સુરત શહેરના વરાછા વિસ્તારમાં નિર્માણધીન સાઇટ પર સુરક્ષાના ધજાગરા ઉડતી વધુ એક ઘટના સામે આવી છે. વરાછાની અંકુર સોસાયટી પાસે ચાલી રહેલા બાંધકામ દરમિયાન અચાનક પ્રોટેક્શન વોલ (બોર્ડરની દીવાલ) પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. દીવાલ ધરાશાયી થતા ભૂકંપ જેવો અવાજ થયો હતો. જે કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
કાટમાળ નીચે કામ કરી રહેલા જેસીબી મશીન પર પડ્યો
ઘટનાની મળતી માહિતી અનુસાર, અંકુર સોસાયટી પાસે એક મોટા પ્રોજેક્ટનું ખોદકામ અને બાંધકામ ચાલી રહ્યું છે. આ દરમિયાન બાજુની દીવાલ અચાનક જમીનમાં ધસી પડી હતી. દીવાલ પડવાની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે, તેની સાથે નજીકમાં આવેલા બે વિશાળ વૃક્ષો અને એક વીજપોલ (સ્ટ્રીટ લાઈટ) પણ ઉખડીને સીધા ઊંડા ખાડામાં ખાબક્યા હતા. આ તમામ કાટમાળ નીચે કામ કરી રહેલા જેસીબી મશીન પર પડ્યો હતો.
આસપાસના મકાનોમાં ધડાકો અને ધ્રુજારી અનુભવાઈ
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, દીવાલ પડવાનો અવાજ એટલો ભયાનક હતો કે, આસપાસના મકાનોમાં ધડાકો અને ધ્રુજારી અનુભવાઈ હતી. ક્ષણભર માટે રહીશોને એવું લાગ્યું કે જાણે ભૂકંપ આવ્યો હોય, જેના કારણે લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. સુરત શહેરમાં બાંધકામ દરમિયાન દીવાલ પડવાની આ બીજી ઘટના છે, જે સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કરે છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોના આક્ષેપ
રહીશોનો આરોપ છે કે, બાંધકામ દરમિયાન પૂરતી સુરક્ષા સાવચેતી રાખવામાં આવતી નથી. ઊંડા ખોદકામને કારણે આસપાસના રહીશોના મકાનોના પાયા નબળા પડી રહ્યા છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવતા નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી, પરંતુ જે રીતે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે, તે જોતા કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. હાલમાં આ ઘટનાને પગલે કોર્પોરેશન અને સંબંધિત વિભાગો તપાસ કરે તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચો – Amreli News: ધારીમાં ખેડૂત પાસે માંગી લાખો રૂપિયાની ખંડણી, બે આરોપીને કરાયા જેલના હવાલે


