- 4 વર્ષે ફુરસદ મળી ! : કોમ્પલેક્સનો રહેણાંક હેતુ પ્લાન પાસ છે, પરંતુ કોમર્શિયલ બનાવ્યાના સ્થાનિકોના આક્ષેપ
- વર્ષ 2020માં સ્કૂલનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની નગરપાલિકા દ્વારા નોટિસ પણ અપાઇ હતી
- શિક્ષણ વિભાગે શાળાની માન્યતા રદ કરવાનો વર્ષ 2019માં અભિપ્રાય પણ આપ્યો હતો
સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ ઉપરની શારદા ગીતા સ્કૂલનું ગેરકાયદેસર બાંધકામ કરી સંચાલન થતું હતું. આ બાબતે વર્ષ 2020માં પાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની નોટીસ અપાઇ હતી. પરંતુ 4 વર્ષ વીતિ જવા છતાંય ગેરકાયદે બાંધકામ યથાવત રહયુ છે. ત્યારે રાજકોટની ગોઝારી ઘટના બાદ વિદ્યાર્થીઓની સલામતી માટે કરાયેલી રજૂઆતના અહેવાલો પ્રસિધ્ધ થતાની સાથે જ રીજિયોનલ ફાયર ઓફીસર દ્વારા નોટીસ આપી તંત્રની ટીમની હાજરીમાં શાળાને સીલ કરી દેવાઈ છે. બીજી તરફ ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરૂકુલને નોટીસ અપાઇ છે. જ્યાં બ્રહમાનંદ વિદ્યાલય અને જ્ઞાન શકિત સ્કૂલ પણ ચાલે છે. જે બિલ્ડીંગના પ્લાન પાસ કે બાંધકામની મંજૂરી નહીં આપ્યાનું તંત્ર જણાવે છે. તો સ્કૂલની મંજૂરી માટે મુકાયેલા પ્લાન કે બાંધકામની મંજૂરીની રજૂ કરાયેલી કોપી શિક્ષણ વિભાગ દ્વારા પાલિકા, તાલુકા પંચાયત પાસે ક્રોસ ચેકીંગ કરાવશે. તો સત્ય બહાર આવી શકશે. બીજી તરફ ગુરૂકુળ સ્થિત ઘનશ્યામભુવન કે જ્યાં અનેક છાત્રો-ભકતો વસવાટ કરે છે. એને પાલિકાએ નોટીસ આપી છે જે બિલ્ડીંગના પ્લાન પાસ બાંધકામની મંજૂરી સહિતની વિગતો ચકાસ્યા બાદ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.
સુરેન્દ્રનગરમાં રવિવારે વધુ 14 એકમને તંત્રની નોટીસ
સુરેન્દ્રનગરમાં રવિવારે રજાના દિવસે પણ શહેરના 80 ફુટ રોડ પરની શાળા સીલ કરવાની કાર્યવાહી સાથે સાથે વધુ 14 એકમને ફાયર સેફટી બાબતે નોટીસ અપાઈ છે. જેમાં હોસ્પિટલ, હોટેલ, જીમ સહિતનાઓનો સમાવેશ થાય છે. જાહેરમાં ફાયર સેફટી વગર અને નિયમોને નેવે મુકી ચાલતા એકમોને સીલ કરવાની શરૂઆત થતા અન્ય એકમોના માલિકોમા ફફડાટ ફેલાયો છે. શિક્ષણ વિભાગે શાળાની માન્યતા રદ કરવાનો વર્ષ 2019માં અભિપ્રાય પણ આપ્યો હતો.
શહેરના 80 ફૂટ રોડ પર અત્યાર સુધી ધમધમતી રહેલી શાળાનું રમતગમતનું મેદાન કોમન પ્લોટમાં છે. જે ઉપયોગ કરી શકે નહીં. તેમજ એમા મંદિર છે. શાળામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ માટે જરૂરી શૌચાલયની સુવિધા નથી. તેમજ શાળાની મંજૂરી ફર્સ્ટ, ગ્રાઉન્ડ ફલોર પણ છે. પરંતુ શાળા તેનાથી ઉપરના માળે ચાલે છે. જેની બાંધકામની મંજૂરી જ નથી. આ ઉપરાંત શાળામાં બે સીડી હોવી જોઇએ. અહી એક જ છે. જેના કારણે શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા શાળાની માન્યતા રદ્ કરવાનો પણ વર્ષ 2019માં અભિપ્રાય અપાયો હોવાનું સામે આવ્યુ છે.
શાળાને અગાઉ નોટિસ આપી છતાં બાંધકામ દૂર ન કરાયું
વર્ષ 2020માં વઢવાણ નગરપાલિકા દ્વારા શારદા ગીતા વિદ્યાલયના ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની નોટીસ પાઠવાઇ હતી. પરંતુ આજ સુધી બાંધકામ દૂર ન થતા તંત્રએ શીલ કરી દેતા આજુબાજુના રહીશોએ ગંભીર દુર્ઘટના બને એ પહેલા આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની માંગ કરી છે.
તંત્રની હાજરીમાં સીલ કરાઇ છે.
સુરેન્દ્રનગર ફાયર ટીમના દેવાંગભાઇએ જણાવેલ કે ડેપ્યુટી કલેકટર, મામલતદાર, પાલિકા, જીઇબી,શિક્ષણ વિભાગની ટીમની હાજરીમાં શારદા ગીતા વિદ્યાલય સીલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


