ બાદગામ ખાતે ઠાકોરજીને બિરાજમાન કર્યા. અષ્ટયામ સેવાપદ્ધતિની રીતરસમ બતાવી તેમણે હિતચૌરાસીજી, સ્ફુટવાણીજી અને રાધાસુધાનિધિ જેવા અમૂલ્ય ગ્રંથોની રચના કરી.
શ્રી હિત હરિવંશની ઉપાસનામાં શ્રીરાધાજી જ ઉચ્ચ સ્થાને છે. શ્રી હિત હરિવંશ નામનું સ્મરણ, ચિંતન, જપ, ધ્યાન તથા દર્શનથી કુસંસ્કારો દૂર થાય છે. પાપ બળી જતાં હૃદયમાં શીતળતા, કોમળતા પ્રગટે છે. અંધકાર દૂર થાય છે. સેવકજી મહારાજે પણ પોતાના ગુરુ હરિવંશને સર્વસુખના સિંધુ કહ્યા છે. તેમણે હરિદૃષ્ટિ અને ગુરુને અભેદ માન્યા છે. આમ, હરિવંશ તો સેવકજીના ઈષ્ટ, હરિ, ઉપાસ્ય અને સર્વસ્વ છે.