- ચાર્જ કે રેગ્યુલર નિયુક્તિ ન થાય ત્યાં સુધી DGP જ સુરત કમિશનર
- સરકારને ત્રણ દિવસ પછી 3 આદિવાસી જિલ્લા માટે DDO મળ્યા નહીં, PATSને ચાર્જ
- વયનિવૃતિ પછી હજી સુધી સુરત પોલીસ કમિશનરનો ચાર્જ કોઈને સોંપાયો નથી
31 જાન્યુઆરીની સાંજે IPS અજય તોમરની વયનિવૃતિ પછી હજી સુધી સુરત પોલીસ કમિશનરનો ચાર્જ કોઈને સોંપાયો નથી. જેની પાછળ સિનિયર IPSમાં ચાલી રહેલી આંતરીક હૂંસાતુસી કારણભૂત હોવાનું ચર્ચાય છે. સાંપ્રતસમયે ગુજરાતમાં રાજકીય પાવર સેન્ટર ગણાતા સુરતમાં કોકડુ ગુંચવાણું છે ત્યારે પોલીસ કમિશનરના પદે રેગ્યુલર નિયુક્તિ કે ચાર્જ ન સોંપાય ત્યાં સુધી તકનીકી રીતે રાજ્યના પોલીસ વડા- DGP વિકાસ સહાય જ પ્રથમકક્ષાએ સુરત પોલીસ કમિશનર તરીકે જવાબદેહ રહે તેવુ ચિત્ર ઉપસ્યુ છે. લોકસભા ચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી કમિશન- ECIએ કરેલા આદેશના અમલની દિશામાં ત્રણેક દિવસ પહેલા ગુજરાત સરકારે 50 IAS ઓફિસરોની બદલીઓ કરી હતી. પરંતુ, તે વખતે વલસાડ, ડાંગ અને છોટાઉદેપુર એમ ત્રણ આદિવાસી જિલ્લાઓમાં જિલ્લા વિકાસ અધિકારી- DDO તરીકે નિયુક્તિ કરવામાં આવી નહોતી. આથી, શનિવારે આ ત્રણેય જિલ્લામાં રેગ્યુલર IASની નિયુક્તિને બદલે એ જ જિલ્લામાં સેવારત પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન- TAPSને ઈન્ચાર્જ DDO તરીકે જાહેર કરવા પડયા છે. શનિવારે સાંજે સામાન્ય વહિવટ વિભાગ- GADના એડીશનલ સેક્રેટરી અશોક દવેની સહીથી પ્રસિધ્ધ નોટિફિકેશનમાં ત્રણ DDO ઉપરાંત સુરત અને રાજકોટ સ્થિત રિજિયોનલ મ્યુનિસિપાલિટીઝના કમિશનર તરીકે આ બંને મહાનગરોના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિયુક્ત ડેપ્યુટી કમિશનરોને વધારાના હવાલા સોંપાયા હતા. આમ કુલ 10 IASને રેગ્યુલર પોસ્ટિંગ ઉપરાંત વધારાની જગ્યાઓ માટે ચાર્જ સોંપાવા આદેશ થયો હતો.


