- ખેડૂતની માલિકીની જમીન પચાવી પાડી ગેરકાયદેસર ખનીજનું ખનન કરતા હતા
- હાલ જેલવાસ ભોગવતા આરોપી પિતા-પુત્રે રેગ્યુલર જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે ફગાવી
- જેલવાસ ભોગવતા પિતા-પુત્રે રેગ્યુલર જામીન પર મુકત થવા સુરેન્દ્રનગર સ્પેશ્યલ લેન્ડ ગ્રેબીંગ કોર્ટમાં અરજી કરી હતી
સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા કુખ્યાત ખનીજ માફીયા સામે રૂ. 270 કરોડની ખનીજ ચોરી બાદ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારે હાલ જેલવાસ ભોગવતા આરોપી પિતા-પુત્રે રેગ્યુલર જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા સોતાજ યાદવ, તેમના પુત્ર કુલદીપ યાદવ સહિતનાઓ સામે રૂ. 270 કરોડની ખનીજ ચોરીની ફરિયાદ થઈ હતી. આ સાથે એકસપ્લોઝીવ, ખંડણી માંગવી, ગેરકાયદેસર હથીયાર રાખવા સહિતની અલગ-અલગ ફરિયાદ નોંધાઈ હતી. આ દરમીયાન તા. 26 ઓકટોબર 2023ના રોજ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ પણ ફરિયાદ સાયલા પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં સુદામડાના ખેડૂત લાલજીભાઈ રૂદાતલાની ખેતીની જમીન પર સોતાજ યાદવ સહિતનાઓએ ગેરકાયદેસર રીતે કબજો કરી પચાવી પાડી હતી. અને આ જમીનમાં ગેરકાયદેસર ખનીજનું ખનન ચાલુ કર્યુ હતુ. બનાવની જાણ લાલજીભાઈને થતા તેઓ જમીન પર જતા સોતાજ યાદવે સોતાજ યાદવ જયાં પગ મુકે તે જમીન તેની થઈ જાય, આ જમીન મારી છે, હવે અહીં પગ મુકીશ તો લાશ પણ નહી મળે તેવી ધમકી આપી હતી. આ લેન્ડગ્રેબીંગ સહિત અન્ય કેસોમાં ફરાર પિતા-પુત્રની ગત તા. 9-4-24ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અમદાવાદ શહેરના રીવરફ્રન્ટ ખાતેથી ધરપકડ કરી હતી. હાલ જેલવાસ ભોગવતા પિતા-પુત્રે રેગ્યુલર જામીન પર મુકત થવા સુરેન્દ્રનગર સ્પેશ્યલ લેન્ડ ગ્રેબીંગ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ જણાવ્યુ કે, અરજદાર આરોપી પિતા-પુત્ર ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. જો તેઓને જામીન પર મુકત કરાય તો ફરિયાદી અને સાહેદો સાથે સુલેહ ભંગ કરે તેવી શકયતા છે. આથી સુરેન્દ્રનગર લેન્ડ ગ્રેબીંગ કોર્ટના સ્પેશ્યલ જજ એ.આર.દેસાઈએ અરજદાર આરોપીઓ પિતા-પુત્ર સોતાજ યાદવ અને કુલદીપ યાદવની જામીન અરજી નામંજૂર કરી છે.


