- સેન્સરમાં ખામીથી ફયૂઅલ ઓછું દર્શાવતા લેન્ડિંગ કરાયું
- દિલ્હી ટીમ તપાસ કરીને કારણોની સમીક્ષા કરે પછી જ ટેક ઓફ કરશે
- તેજસ વિમાનનુ લેન્ડ કર્યા બાદ તેની જાણ એરફોર્સને પણ કરવામાં આવી હતી
ફાઇટર વિમાન તેજસને સુરત એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવતા સૌને આશ્વર્ય થયું હતુ. કારણ કે તેજસ વિમાનને ટેકઓફ કરતા પહેલા તમામ પાસાઓની ખાસ ચકાસણી કર્યા બાદ જ તેને ટેકઓફ કરવામાં આવતું હોય છે. તેમ છતાં સુરત એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની સ્થિતિ ઊભી થઇ હતી.
તેજસ વિમાનના સેન્સરમાં ખામી સર્જાવાના કારણે તેમાં ફયૂઅલ ઓછું હોવાનું દર્શાવવામાં આવતુ હતુ. ફયૂઅલ ઓછુ હોવાનો મેસેજ મળતા જ તેજસ વિમાનના પાયલટે તેની જાણ એરપોર્ટના ટ્રાફિક કંટ્રોલરને કરી હતી. નજીકમાં સુરત એરપોર્ટ હોવાના કારણે તેજસનું સુરત એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યુ હતુ. પ્રાથમિક તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે તેજસ વિમાનમાં ફયૂઅલની માત્રા તો બરાબર જ હતી. પરંતુ તેના સેન્સરમાં ખામી સર્જાવાને કારણે ફયૂઅલ ઓછું હોવાનુ દર્શાવવામાં આવતુ હતુ. જેથી તકેદારીના ભાગરુપે તેજસનું સુરત એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવ્યું હતું.
તેજસ વિમાનનુ લેન્ડ કર્યા બાદ તેની જાણ એરફોર્સને પણ કરવામાં આવી હતી. સાથે સાથે એરપોર્ટ ઓથોરિટીને પણ તેની જાણ કરવામાં આવતા હાલ તેજસને ઇન્સ્પેક્શન માટે સુરત એરપોર્ટ પર જ રહેવા દેવામાં આવ્યું છે. તેની પૂરતી ચકાસણી કર્યા બાદ જ સુરત એરપોર્ટ પરથી તેજસને રવાના કરવામાં આવશે. જેથી બુધવારના રોજ દિલ્હીથી એક ટીમ તેજસમાં ટેકનીકલ ખામી સર્જાવાના કારણોની તપાસ કર્યા બાદ એક રિપોર્ટ તૈયાર કરશે. તે રિપોર્ટ જવાબદારોને આપ્યા બાદ જ તેજસને ટેકઓફ કરવાની પરવાનગરી આપવામાં આવનાર હોવાની વિગતો જાણવા મળી છે. કારણ કે સામાન્ય સંજોગોમાં તેજસ વિમાનમાં આવી ખામી સર્જાતી નથી. તેમ છતાં આવી ખામી સર્જાવાના કારણોની તપાસ કરીને અન્ય તેજસમાં પણ ખામી નહીં થાય તે માટેના પણ પ્રયાસો કરવામાં આવનાર હોવાની વિગતો જાણવા મળી છે.


