વડાલિયા ફૂડસ સંચાલકના 10.98 કરોડ ચાઉં કર્યા
કરોડોનું કૌભાંડ કરનાર અમિત ભાણવડીયાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
આરોપી પકડાતા સાથે ભોગ બનનાર અન્ય 50થી વધુ લોકો ક્રાઈમ બ્રાન્ચે ઉમટ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં ઉંચા વળતરની લાલચે કરોડો રૂપિયાની છેતરપિંડી કરાયેલો વધુ એક વિશાળ આર્થિક કૌભાંડ સામે આવ્યો છે. શહેરની જાણીતી વડાલિયા ફૂડસ પેઢીના સંચાલક સાથે સ્ટોન ક્રશર વ્યવસાયમાં રોકાણ કરાવી રૂ.10.98 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે.
આ કેસમાં આરોપી તરીકે વિજય માકડીયા અને અમિત ભાણવડીયાના નામ ખુલ્લા થયા છે, જેમાંથી પોલીસે અમિત ભાણવડીયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીની ધરપકડની ખબર ફેલાતાં જ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી અંદાજે 50થી 60 જેટલા લોકો ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ ખાતે ઉમટી પડ્યા હતા અને તેઓ પણ આ બંને શખ્સો દ્વારા છેતરાયા હોવાની રજૂઆત કરતા સમગ્ર કૌભાંડનો આંક 600 કરોડ સુધી પહોંચે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
આ મામલે રાજકોટના નાનામવા રોડ ઉપર માસૂમ સ્કૂલની બાજુમાં આવેલા ગોલ્ડન આર્ક એપાર્ટમેન્ટમાં રહેતા અને વડાલિયા ફૂડસ પેઢી ચલાવતા દર્શનભાઇ રસિકભાઇ વડાલિયા (ઉં.વ.42) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ વર્ષ 2019માં વિજય હરિભાઇ માકડીયા અને અમિત રમેશભાઇ ભાણવડીયાનો સંપર્ક થયો હતો. બંનેએ સ્ટોન ક્રશર અને કપચીનો વેપાર ખૂબ નફાકારક હોવાનું કહી તેમાં રોકાણ કરશો તો વાર્ષિક 12 ટકા જેટલું નિશ્ચિત વળતર મળશે તેવી લાલચ આપી હતી. વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ “દર્શન મિનરલ્સ”, “જય સ્ટોન ક્રશર” અને “દર્શીલ સ્ટોન ક્રશર” નામની ત્રણ ભાગીદારી પેઢીઓ શરૂ કરી હોવાનું બતાવી તેમાં રોકાણ કરવા પ્રેર્યા હતા.
આ વાતોમાં આવીને દર્શનભાઇ વડાલિયાએ વર્ષ 2019થી 2024 દરમિયાન તબક્કાવાર કુલ રૂ.6,90,67,000 જેટલી રકમ ભાગીદારી એકાઉન્ટમાં જમા કરાવી હતી. આ રકમ તેમણે પોતાના અંગત નાણાં ઉપરાંત સંબંધીઓ પાસેથી ઉછીના લઈ એકત્ર કરી હતી. શરૂઆતમાં આરોપીઓએ વિશ્વાસ બેસે તે માટે વળતર પેટે રૂ.1,08,04,532 જેટલી રકમ પરત આપી હતી, જેથી ફરિયાદીને લાગ્યું હતું કે વ્યવસાય સાચો અને નફાકારક છે. બાદમાં જ્યારે મૂળ રકમ અને બાકી વળતર માંગવામાં આવ્યું ત્યારે આરોપીઓએ એવું કહી વિશ્વાસમાં રાખ્યા કે આ તમામ રકમ આગળના રોકાણમાં ગણી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં બધું ચૂકવી આપવામાં આવશે.
સમય પસાર થવા છતાં ન તો મૂળ રકમ મળી અને ન તો વળતર. દબાણ વધતાં આરોપીઓએ પહેલા બજાર મંદી, કેશ ફ્લોની તંગી જેવા બહાના બતાવ્યા અને અંતે સ્પષ્ટ કહી દીધું હતું કે પૈસા આપવાના નથી, તમારાથી થાય તે કરી લેજો. આ બાદ દર્શનભાઇને છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. ફરિયાદ મુજબ, કુલ રોકાણ અને વચન આપેલા વળતર મળીને રૂ.10,98,94,893 જેટલી રકમ આજદિન સુધી ચૂકવવામાં આવી નથી.
આ સમગ્ર મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વિજય માકડીયા અને અમિત ભાણવડીયા તેમજ તપાસમાં ખુલ્લે તેમના સાગરીતો વિરુદ્ધ BNS કલમ 316(5), 54 તથા GPID એક્ટની કલમ 3 અને 4 મુજબ ગુનો નોંધી આરોપી અમિત ભાણવડીયાની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા તેની પૂછપરછ દરમિયાન નાણાં ક્યાં વપરાયા, કેટલી મિલ્કતો ખરીદાઈ અને અન્ય કેટલા લોકોને આ જ રીતે ફસાવવામાં આવ્યા તેની વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આરોપી વિજય માકડીયા હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેની ધરપકડ માટે ટીમો કાર્યરત કરવામાં આવી છે.
આ તરફ અમિત ભાણવડીયાની ધરપકડની જાણ થતાં જ રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી 50થી 60 જેટલા લોકો ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ પહોંચ્યા હતા. આ લોકોએ જણાવ્યું હતું કે તેઓએ પણ આ બંને શખ્સો પાસે સ્ટોન ક્રશર કે અન્ય ધંધામાં રોકાણ માટે નાણા આપ્યા છે અને આજદિન સુધી પરત મળ્યા નથી. કેટલાકે લાખો તો કેટલાકે કરોડો રૂપિયા ગુમાવ્યાની રજૂઆત કરી હતી. ભોગ બનનારાઓની વધતી સંખ્યાને જોતા આ સમગ્ર કૌભાંડનો આંક 600 કરોડ સુધી પહોંચી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસે તમામ ભોગ બનનારાઓની વિગતો એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે અને આર્થિક વ્યવહારો, બેંક એકાઉન્ટ, મિલ્કતો તથા સંભવિત બેનામી સંપત્તિ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસ ફરી એકવાર ઉંચા અને નિશ્ચિત વળતરની લાલચમાં ફસાઈ લોકો કેવી રીતે મોટા આર્થિક નુકસાનનો ભોગ બને છે તેનું જીવંત ઉદાહરણ બની રહ્યો છે.
ભોગ બનનાર 50થી 60 લોકોએ લેખિત અરજી આપતા કરોડના મહાકૌભાંડની સંભાવના
કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર અમિત ભાણવડિયા ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં આવી ગયાની જાણ થતાં રાજકોટમાં હડકંપ મચી ગયો હતો. અમિત ભાણવડિયાની ધરપકડના સમાચાર ફેલાતાં જ તેના દ્વારા છેતરાયા હોવાનું જણાવતા અન્ય ભોગ બનનારાઓ સવારના પહોરથી ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ ઉમટી પડ્યા હતા. અંદાજે 50 થી 60 જેટલા લોકો ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચી ગયા હતા અને તેમણે અધિકારીઓ સમક્ષ પોતે પણ અમિત ભાણવડિયા અને તેના સાગરીતો દ્વારા ઠગાયા હોવાની રજૂઆત કરી હતી.
ભોગ બનનારાઓએ જણાવ્યું હતું કે અમિત ભાણવડિયાએ ઉંચા વળતર, ધંધામાં રોકાણ અને વિશ્વાસપાત્ર વ્યવસાયની લાલચ આપી તેમની પાસેથી મોટી રકમ ઉઘરાવી હતી. આ લોકો માત્ર મૌખિક રજૂઆત સુધી સીમિત રહ્યા નહોતા, પરંતુ તમામ ભોગ બનનારાઓ ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં બેસી લેખિત અરજી તૈયાર કરવા લાગ્યા હતા. બાદમાં તમામે અલગ-અલગ રીતે પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે લેખિત ફરિયાદો ક્રાઈમ બ્રાન્ચને સોંપી હોવાનું જાણવા મળ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ તમામ અરજીઓ સ્વીકારી ભોગ બનનારાઓની વિગતો એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. પોલીસનું માનવું છે કે જો આ તમામ અરજીઓના આધારે તપાસ આગળ વધશે તો અત્યાર સુધી બહાર આવેલા આંકડા કરતાં ઘણું મોટું કૌભાંડ સામે આવી શકે છે. ભોગ બનનારાઓની સંખ્યા અને તેઓએ કરેલા રોકાણના આંકને ધ્યાનમાં લેતા આ સમગ્ર કોભાંડનો આંક 600 કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમિત ભાણવડિયાની પૂછપરછ સાથે સાથે તેની મિલ્કતો, બેંક ખાતાં, નાણાંકીય વ્યવહારો અને સંભવિત સાગરીતો અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આવનારા દિવસોમાં વધુ ભોગ બનનારાઓ સામે આવે અને કૌભાંડની વ્યાપકતા વધુ મોટું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા પણ પોલીસ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.


