- ઓલપાડ તાલુકામાં છાશવારે રખડતા ઢોરને લઈ થતી સમસ્યા
- રખડતા ઢોરોના ત્રાસથી વાહન ચાલકોને ભારે હાલાકી
- જાહેર માર્ગો પર જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરનો જમાવડો
ઓલપાડ પ્રાંત અધિકારી દ્વારા રખડતા ઢોરના મુદ્દાને લઈ તાલુકા મામલતદાર, ઓલપાડ તાલુકા વિકાસ અધિકારી તેમજ ઓલપાડ PI અને કીમ PSIને સંબોધીને એક જાહેર સુચના બહાર પાડવામાં આવી છે, ઓલપાડ તાલુકામાં છાશવારે રખડતા ઢોરને લઈ થતી સમસ્યાને લઈ આ જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે, તમામને પોતાની કચેરી બહાર આ જાહેર સુચના ચોંટાડવા સૂચન કરવામાં આવ્યું છે.
કિમ,સાયણ અને ઓલપાડ ટાઉનમાં રખડતા ઢોરનો ત્રાસ
કિમ,સાયણ અને ઓલપાડ ટાઉનમાં દિવસે દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા દિવસ અગાઉ જ સાયણ વિસ્તારમાં બે આંખલાએ આતંક મચાવ્યો હતો અને એક દુકાનમાં ભારે નુકસાન કર્યુ હતું અને 3 લોકોને નાનીમોટી ઈજા થઈ હતી, ત્યારે નુકસાની વેઠવાનો વારો દુકાન માલિકને આવ્યો હતો. જેથી વાહન ચાલકો અને સામાન્ય પ્રજા રખડતા ઢોરોનો ત્રાસ નાથવા માગ કરી રહ્યા છે.
ઓલપાડમાં બે આખલા યુદ્ધે ચઢ્યા હતા
સુરત ગ્રામ્યમાં દિવસે દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, જ્યાં જુઓ ત્યાં જાહેર માર્ગો પર રખડતા ઢોરનો જમાવડો જોવા મળે છે, જાહેર રસ્તા પર આખલા યુદ્ધ સામાન્ય બની ગયું છે, જેને લઈ છાશવારે વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બને છે, હાલ થોડા સમય પહેલા જ ઓલપાડમાં બે આખલા યુદ્ધે ચઢ્યા હતા અને રોડ બાજુમાં આવેલી દુકાનમાં ઘૂસી ગયા હતા.
પ્રાંત અધિકારીએ જાહેર સુચના બહાર પાડી
થોડા સમય પહેલા કીમ ચાર રસ્તા નજીક રાજ્ય ધોરી માર્ગ પર આખલ યુદ્ધે ચઢતા અકસ્માતની બીકે અડધો કલાક માટે વાહનો થંભી ગયા હતા, પશુપાલકો ઘણીવાર પોતાના પશુધન લઈ ખાનગી માલિકીના ખેતરમાં પણ ઘૂસી જતા હોઈ છે, જેને લઈ ખેતર માલિકને પણ મોટું નુકશાન થતું હોઈ છે, આવી ફરિયાદો ઓલપાડ પ્રાંત અધિકારીને ધ્યાને આવતા ઓલપાડ પ્રાંત અધિકારી પી એચ તલસાનિયા દ્વારા એક જાહેર સુચના બહાર પાડવામાં આવી છે, જેમાં ઢોર માલિકોને દંડની જોગવાઈ અને સજાની જોગવાઈ બાબતે જણાવવામાં આવ્યું છે, ઉપરાંત ઢોર માલિક પોતાના ઢોર લઈ કોઈ ખાનગી માલિકના ખેતરમાં ઘુસી જશે તો તેને અતિક્રમણ ગણવામાં આવશે અને ઢોર માલિકે ખેતર માલિકને વળતર પણ ચૂકવવાનું રહેશે.


