શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે 17 જૂનથી 2 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થશે, જેમાંથી બંને મેચ ગોલ મેદાન પર રમાશે. શ્રીલંકા ક્રિકેટે પ્રથમ મેચ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં કુલ 6 અનકેપ્ડ ખેલાડીઓનો સમાવેશ થાય છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ચોથા સીઝનમાં શ્રીલંકાની આ પ્રથમ ટેસ્ટ સિરીઝ હશે, જેમાં તેઓ શાનદાર શરૂઆત કરવાનો પ્રયાસ કરશે.
એન્જેલો મેથ્યુસ રમશે પોતાના કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ
વર્લ્ડ ક્રિકેટના દિગ્ગજ ઓલરાઉન્ડર પ્લેયર્સમાંથી એક શ્રીલંકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યુઝે ગયા મહિને જાહેરાત કરી હતી કે તેઓ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ રમ્યા બાદ આ ફોર્મેટમાંથી સંન્યાસ લેશે.
પહેલી ટેસ્ટ મેચ માટે શ્રીલંકાની ટીમની વાત કરીએ તો એન્જેલો મેથ્યુઝ સિવાય દિનેશ ચાંદીમલ અને કુસલ મેન્ડિસ જેવા સીનિયર પ્લેયર્સને પણ તેમાં સ્થાન મળ્યું છે. ઝડપી બોલર લાહિરુ કુમારા પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાને કારણે ટીમનો ભાગ બની શક્યો ન હતો.
6 અનકેપ્ડ ખેલાડીઓને પણ મળ્યું સ્થાન
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ માટે ધનંજય ડી સિલ્વા શ્રીલંકાની ટીમની કેપ્ટનશિપ સંભાળશે, જ્યારે પહેલી મેચ માટે 6 અનકેપ્ડ ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં લાહિરુ ઉડારા, પાસિન્દુ સોરિયાબંડારા, સોનલ દિનુષા, પવન રત્નાયકે, થારિન્દુ રત્નાયકે અને ઈસિથા વિજેસુંદરાના નામ સામેલ છે.
આ સિરીઝની પહેલી મેચ 17 થી 21 જૂન દરમિયાન રમાશે, જ્યારે બીજી મેચ 25 થી 29 જૂન દરમિયાન રમાશે. બાંગ્લાદેશે આ ટેસ્ટ સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી હતી, જેના માટે ટીમ 12 જૂને શ્રીલંકા પણ પહોંચી હતી. આ પ્રવાસ પર, 2 ટેસ્ટ મેચની સિરીઝ સિવાય બાંગ્લાદેશને ત્રણ ODI અને ત્રણ T20 મેચની સિરીઝ પણ રમવાની છે.
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે શ્રીલંકાની ટીમ
ધનંજય ડી સિલ્વા (કેપ્ટન), પથુમ નિસાંકા, ઓશાદા ફર્નાંડો, લાહિરુ ઉડારા, દિનેશ ચાંદીમલ, કુસલ મેંડિસ, કામિંદુ મેન્ડિસ, એન્જેલો મેથ્યુસ, પસિંડા સોરિયાબંડારા, સોનલ દિનુશા, ઈસિથા વિજેસુંદરા, પવન રત્નાયકે, અકીલા ધનંજય, મિલન રત્નાયકે, અસિથા ફર્નાંડો, કસુન રજિયા, પ્રભાત જયસૂર્યા.