- પ્રેમલગ્નના મનદુઃખ બાબતે યુવાનને પાઈપ ઝીંક્યા હતા
- ફરિયાદીની કાકાની દીકરીએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતાં
- પિતા-પુત્રે રેગ્યુલર જામીન પર મુકત થવા સુરેન્દ્રનગર કોર્ટમાં અરજી કરી હતી
થાનમાં નાગેન્દ્રભાઈ ઉર્ફે બાબુભાઈ માણસીભાઈ જેબલીયા રહે છે. ગામની પટેલ સોસાયટીમાં રહેતા પ્રતાપ ઉર્ફે શીવકુ અનકભાઈ ધાધલના 15 વર્ષ પહેલા લગ્ન થયેલ હોય તેની પત્નીને છુટાછેડા આપી નાગેન્દ્રભાઈની કાકાની દીકરી સાથે પાંચેક માસ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા.
જેમાં નાગેન્દ્રભાઈ સહિતનાઓએ આ પ્રેમલગ્નનો વિરોધ કર્યો હતો. આથી પ્રતાપ આ બાબતે સમાધાન કરવા માંગતો હતો. પરંતુ નાગેન્દ્રભાઈની મરજી વિરૂધ્ધ પ્રેમલગ્ન થયા હોઈ તેઓ સમાધાનની ના પાડતા હતા. તા. 25મી જુને સવારના સમયે નાગેન્દ્રભાઈ જોગાશ્રામ પુલ નીચે બાઈક રીપેર કરાવતા હતા. ત્યારે પ્રતાપ ઉર્ફે શિવકુ અનકભાઈ ધાધલ અને તેના પિતા અનક ધાધલે આવી નાગેન્દ્રભાઈને માર મારી ઈજા પહોંચાડી હતી. આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ત્યારે જેલવાસ ભોગવતા પિતા-પુત્રે રેગ્યુલર જામીન પર મુકત થવા સુરેન્દ્રનગર કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલો કરતા જણાવ્યુ કે, અરજદાર આરોપીઓ અને ફરિયાદી એક જ ગામના છે. જો આરોપીઓને જામીન પર મુકત કરાય ફરિયાદી અને સાહેદોને ધમકી આપી સુલેહ શાંતીનો ભંગ થવાની શકયતા છે. આથી ચોથા એડીશનલ સેશન્સ જજ એન.જી.શાહે અરજદાર પિતા-પુત્રની જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી છે.


