સ્ટાફ પર અત્યાચાર અને ગોલમાલના આક્ષેપો વચ્ચે સર્જાયા અનેક સવાલો
આરોગ્ય અધિકારી પાસે ફરિયાદીઓ માટે છે એક જ શબ્દ ‘ગેટ આઉટ’?
અગ્ર ગુજરાતના એક પછી એક પર્દાફાશ છતાં તંત્ર મૌન : એક્સપાયરી દવાઓથી લઈ નકલી દર્દીઓ સુધીના કૌભાંડો સામે આવ્યા
સ્ટાફ પર અત્યાચાર, અપ્રમાણિત લોકો ફરજ પર, આરોગ્ય અધિકારીની ભૂમિકા પર ઉઠ્યા ગંભીર સવાલ
ફરિયાદ સાંભળવાના બદલે સ્ટાફને તતડાવી કાઢી મૂકાય છે : રજુઆત કરવા ગયેલા કર્મચારીઓને નથી મળતો સમય : ‘ન્યાય’ નહીં, માત્ર ઠપકો અને અપમાનનો કરવો પડે છે સામનો
ખુલાસા માટે માત્ર એક-બે દિવસની મુદત : આરોગ્ય વિભાગમાં અધિકારીશાહીનો દબદબો?
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં કાર્યરત કેટલાક સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ચાલતી ગેરરીતિઓ અને બેદરકારી અંગે છેલ્લા થોડા સમયથી ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને શહેરના અલગ અલગ આરોગ્ય કેન્દ્રોમાં ચાલી રહેલા ગોલમાલ અંગે અગ્ર ગુજરાત દ્વારા સતત એક પછી એક ખુલાસા કરવામાં આવ્યા હોવા છતાં તંત્ર તરફથી કોઈ દૃશ્યમાન કાર્યવાહી ન થવાથી અનેક શંકાઓ જન્મી રહી છે. જાહેર આરોગ્ય સેવાઓ માટે સ્થાપિત આ કેન્દ્રોમાં જો બેદરકારી અને ગેરવહીવટનો આક્ષેપ થાય અને છતાં જવાબદાર તંત્ર નિષ્ક્રિય રહે તો તે સમગ્ર વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
અગ્ર ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલોમાં આરોગ્ય કેન્દ્રોમાં ચાલતા અનેક કૌભાંડો સામે આવ્યા હતા. જેમાં સૌથી પહેલા એક્સપાયરી થયેલી દવાઓનો જથ્થો રાખવાનો મુદ્દો સામે આવ્યો હતો. દર્દીઓની સારવાર માટે આપવામાં આવતી દવાઓ જો સમયમર્યાદા પૂરી થયેલી હોય તો તે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. છતાં આવી દવાઓ આરોગ્ય કેન્દ્રમાં જથ્થાબંધ રીતે રાખવામાં આવતી હોવાનો આક્ષેપ ગંભીર માનવામાં આવે છે.
આ પછી બીજા ખુલાસામાં દર્દીઓની સંખ્યા અંગે ગેરરીતિનો મુદ્દો સામે આવ્યો હતો. કેટલીક જગ્યાએ હકીકતમાં જેટલા દર્દીઓ સારવાર લેવા આવે છે તેનાથી ઘણી વધારે સંખ્યા દર્શાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગમાં રિપોર્ટિંગ અને આંકડાકીય માહિતીના આધારે અનેક યોજનાઓ અને નાણાંકીય ફાળવણી નક્કી થતી હોય છે. જો દર્દીઓની સંખ્યા ખોટી રીતે વધારી બતાવવામાં આવે તો તે સમગ્ર સિસ્ટમને ગેરમાર્ગે દોરે છે.
અહેવાલોમાં એ પણ બહાર આવ્યું હતું કે કેટલાક નાગરિકોને સામાન્ય તકલીફ હોવા છતાં ગંભીર બીમારીઓ તરીકે નોંધવામાં આવે છે. આ રીતે દર્દીઓના રોગનું વર્ગીકરણ ખોટું દર્શાવવું પણ એક ગંભીર ગેરરીતિ ગણાય છે. કારણ કે આરોગ્ય સંબંધિત આંકડાઓના આધારે સરકાર નીતિઓ ઘડે છે અને જો તે આંકડાઓ જ ખોટા હોય તો તેના પરિણામો દૂરગામી બની શકે છે.
આ તમામ પર્દાફાશ વચ્ચે વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી હતી. આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવવા માટે જે સ્ટાફની સત્તાવાર નિમણૂક થયેલી છે તેના બદલે અન્ય લોકો કામ કરતા હોવાનો આક્ષેપ થયો હતો. કેટલાક સ્થળોએ તો એવી વ્યક્તિઓ ફરજ બજાવતા જોવા મળ્યા હતા જેમની સત્તાવાર રીતે નિમણૂક જ થયેલી નથી.
બજરંગવાડી આરોગ્ય કેન્દ્રનો એક બનાવ તો ખાસ ચર્ચાનો વિષય બન્યો હતો. અહીં એક ખૂબ જ નાની ઉંમરની દીકરી ડોક્ટર સાથે ફરજ બજાવતી જોવા મળી હતી. જણાવવામાં આવ્યું હતું કે આ દીકરીની ઉંમર આશરે 15 થી 16 વર્ષ જેટલી હશે. માત્ર એટલું જ નહીં, ડોક્ટર દ્વારા લખવામાં આવતી દવાઓ પણ આ જ નાની ઉંમરની દીકરી દર્દીઓને આપી રહી હોવાનું પણ સામે આવ્યું હતું. આ સમગ્ર ઘટનાના પુરાવા પણ જાહેર કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો આ વાત સાચી હોય તો તે આરોગ્ય વ્યવસ્થાની ગંભીર બેદરકારી દર્શાવે છે.
આ તમામ મુદ્દાઓ સામે આવ્યા છતાં તંત્ર તરફથી કોઈ કડક કાર્યવાહી થતી જોવા મળી નથી. અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ એવું પણ કહેવામાં આવ્યું હતું કે કૌભાંડની તપાસ કરતાં તેના ખુલાસા કોના કારણે થયા તે શોધવામાં વધુ રસ દાખવવામાં આવ્યો હતો. આ પ્રકારની પ્રવૃત્તિઓને લઈને લોકોએ પણ સવાલ ઉઠાવ્યા છે કે શું ગેરરીતિઓને દબાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે?
અગ્ર ગુજરાત દ્વારા એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે રાજકોટ શહેરના અનેક આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની સંખ્યા અંગે મોટા પાયે ગોલમાલ ચાલી રહી છે. ખાસ કરીને બજરંગવાડી આરોગ્ય કેન્દ્ર, ભોમેશ્વરવાડી આરોગ્ય મંદિર અને ગાયત્રીધામ આરોગ્ય મંદિર જેવા સ્થળોના કૌભાંડો સામે આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ મુદ્દાઓ શાંત થયા નથી ત્યાં જ હવે શહેરના વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્રમાં ચાલતી વહીવટી ગેરરીતિઓ અને સ્ટાફ સાથેના વર્તન અંગે પણ ચર્ચા તેજ બની છે. છેલ્લા બે ત્રણ દિવસથી અહીંના સ્ટાફ સાથે થતી ગેરવર્તણૂક અંગે શહેરમાં ચર્ચાઓ ચાલી રહી છે.
આ સમગ્ર મામલે એક સામાન્ય બાબત સતત સામે આવી રહી છે કે આટલા મોટા આક્ષેપો અને પર્દાફાશ છતાં આરોગ્ય વિભાગના અધિકારી તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. આરોગ્ય અધિકારી વાકાણીની ભૂમિકા અંગે પણ હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે આક્ષેપ છે કે તેઓ માત્ર નિવેદનબાજીમાં વ્યસ્ત રહે છે પરંતુ મૂળ સમસ્યાઓને ઉકેલવા માટે કોઈ અસરકારક પગલાં લેતા નથી.
નીચલા સ્તરના કેટલાક સ્ટાફ સભ્યોનો એવો પણ આક્ષેપ છે કે તેઓને પોતાની સમસ્યાઓ અથવા ફરિયાદો લઈને ઉપરના અધિકારીઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમને યોગ્ય રીતે સાંભળવામાં આવ્યા નહોતા. કેટલાક કોન્ટ્રાક્ટ આધારિત સ્ટાફ સભ્યો અગાઉ ફરિયાદ લઈને આરોગ્ય અધિકારી પાસે પહોંચ્યા હતા ત્યારે તેમને માત્ર એક જ જવાબ મળ્યો હતો.. “ગેટ આઉટ”.
આ પ્રકારના વર્તનના આક્ષેપો સામે આવતા હવે પ્રશ્ન ઊભો થયો છે કે જો સ્ટાફ પોતાની સમસ્યાઓ રજૂ કરવા માટે અધિકારીઓ સુધી જઈ શકતો ન હોય તો તે ન્યાય ક્યાંથી મેળવશે?
હાલમાં વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા બે મહિલા સ્ટાફ સભ્યો નર્સ ભારતીબેન પરમાર અને એપ્રેન્ટિસ મીરાબેન ડાંગર એ પણ પોતાના પર થતા અત્યાચાર અંગે અવાજ ઉઠાવ્યો હોવાનું જાણવા મળે છે. બંનેના નિવેદન મુજબ તેઓ ઉપરી અધિકારીઓ તેમજ ખાસ કરીને આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત એક કર્મચારી કિરણબેન ચૌહાણના વર્તનથી પરેશાન હતા.
આક્ષેપ છે કે કિરણબેન ચૌહાણ ઉપરી અધિકારીઓના માનીતા તરીકે ઓળખાય છે અને આરોગ્ય કેન્દ્રમાં તેમના કહેવા મુજબ જ અનેક બાબતો ચાલે છે. આ કારણે અન્ય સ્ટાફ સભ્યો પર અનાવશ્યક દબાણ અને માનસિક તાણ ઉભું થાય છે.
બંને મહિલા સ્ટાફના નિવેદન પરથી એવું પણ જણાય છે કે આરોગ્ય કેન્દ્રની અંદરની ઘણી બાબતોની માહિતી સીધી આરોગ્ય અધિકારી સુધી પહોંચતી હોય છે. પછી તે સ્ટાફના વ્યક્તિગત પ્રશ્નો હોય કે આરોગ્ય કેન્દ્રની વહીવટી બાબતો, બધું જ ઉપર સુધી પહોંચે છે. છતાં સમસ્યાઓનું સમાધાન થતું નથી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
આરોગ્ય કેન્દ્રોમાં નીચલા સ્તરના સ્ટાફ પાસેથી ભારે કામ લેવામાં આવે છે અને ઘણી વખત તેમને માનસિક રીતે દબાણમાં રાખવામાં આવે છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી આ પરિસ્થિતિ હવે સહનશક્તિની બહાર જઈ રહી છે તેમ કેટલાક સ્ટાફ સભ્યો કહી રહ્યા છે.
અત્યારે સ્થિતિ એવી બની છે કે એક પછી એક ફરિયાદો બહાર આવવા લાગી છે. જેના કારણે સમગ્ર મામલો હવે માત્ર એક આરોગ્ય કેન્દ્ર સુધી સીમિત રહ્યો નથી પરંતુ શહેરની આરોગ્ય વ્યવસ્થાની કામગીરી પર જ પ્રશ્નચિહ્ન ઉભું કરી રહ્યો છે.
આ મામલો એટલો ગંભીર બની ગયો છે કે હવે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ તેમાં સીધી દખલ લેવાની જરૂરિયાત જણાઈ રહી છે. ઘણા લોકોનું માનવું છે કે મ્યુનિસિપલ કમિશનરે આ સમગ્ર મુદ્દાને ગંભીરતાથી લઈને સ્વતંત્ર તપાસ કરાવવી જોઈએ. જો ખરેખર ગેરરીતિઓ થઈ રહી હોય તો જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
હાલ મહાનગરપાલિકામાં વહીવટી શાસન લાગુ થઈ ચૂક્યું છે. તેથી હવે વહીવટી અધિકારીઓ દ્વારા આ મામલે શું પગલાં લેવામાં આવે છે તે મહત્વનું બનશે. આરોગ્ય કેન્દ્રોમાં કામ કરતા નીચલા સ્ટાફને ન્યાય મળે છે કે નહીં અને ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી થાય છે કે નહીં તે બાબત પર શહેરના નાગરિકો તથા સંબંધિત કર્મચારીઓની નજર ટકેલી છે.
જાહેર આરોગ્ય વ્યવસ્થા કોઈપણ શહેર માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. જો ત્યાં ગેરવહીવટ, બેદરકારી અને ગોલમાલના આક્ષેપો ઊભા થાય તો તે માત્ર તંત્ર માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય બની જાય છે. હવે જોવાનું રહ્યું કે આ મુદ્દાઓ સામે આવ્યા બાદ તંત્ર સક્રિય બની યોગ્ય પગલાં લે છે કે નહીં.
કોન્ટ્રાક્ટ સ્ટાફના સ્ટાઈપેન્ડમાં ગોલમાલના આક્ષેપ : આરોગ્ય કેન્દ્રોમાં પગાર ચુકવણી અંગે ઉઠ્યા સવાલ
રાજકોટ શહેરના આરોગ્ય કેન્દ્રોમાં કોન્ટ્રાક્ટ આધારીત ભરતી અને પગાર ચુકવણીની પ્રક્રિયા અંગે નવા સવાલો ઉભા થયા છે. સ્કિલ ઈન્ડિયા, નેશનલ સ્કિલ ડેવલોપમેન્ટ અથવા NAPS પોર્ટલ મારફતે જાહેર સેવાઓમાં કામ કરવા ઇચ્છુક ઉમેદવારો અરજી કરી શકે છે. આ યોજના હેઠળ વિવિધ સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરવામાં આવે છે. આરોગ્ય વિભાગમાં પણ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), ANM, GNM અને મેડિકલ ઓફિસર (MO) સહિતના સ્ટાફની ભરતી આ જ પદ્ધતિથી કરવામાં આવે છે.
આ પ્રકારના કોન્ટ્રાક્ટ સ્ટાફને સરકાર દ્વારા નક્કી કરાયેલ પગાર ઉપરાંત વધારાનું સ્ટાઈપેન્ડ પણ ચૂકવવાનું નિયમિત છે. આ અંગેની વિગતો લેખિત સ્વરૂપે આપવામાં આવતી હોવાનું જણાવવામાં આવે છે. પરંતુ હવે આ જ પગાર અને સ્ટાઈપેન્ડની ચુકવણીમાં ગોલમાલ ચાલતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
ખાસ કરીને એપ્રેન્ટીસ તરીકે કામ કરતા કેટલાક કર્મચારીઓના મામલે એવું કહેવાઈ રહ્યું છે કે તેમને માસિક રૂપિયા 7700 પગાર ઉપરાંત રૂપિયા 1500 સ્ટાઈપેન્ડ મળવાનું હોય છે. એટલે કે કુલ રૂપિયા 9200 જેટલી રકમ મળવી જોઈએ. પરંતુ કર્મચારીઓના કહેવા મુજબ તંત્ર દ્વારા માત્ર રૂપિયા 7700 જ ચૂકવવામાં આવે છે અને વધારાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવતું નથી.
આ મુદ્દે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે જો સ્ટાઈપેન્ડની રકમ કાગળ પર મંજૂર હોય તો પછી તે રકમ ક્યાં જાય છે? આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. કેટલાક કર્મચારીઓએ આ બાબતે અવાજ ઉઠાવતા તેમને જવાબ મળ્યો હોવાનું કહેવામાં આવે છે કે અગાઉ જેટલો પગાર મળતો હતો તે જ હવે સ્ટાઈપેન્ડ સહિત આપવામાં આવે છે. પરંતુ કર્મચારીઓના મતે આ સ્પષ્ટતા સંતોષકારક નથી.
આક્ષેપો અનુસાર, 7700 રૂપિયાની જગ્યાએ સ્ટાઈપેન્ડ સહિત આશરે 9600 રૂપિયા ચૂકવવાના હોવા જોઈએ. જો ખરેખર ચુકવણીમાં ગેરરીતિ થઈ રહી હોય તો તે ગંભીર મુદ્દો બની શકે છે. જેના કારણે હવે આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.
વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્ર વિવાદે લીધો ગંભીર વળાંક : ‘ગેટ આઉટ’ બાદ દિલ્હી સુધી પહોંચી ફરિયાદ
રાજકોટના વિજય પ્લોટ વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં તાજેતરમાં ઉભા થયેલા વિવાદે હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ઘટનાના ભોગ બનનાર સ્ટાફને સ્થાનિક સ્તરે ન્યાય ન મળ્યો હોવાના આક્ષેપો વચ્ચે મામલો હવે રાજ્યની બહાર સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, પીડિત પક્ષ દ્વારા પોતાની રજૂઆત કરવા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેમની રજૂઆત સાંભળવાની જગ્યાએ આરોગ્ય અધિકારી તરફથી માત્ર “ગેટ આઉટ” કહી તતડાવી કાઢી મુકવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે પીડિત પક્ષમાં ભારે અસંતોષ ફેલાયો છે.
આ પરિસ્થિતિમાં હવે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જણાવવામાં આવે છે કે પીડિતોએ આ મુદ્દે દિલ્હી સુધી લેખિત ફરિયાદ મોકલી છે જેથી કેન્દ્ર સ્તરે તપાસ હાથ ધરાય. ઉપરાંત રાજકોટ પોલીસ સ્ટેશનમાં પણ સંબંધિત અધિકારીઓ સામે એટ્રોસિટી કાયદા હેઠળ ગુનો નોંધવા માટે લેખિત અરજી આપવામાં આવી છે.
પોલીસ દ્વારા આ અરજીના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ દિલ્હી ખાતે કરવામાં આવેલી ફરિયાદને લઈને પણ આગામી દિવસોમાં તપાસના આદેશો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે આ સમગ્ર મામલે આગળ શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર મંડરાઈ રહી છે.
બજરંગવાડી આરોગ્ય કેન્દ્ર વિવાદ મામલે સ્ટાફ નર્સની ફરિયાદ બાદ ગાંધીનગરથી તપાસના આદેશ
રાજકોટ શહેરના બજરંગવાડી વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્ર સામે અગાઉ ઉઠેલા ગંભીર આક્ષેપો હવે રાજ્ય સ્તર સુધી પહોંચી ગયા છે. આરોગ્ય કેન્દ્રના કેટલાક અધિકારીઓ તેમજ આરોગ્ય અધિકારીના ગેરવર્તણૂકનો ભોગ બનેલી સ્ટાફ નર્સે આ સમગ્ર મામલે સીધી મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચાડતા હવે તપાસના આદેશો આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી વિગતો મુજબ, બજરંગવાડી આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સ્ટાફ સાથે થયેલા ગેરવર્તણૂક, વહીવટી ગેરરીતિ અને દબાણ અંગે લાંબા સમયથી અસંતોષ વ્યક્ત થતો રહ્યો હતો. આ મામલે એક સ્ટાફ નર્સે પોતાને થયેલા અન્યાય અને અધિકારીઓના વર્તન અંગે વિગતવાર લેખિત રજૂઆત તૈયાર કરી રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચાડેલી હોવાનું સામે આવ્યું છે.
આ ફરિયાદ રાજ્ય સરકાર સુધી પહોંચતા ગાંધીનગર સ્તરે તંત્ર હરકતમાં આવ્યું છે. પ્રાથમિક સ્તરે સમગ્ર મામલે તપાસ હાથ ધરવાના આદેશ આપવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ તપાસની જવાબદારી નાયબ કલેક્ટરને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
તપાસ દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં થયેલી ફરિયાદો, સ્ટાફ સાથે થયેલા વર્તન તેમજ વહીવટી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો તપાસમાં આક્ષેપો સાચા સાબિત થશે તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે.
આ ઘટનાક્રમને પગલે આરોગ્ય વિભાગમાં પણ ચકચાર મચી ગઈ છે. હવે નાયબ કલેક્ટર દ્વારા થનારી તપાસમાં શું હકીકતો બહાર આવે છે અને ત્યારબાદ તંત્ર શું પગલાં લે છે તે અંગે સૌની નજર મંડરાઈ રહી છે.
ગેરવર્તન મામલે અગાઉ પણ એક સ્ટાફ નર્સે ફરિયાદ બાદ આપ્યું રાજીનામું?
રાજકોટ શહેરના કેટલાક આરોગ્ય કેન્દ્રોમાં નીચલા સ્તરના સ્ટાફ સાથે અમાનુશી વર્તન થતું હોવાના આક્ષેપો ફરી સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, આવા બનાવોની એક નહીં પરંતુ અનેક ફરિયાદો થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે, છતાં અત્યાર સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી સામે આવી નથી.
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, એક કેસમાં એસસી-એસટી સેલ સાથે જોડાયેલી એક મહિલા સ્ટાફ સાથે ગેરવર્તન થયાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો હતો. આ ઘટનાને લઈ સંબંધિત મહિલા સ્ટાફે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી હતી અને ન્યાયની માંગ પણ કરી હતી. પરંતુ કહેવાય છે કે આ ફરિયાદ પર યોગ્ય કાર્યવાહી થવા બદલે આખો મામલો દબાવી દેવામાં આવ્યો હતો. ફરિયાદને આગળ ન વધે તે રીતે તેનું “ફીંડલું વાળી દેવાયું” હોવાની ચર્ચા પણ તંત્રના વર્તુળોમાં થઈ રહી છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ સમાજમાં બદનામી ન થાય તે કારણસર ફરિયાદ કરનાર સ્ટાફ નર્સે અંતે પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હોવાની માહિતી સામે આવી રહી છે. જોકે આ મામલે તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ ઘટનાને લઈને આરોગ્ય વિભાગની કાર્યપદ્ધતિ પર ફરી સવાલો ઊભા થયા છે. જો આક્ષેપોમાં સચ્ચાઈ હોય તો સ્ટાફ સાથેના વર્તન અને ફરિયાદોની યોગ્ય તપાસ અંગે તંત્રે ગંભીરતાથી વિચારવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે.
કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પાસેથી ડિપોઝિટ વસુલાતના આક્ષેપ : આરોગ્ય કેન્દ્રોમાં નાણાકીય ગેરરીતિની શંકા
રાજકોટ શહેરના કેટલાક આરોગ્ય કેન્દ્રોમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની ભરતી પ્રક્રિયા અંગે નવા આક્ષેપો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવવા જોડાતા પહેલા કેટલાક કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પાસેથી રૂ.20 થી 25 હજાર જેટલી રકમ ડિપોઝિટ તરીકે લેવામાં આવતી હોવાની ચર્ચા ચાલી રહી છે.
કહેવાય છે કે આ રકમ બોન્ડ અથવા સુરક્ષા જમા તરીકે લેવામાં આવે છે, જેથી કર્મચારી નિર્ધારિત સમયગાળા સુધી ફરજ બજાવે તેની ખાતરી રહે. જોકે હવે આ ડિપોઝિટની પ્રક્રિયા અંગે પણ સવાલો ઊભા થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કર્મચારીઓ પાસેથી લેવામાં આવતી આ રકમ સરકારી નિયમ મુજબના ખાતામાં જમા થવાના બદલે કોઈ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
આ કારણે સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા પર પ્રશ્નચિહ્ન ઉભું થયું છે. જો આ રકમ ખરેખર સત્તાવાર ખાતામાં જમા થતી ન હોય તો તેની જવાબદારી કોની છે અને તે નાણાં ક્યાં ઉપયોગમાં લેવાય છે તે અંગે સ્પષ્ટતા થવી જરૂરી બની છે.
વિષયની ગંભીરતા જોતા હવે ઉચ્ચ કક્ષાએથી આ ડિપોઝિટની વસુલાત અને તેના હિસાબ અંગે તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. જો તપાસ હાથ ધરાશે તો આ ડિપોઝિટ સંબંધિત નાણાંકીય ગેરરીતિઓ પણ બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


