સુરત ગ્રામ્યમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કીમ પોલીસ મથકના પી.આઈ. પ્રવિણસિંહ હરનાથસિંહ જાડેજા અને વકીલ ચિરાગ રમણિક ગોંડલિયાને અમદાવાદ એસીબીની ટીમે 3 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે. હની ટ્રેપ અને બળજબરીથી પૈસા કઢાવી લેવાનો ગુનો નોંધાયો હતો.મળતી માહિતી મુજબ, ફરિયાદીના ભાઈ સામે કીમ પોલીસ મથકમાં હની ટ્રેપ અને બળજબરીથી પૈસા કઢાવી લેવાનો ગુનો નોંધાયો હતો.
ગુનામાં ગુજસીટોકની કલમ ન ઉમેરવા માંગી હતી લાંચ
આ ગુનામાં ગુજસીટોકની કલમ ન ઉમેરવા તેમજ અન્ય ગંભીર કલમોમાં રાહત આપવા માટે આરોપી પી.આઈ. અને વકીલે મળીને 10 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.બન્ને પક્ષ વચ્ચે રકઝક બાદ અંતે 3 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. ફરિયાદીના ભાઈ લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો.એસીબી દ્વારા રચાયેલ ટ્રેપ મુજબ, આજ રોજ વકીલ અને પી.આઈ. બંને લાંચ સ્વીકારતા રંગે હાથ એસીબીના છટકામાં આવી ગયા હતા. હાલ બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.


