- તરણેતર-કાનપર રોડ પર કાર અડફેટે બાઈકચાલક ઘવાયો
- ઝમર ગામ પાસે કાર ખાઈમાં ખાબકી : બે મહિલા સહિત ત્રણનો બચાવ
- લોખંડનો સામાન ભરીને આવતી રિક્ષાએ એકસેસને ટક્કર મારી હતી
સુરેન્દ્રનગરના રતનપર, મૂળીના તરણેતર-કાનપર રોડ અને લખતરના ઝમર પાસે અકસ્માતના બનાવો બન્યા હતા. જેમાં બેને ઈજાઓ પહોચી છે. જયારે લખતરમાં કાર ખાઈમા ખાબકતા 3 વ્યક્તિનો બચાવ થયો હતો.સુરેન્દ્રનગરના લક્ષ્મીપરામાં રહેતા ઈમરાનઅલી અહેમદઅલી સૈયદ રેલવેના એન્જીનીયરીંગ વિભાગમાં ટ્રેક મેઈનેન્ટર તરીકે ફરજ બજાવે છે. રાત્રે તેઓ એકસેસ સ્કુટર લઈને રતનપર રહેતા તેમના બહેન રીઝવાનાબેનના ઘરે ભાડુઆત વસીમભાઈ રસીદભાઈ મન્સુરીને સાથે લઈ ગયા હતા.
જયાંથી પરત આવતા સમયે રતનપર ઢાળ પાસે સુરેન્દ્રનગર તરફથી લોખંડનો સામાન ભરીને આવતી રિક્ષાએ એકસેસને ટક્કર મારી હતી. જેમાં વસીમભાઈ નીચે પટકાતા તેઓને માથામાં હેમરેજ જેવી ઈજા થઈ હતી. બનાવની જોરાવરનગર પોલીસ મથકે રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ બી.એચ.હેરમા ચલાવી રહ્યા છે. જયારે મૂળી તાલુકાના રાણીપાટ ગામે રહેતા 23 વર્ષીય દીલીપભાઈ ધીરૂભાઈ કુંભાણી મજુરીકામ કરે છે. તેઓ મજુરીકામ કરીને રાતના સમયે ઘરે જતા હતા. ત્યારે તરણેતરથી કાનપર વચ્ચે સામેથી આવતી કારના ચાલકે અકસ્માત સર્જયો હતો. જેમાં દીલીપભાઈને ઈજા થતા સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. બનાવની થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
લખતરના ઝમર પાસે અમદાવાદથી સુરેન્દ્રનગર તરફ પસાર થતી કાર બુધવારે બપોરના સમયે અચાનક પથ્થર સાથે અથડાઈને રોડની નજીક ખાઈમાં ઉતરી ગઈ હતી. આ કારમાં એક પુરૂષ અને બે મહિલાઓ સવાર હતી. જે ત્રણેયનો આબાદ બચાવ થયો હતો.


