દ્વાપર યુગમાં પોતાની નૈમિત્તિક લીલાના સમયે માત્ર સાત વર્ષની ઉંમરમાં શ્રીકૃષ્ણએ વ્રજવાસીઓને ઈન્દ્રના કોપને કારણે થઈ રહેલી ભારે વર્ષાથી બચાવવા માટે પોતાના ડાબા હાથની કનિષ્ઠિકા આંગળી પર ગોવર્ધન પર્વતને સાત દિવસ સુધી ધારણ કર્યો હતો. દેવરાજ ઈન્દ્રનો ઘમંડ ઉતારવાના કારણે તેઓ `ઈન્દ્રદમન’ કહેવાયા. કાલિ નાગનું દમન કરીને તેઓ `નાગદમન’ તથા બ્રહ્મા, વરુણ, યમરાજ, કામદેવ વગેરેનું માન-મર્દન કરીને `દેવદમન’ના નામથી પ્રસિદ્ધ થયા. કળિયુગમાં તેઓ જ ગિરિરાજ ગોવર્ધન પર પ્રગટ થઈને શ્રીનાથજીના નામથી પ્રસિદ્ધ થયા.
ભગવાન શ્રીનાથજીની પ્રાગટ્યકથા
ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના ભક્તોની વિનંતી પર વચન આપ્યું કે, સમસ્ત જીવોના કલ્યાણ માટે કળિયુગમાં હું વ્રજલોકમાં શ્રીનાથજીના નામથી પ્રગટ થઈશ. પોતાના વચનને પૂરું કરવા માટે વ્રજલોકમાં મથુરાની નજીક જતીપુરા ગામમાં ગોવર્ધન પર્વત પર ભગવાન શ્રીનાથજી પ્રગટ થયા. પ્રાગટ્યનો સમય જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ શ્રીનાથજીની લીલાઓ શરૂ થઈ ગઈ. વ્રજવાસીઓની ગાયો ઘાસ ચરવા માટે ગોવર્ધન પર્વત પર જતી હતી. તેમાંથી સદુ પાંડેની ઘુમર નામની ગાય પોતાનું થોડું દૂધ શ્રીનાથજીના લીલા સ્થળ પર અર્પણ કરતી હતી. ઘણા સમય સુધી આ ક્રમ ચાલુ રહેતા વ્રજવાસીઓમાં કુતૂહલ જાગ્યું કે આખરે આ શું લીલા છે, તેમણે શોધખોળ આદરી. શોધખોળના પરિણામ સ્વરૂપ તેમને ગિરિરાજ પર્વત પર શ્રીનાથજીની ડાબી ઉર્ધ્વ ભુજાનાં દર્શન થયાં. વ્રજવાસીઓને આ દૈવીય ચમત્કાર લાગ્યો અને પ્રભુની ભવિષ્યવાણી સત્ય પ્રતીત થવા લાગી. વ્રજવાસીઓએ ઉર્ધ્વ ભુજાની પૂજા-આરાધના શરૂ કરી દીધી. થોડા સમય પછી સંવત 1535ની વૈશાખ વદ અગિયારસે ગિરિરાજ પર્વત પર શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું અને ત્યારબાદ સંપૂર્ણ શરીરનું પ્રાગટ્ય થયું. વ્રજવાસીઓ શ્રદ્ધા અનુસાર શ્રીનાથજીની સેવા-આરાધના કરતા રહેતા.
એક તરફ વ્રજલોકમાં લીલાઓ ચાલી રહી હતી, જ્યારે બીજી તરફ મહાપ્રભુ વલ્લભાચાર્યજી સંવત 1549ની ફાગણ સુદ અગિયારસે પોતાની ઝારખંડની યાત્રામાં શુદ્ધાદ્વૈતનો પ્રચાર કરી રહ્યા હતા. શ્રીનાથજીએ તેમને સ્વપ્નમાં દર્શન આપીને આદેશ આપ્યો કે વ્રજલોકમાં મારું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, તમે અહીં આવો અને મને પ્રતિષ્ઠિત કરો, તેથી મહાપ્રભુજીએ પોતાની ઝારખંડની યાત્રા અધવચ્ચે છોડીને મથુરા થઈને જતીપુરા પહોંચ્યા. જતીપુરામાં વ્રજવાસીઓએ તેમને દેવદમન (શ્રીકૃષ્ણ)ના શ્રી ગોવર્ધન પર્વત પર પ્રગટ થવાની વાત જણાવી. મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ વ્રજવાસીઓને જણાવ્યું કે ભગવાન શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું છે, આ સાંભળી વ્રજવાસીઓ હર્ષિત થયા. મહાપ્રભુ વલ્લભાચાર્યજી બધાને સાથે લઈને ગોવર્ધન પર્વત પર પહોંચ્યા અને ત્યાં શ્રીનાથજીના ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું તથા સેવા-આરાધના કરવાની વિધિવત્ જાણકારી આપી.
મુગલોના શાસનનો સમય ચાલી રહ્યો હતો. પ્રભુએ હજુ પણ કેટલીક લીલાઓ કરવાની હતી. બીજી બાજુ એ સમયનો મુગલ સમ્રાટ ઔરંગઝેબ હિંદુ આસ્થાના સ્થાનસમાં મંદિરોને નષ્ટ કરી રહ્યો હતો. મેવાડમાં ભગવાન શ્રીનાથજીએ પોતાની પરમ ભક્ત મેવાડની રાજકુમારી અજબકુંવરબાઈને આપેલું વચન પૂરું કરવા ત્યાં પધારવાનું હતું. ભગવાને લીલા રચી. શ્રી વિઠ્ઠલનાથજીના પૌત્ર દામોદરજી, તેમના કાકા ગોવિંદજી, બાલકૃષ્ણજી તથા વલ્લભજીએ ઔરંગઝેબના અત્યાચારોની વાત સાંભળીને ચિંતિત થઈને ભગવાન શ્રીનાથજીને સુરક્ષિત સ્થાન પર લઈ જવાનો નિર્ણય કર્યો. ભગવાનની આજ્ઞા લઈને તેઓ મૂર્તિને ગાડામાં મૂકીને ચાલવા લાગ્યા. રસ્તામાં આવનારાં બધાં જ રાજ્યો (આગરા, કિશનગઢ, કોટા, જોધપુર)ના રાજાઓને તેમણે ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવવાનો આગ્રહ કર્યો, પરંતુ કોઈ પણ રાજા મુગલ સમ્રાટ ઔરંગઝેબ સાથે દુશ્મની કરવાનું સાહસ ન કરી શક્યા. જોકે, બધાએ ગુપ્ત રીતે થોડા સમય માટે રાખવા માટે જણાવ્યું, પરંતુ ભગવાનની લીલાનો સમય હજુ નથી આવ્યો તેમ માનીને તેઓ બધા ભગવાનની મૂર્તિને લઈને આગળ ચાલવા લાગ્યા.
તેઓ જ્યારે ભગવાનની મૂર્તિ સાથે મેવાડ પધાર્યા ત્યારે રથનું પૈડું સિંહાડ ગામ (વર્તમાન શ્રીનાથદ્વારા)માં આવીને માટીમાં ખૂંપાઈ ગયું. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ પૈડું બહાર ન નીકળ્યું. તેઓએ આ પ્રભુની લીલા જ છે તેવું માનીને ભગવાનને અહીં જ વિરાજમાન કરાવવાનો નિર્ણય કર્યો. તત્કાલીન મહારાજા શ્રી રાજસિંહજીએ ભગવાનનું સ્વાગત કરીને વચન આપ્યું કે હું શ્રીનાથજીને મારા રાજ્યમાં પધરાવું છું. પ્રભુના સ્વરૂપની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી લઉં છું. તમે ભગવાનને અહીં જ વિરાજમાન કરાવો. સંવત 1728 ફાગણ વદ સાતમના દિવસે ભગવાન શ્રીનાથજી (નાથદ્વારાના વર્તમાન મંદિર)ને મંદિરમાં પધરાવવામાં આવ્યા અને ભવ્ય પાટોત્સવનું આયોજન થયું ત્યારથી સિંહાડ ગામ શ્રીનાથદ્વારાના નામથી પ્રસિદ્ધ થયું અને ત્યારથી ભગવાન શ્રીનાથજીના લાખો ભક્તો દર વર્ષે શ્રીનાથદ્વારા આવીને શ્રીનાથજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. દર વર્ષે મહા વદ સાતમના દિવસે શ્રીનાથદ્વારા સહિત સમગ્ર ભારતમાં શ્રીનાથજી પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે.
શ્રીનાથદ્વારા
શ્રીનાથદ્વારા સમગ્ર દુનિયામાં વસતા વૈષ્ણવો માટે અગત્યનું તીર્થધામ છે. શ્રીનાથજીનું મંદિર સાક્ષાત્ શ્રીનંદબાબાની હવેલી સમાન બનેલું છે. મંદિર પરિસરમાં જ ઘણાં દર્શનીય સ્થળ છે, જેમાંથી કેટલાંક આ પ્રમાણે છે.
- નિજ મંદિર : શ્રીનાથજીનું મુખ્ય મંદિર
- મણિ કોઠા : જ્યા કીર્તનકાર હવેલી સંગીતનું કીર્તનગાન કરવા તથા છડીદાસજી પોતાની છડી તથા અન્ય સેવકગણોની સાથે ભગવાનની સેવા માટે ઊભા હોય છે.
- ડોલ તિબારી : જ્યાં ઊભા રહીને શ્રીનાથજીનાં દર્શન કરી શકાય છે.
- કીર્તનિયા ગલી : જ્યાં કીર્તનકાર પોતાનાં સાજ-સાધનો રાખે છે તથા દર્શન પહેલાં અને પછી મધુર રાગ-રાગિણીઓનું ગાન કરે છે.
- ચક્રરાજ સુદર્શનજી : અહીં ધ્વજા ફરકાવવામાં આવે છે. શ્રીનાથજીનું મંદિર પુષ્ટિમાર્ગમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં ધ્વજા ફરકાવવામાં આવે છે.
- કમલ ચોક : આ ચોકની બરાબર મધ્યમાં માર્બલથી કમળ આકાર બનાવવામાં આવેલો છે તથા તે શ્રીનાથજીના રાસસ્થળ તરીકે ઓળખાય છે.
- ધ્રુવ બારી : અહીં મુગલ સમ્રાટ ઔરંગઝેબે શ્રીનાથજીનો ચમત્કાર જોઈને પોતાની ધૃષ્ટતા છોડીને દર્શન કર્યાં હતાં.
- પાનઘર : શ્રીનાથજીને પાન ખૂબ જ પ્રિય છે. અહીં પાનનાં બીડાં બનાવીને પ્રસાદી તરીકે ઠાકોરજીને ધરાવાય છે, ત્યારબાદ ભક્તોને આપવામાં આવે છે.
- સોના-ચાંદીની ઘંટી : ઠાકોરજીની સેવા માટે દરરોજ અેટલાં કેસર-કસ્તૂરીની જરૂર પડે છે કે તેને પીસવા માટે ઘંટીની જરૂર પડે છે. અહીં તમે તે સોના-ચાંદીની ઘંટીનાં દર્શન કરી શકો છો. આ સિવાય શાકઘર, મિસરીઘર, દૂધઘર, પાતળઘર વગેરે આવેલાં છે.
- ફૂલઘર : વિવિધ ફૂલો વગર ઠાકોરજીના શૃંગારની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. વિવિધ પ્રકારનાં ફૂલ અહીંથી દરરોજ સેવા માટે કામમાં લેવાય છે.
શ્રીનાથજીનું સ્વરૂપ
શ્રીનાથજીની મૂર્તિ કોઈ શિલ્પકારે નથી બનાવી. શ્રીનાથજી કળિયુગમાં જીવોના ઉદ્ધાર માટે વ્રજમંડળમાં ગિરિરાજ પર સ્વયં પ્રગટ થયા છે. તેમનું સ્વરૂપ ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો તે સમયનું છે. શ્રીનાથજીનો શ્યામ રંગ શૃંગાર રસનો દ્યોતક છે. ડાબી (ઉર્ધ્વ) ભુજા દ્વારા તેઓ ભક્તોને નિજ શરણમાં આશ્રય લેવા માટે બોલાવે છે. જમણી ભુજાની મુઠ્ઠી દર્શાવે છે કે ભગવાન પોતાના ભક્તોનું મન પોતાની મુઠ્ઠીમાં બંધ કરીને તેને હંમેશ માટે પોતાની સાથે જોડી દે છે. નેત્ર ઝૂકેલાં અને દૃષ્ટિ ચરણારવિંદ તરફ છે. તેઓ શરણાગત જીવોને કૃપાદૃષ્ટિથી જોઈ રહ્યા છે. જમણી ભુજા કટિ (કમર) પર હોવાનો અર્થ એ છે કે કટિ વાસનાનું સ્થાન છે અને તેમાંથી છોડાવનાર શ્રીનાથજી જ છે. તેમના ગળામાં રહેલી માળા યોગમાળાનું સ્વરૂપ છે. ભગવાન શ્રીનાથજી નિર્ગુણ-નિરાકાર બ્રહ્મનું સાકાર-સગુણ સ્વરૂપ છે. તેઓ સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ છે.