- ઓલપાડના ધારાસભ્ય પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી
- ઓલપાડના બોલાવ, ઉમરાછી, વડોલી, કઠોદરા ગામ પુરથી પ્રભાવિત
- નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી
છેલ્લા 2 દિવસથી સુરતના ઓલપાડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે કીમ નદીના પાણી પણ આસપાસના ગામના ખેતરોમાં ફરી વાળતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયુ છે. ત્યારે ઓલપાડના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી મુકેશ પટેલ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવ્યા છે અને NDRFની ટીમ સાથે તેમને વિસ્તારની મુલાકાત લીધી છે.
રાજયમંત્રી મુકેશ પટેલ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે
રાજ્ય મંત્રી મુકેશ પટેલના મતવિસ્તાર ઓલપાડ તાલુકાના અનેક ગામો પૂરગ્રસ્ત થયા છે. ઓલપાડ તાલુકાનું બોલાવ, ઉમરાછી, વડોલી, કઠોદરા સહિતના ગામો પુરપ્રભાવિત છે. કીમ નદીના પાણી પણ ગામોમાં ફરી વળ્યા છે. આસપાસના ગામોમાં નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા છે, ત્યારે મંત્રી મુકેશ પટેલ સ્થાનિકો સાથે વિસ્તારનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા છે.
ત્રણેય યુવકોને સહી સલામત રીતે બચાવવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે સુરતમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ વરસાદી પાણી ઓસર્યા નથી અને ઘણી જગ્યાઓ પર સ્થાનિક પાણીમાં ફસાઈ ગયા છે, ત્યારે એનડીઆરએફની ટીમને મેસેજ મળ્યો હતો કે એક ઘરમાં ત્રણ યુવકો ફસાયા છે તો ત્યાં પહોંચીને ત્રણેય યુવકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
એનડીઆરએફની ટીમે 200 કરતા વધારે લોકોનું રેસ્કયું કર્યુ
આ સિવાય પણ ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા એનડીઆરએફની ટીમ પહોંચી છે. સુરતમાં જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળ્યું હતુ તો ધીરે ધીરે આ પાણી ઓસરવાની પણ શરૂઆત થઈ છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી એનડીઆરએફની ટીમે 200 કરતા વધારે લોકોનું રેસ્કયું કર્યુ હતુ અને સલામત સ્થળે ખસેડયા હતા. આ સિવાય માંગરોળ તાલુકાના સીમોદ્રા ગામે એનડીઆરએફની ટીમે 50થી વધુ લોકોનું રેસ્કયુ કર્યુ હતુ, ગામમાં પશુઓ પણ પાણીની વચ્ચે બેહાલ પડયા હતા તો તેમનું પણ રેસ્કયું કરાયું હતું.
સિયાલજ નજીક માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા છે. ત્યારે માલધારી પરિવાર રોડ પર રહેવા મજબૂર બન્યા છે. તથા પશુધન, ઘાસચારો સહિત મિલકતને નુકસાન થયુ છે. સિયાલજ ગામમાં પચાસથી વધુ પરિવાર ગામમાં ફસાયા છે. નદીના પાણી ફળી વળતા અનેક લોકોની હાલત કફોડી બની છે.


