- સ્પીકર ઓમ બિરલાએ સંસદમાં સુરક્ષા ચૂક પર કહ્યું કે તપાસ માટે એક સમિતિની રચના કરી
- વિપક્ષી દળ અમિત શાહના નિવેદનની માંગણી પર અડગ
- સ્પીકરે એમ પણ કહ્યું કે આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની છે
સોમવારે સવારે 11 વાગ્યે ફરી એકવાર લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિપક્ષી સાંસદોએ સુરક્ષામાં ચૂક અને સાંસદોને સસ્પેન્ડ કરવાને લઈને હોબાળો મચાવ્યો હતો. સ્પીકર ઓમ બિરલાએ સંસદમાં સુરક્ષા ચૂક પર કહ્યું કે તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ મામલાની ઝડપી તપાસ કરવામાં આવી રહી છે. સ્પીકરે એમ પણ કહ્યું કે આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની છે. ત્યારપછી તત્કાલીન સ્પીકરે મામલાની નોંધ લીધી હતી. અમે આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છીએ.
સંસદની સુરક્ષા કેવી રીતે મજબૂત કરવી તે અંગે સૂચનો આપવામાં આવ્યા
વિપક્ષી દળના સભ્યો આ મામલે ગૃહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગણી પર અડગ છે. વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, મેં પાર્ટી અને વિપક્ષના નેતાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. સંસદની સુરક્ષા કેવી રીતે મજબૂત કરવી તે અંગે સૂચનો આપવામાં આવ્યા હતા. આ સૂચનોનો અમલ કરવામાં આવશે. તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા સંબંધિત એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. સંસદની સુરક્ષા સુધારવા માટે તમારા સૂચનો પણ લેવામાં આવી રહ્યા છે. સંસદની ગરિમાને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. અર્થપૂર્ણ અને સકારાત્મક ચર્ચાઓ થવી જોઈએ.
‘દરેક સમસ્યાનો ઉકેલ આવશે’
સ્પીકરે કહ્યું કે આ કોઈ રાજનીતિકરણ કરવાની ઘટના નથી. મતભેદ એ લોકશાહીનો ભાગ છે. સાંસદોના સસ્પેન્શનને આ ઘટના સાથે ન જોડવું જોઈએ. સંસદમાં બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. દરેક સમસ્યાનો ઉકેલ મળી જશે. રાજ્યસભા-લોકસભાની કાર્યવાહી ચલાવવામાં સહકાર આપો. વિપક્ષનો પ્રશ્નકાળ ચાલુ રહેવા દો. વિપક્ષી સાંસદોએ લોકસભામાં સતત હંગામો મચાવ્યો હતો. ગૃહમાં પ્લેકાર્ડ લાવવું યોગ્ય નથી.
22 ડિસેમ્બર સુધી ચાલશે શિયાળુસત્ર
સંસદનું શિયાળુસત્ર તે 4 ડિસેમ્બરથી શરૂ થયુ હતુ અને 22 ડિસેમ્બર સુધી ચાલશે. 14 ડિસેમ્બરે, લોકસભાએ સ્પીકરની સૂચનાઓનું અનાદર કરવા અને ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા બદલ સંસદના શિયાળુ સત્રના બાકીના સમય માટે 13 સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. આ પહેલા 13 ડિસેમ્બરે સંસદમાં ઘૂસણખોરીની ઘટના સામે આવી હતી.


