રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
ગુજરાત બોર્ડ દ્વારા એકશન પ્લાન જાહેર : આવતીકાલથી તા.૨૯ સુધી સવારના ૭ થી રાત્રિના ૯ વાગ્યા સુધી કંટ્રોલરૂમ ધમધમશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 2026ની પરીક્ષા યોજાશે. આગામી 29 તારીખે ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ-2026 લેવામાં આવશે. જે માટે ગુજરાત બોર્ડ દ્વારા ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ વિશ્વાસપૂર્વક અને સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેનું તમામ આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા કામગીરીના જાણકાર હોય એવા વર્ગ-2ના અધિકારીની ઝોનલ અધિકારી તરીકે નિમણૂક કરવાની પણ સૂચના બોર્ડ દ્વારા આપવામાં આવી છે.
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી અને મેડિકલ ફેકલ્ટીમાં પ્રવેશ લેવા માટે કોમન એન્ટરન્સ ટેસ્ટ લેવાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેથી, આ વર્ષે પણ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આગામી 29 તારીખે ગુજકેટની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તેનું પાલન કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. ગુજકેટ-2026 માટે 36 ઝોનની રચના કરવામાં આવી છે. જે માટે 668 પરીક્ષા સ્થળો પર એક લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.
જેથી, પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તે માટે ગુજરાત બોર્ડ દ્વારા ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવેલો છે. પરીક્ષામાં ગેરરીતિ થતી અટકાવવા CCTV કેમેરા હેઠળ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગરમીનું પ્રમાણ વધુ હોવાથી પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા અને આરોગ્ય ટીમ પણ તમામ પરીક્ષા કેન્દ્ર પર રાખવાની જિલ્લા શિક્ષણ અધિકારીએ સૂચના આપી છે.
પરીક્ષાસ્થળો પર સતત સીધી દેખરેખ રાખવા માટે ઝોન કચેરીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઝોનની કચેરીએથી OMR/ પ્રશ્નપત્રો પરીક્ષાસ્થળ સુધી પહોંચાડવા માટે બોર્ડ દ્વારા વાહનની પૂરતી વ્યવસ્થા પણ કરાઈ છે. પ્રશ્નપત્રો તેમજ OMR ઉત્તરપત્રિકા ખાનગી રેકોર્ડ ગણાશે. ઝોનલ કચેરીઓ જિલ્લાના અને રાજ્યના કંટ્રોલરૂમ સાથે સતત સંપર્કમાં રહેશે. ઝોનલ કચેરીએથી પરીક્ષાને લગતું ખાનગી સાહિત્ય દરેક પરીક્ષાસ્થળ પર સરકારી પ્રતિનિધિ મારફતે મોકલવામાં આવશે અને બોર્ડની સૂચના મુજબ પરત મેળવશે. ઝોનલ કચેરી પરીક્ષાસ્થળોથી મધ્યમાં રાખવાની રહેશે. પરીક્ષા કામગીરીના જાણકાર હોય એવા ક્લાસ-2ના અધિકારીની ઝોનલ અધિકારી તરીકે નિમણૂક કરવાની પણ સૂચના બોર્ડ દ્વારા આપવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ખાતે રાજ્યકક્ષાનો રાઉન્ડ ધ ક્લોક ચાલતો સ્ટેટ કંટ્રોલરૂમ પણ કાર્યરત રહેશે. આગામી 28 તારીખથી રાજ્યકક્ષાનો સ્ટેટ કંટ્રોલરૂમ કાર્યરત થશે. તે માટે રાજ્યના તમામ જિલ્લાઓ સીધો સંપર્ક કરી અને સંકલન કરી શકશે તેમજ તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં પણ જિલ્લા કંટ્રોલરૂમ 27 તારીખથી શરૂ થશે. 27થી 29 તારીખ સુધી કંટ્રોલ રૂમ ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે.
કંટ્રોલરૂમ સવારે 7 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જ્યાંથી વિદ્યાર્થીઓ વાલીઓને અને શાળાઓને માર્ગદર્શન આપવામાં આવશે. જે માટે ઝોનના ઝોનલ અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે. તેમજ પરીક્ષાનો ડર દૂર કરવા માટે કાઉન્સિલિંગ કેન્દ્ર પણ ચાલુ રહેશે.


