- ભારતે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું
- ભારત તરફથી કુલ 9 બોલરોએ બોલિંગ કરી
- વિરાટ કોહલી અને રોહિત શર્માએ વિકેટ ઝડપી
રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ 2023માં પોતાની જીતનો સિલસિલો જારી રાખ્યો અને સતત 9મી જીત મેળવી હતી. ટૂર્નામેન્ટની છેલ્લી લીગ મેચમાં ભારતીય ટીમે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું હતું. બેંગલુરુમાં રમાયેલી મેચમાં ભારત તરફથી બોલિંગ કરતા વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ વિકેટ લીધી હતી. ટીમ તરફથી બુમરાહ, સિરાજ, કુલદીપ અને જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 4 વિકેટે 410 રન બનાવ્યા હતા. ટીમ માટે શ્રેયસ અય્યરે 128 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય કેએલ રાહુલે 102 રન બનાવ્યા હતા. આ સિવાય શુભમન ગિલ, વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માએ ફિફ્ટી ફટકારી હતી.
9 બોલરોએ બોલિંગ કરી
જવાબમાં ડચની આખી ટીમ 47.5 ઓવરમાં 250 રનમાં સમેટાઈ ગઈ હતી. આ મેચમાં ભારત તરફથી કુલ 9 બોલરોએ બોલિંગ કરી હતી. મુખ્ય બોલરો ઉપરાંત વિરાટ કોહલી, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ અને કેપ્ટન રોહિત શર્માએ પણ પોતાની બોલિંગ કુશળતા બતાવી હતી. આ દરમિયાન કોહલી અને હિટમેને એક-એક વિકેટ પણ લીધી હતી. કોહલી અને રોહિતની વિકેટો બાદ પ્રશંસકો તરફથી જબરદસ્ત પ્રતિક્રિયા જોવા મળી રહી છે.


