- વર્ષ 2018માં માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં ઝડપથી વિનામૂલ્યે સારવાર મળે તે માટે સરકારે યોજના અમલમાં મૂકી હતી
- જિલ્લાની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોએ નવેમ્બર 2022 બાદ કરેલા 1396 કલેઈમના નાણાં જ મળ્યા નથી…!
- જિલ્લામાંથી અનેક ફરિયાદો ઉઠતા જિલ્લા કલેકટરે આપેલા તપાસના આદેશમાં ચોંકાવનારુ સત્ય બહાર આવ્યુ
રાજય સરકારે વર્ષ 2018ના મે માસમાં માર્ગ અકસ્માતોના બનાવોમાં ઈજાગ્રસ્તોને ઝડપથી અને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે ગોલ્ડન અવર સ્કીમ અમલમાં મુકી હતી. જેમાં અકસ્માત સ્થળ નજીકની કોઈપણ હોસ્પિટલમાં બનાવના 48 કલાકમાં ઈજાગ્રસ્તની સારવાર થાય તો તેના નાણાં હોસ્પિટલને સરકાર ચૂકવે છે. પરંતુ ઝાલાવાડમાં નવેમ્બર 2022 પછી થયેલા 1396 કલેઈમના રૂપિયા 2.34 કરોડ રૂપિયા હોસ્પિટલોને આજદિન સુધી મળ્યા નથી. આથી હોસ્પિટલો આ યોજનામાંથી અલગ થઈ જતા હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં આ યોજનાનો હેતુ સરતો નથી.
સમગ્ર રાજયમાં માર્ગ અકસ્માતના બનાવો ચિંતાજનક રીતે બની રહ્યા છે. ત્યારે નજીકની સરકારી હોસ્પિટલોમાં આવા બનાવોમાં ઈજાગ્રસ્તોને સારવાર ન મળે તો ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવતા હતા. જેમાં ઈજાગ્રસ્તોને સારવારની મસમોટી રકમ ચૂકવવી પડતી હતી. ત્યારે રાજયની સંવેદનશીલ સરકારે વર્ષ 2018ના મે માસમાં માર્ગ અકસ્માતના બનાવોમાં ઈજાગ્રસ્તોને ઝડપથી અને વિનામૂલ્યે સારવાર મળે તે માટે ગોલ્ડન અવર યોજના અમલમાં મુકી હતી. આ યોજના મુજબ માર્ગ અકસ્માતોના બનાવોમાં બનાવના 48 કલાક દરમિયાન કોઈ ઈજાગ્રસ્તને ખાનગી કે ટ્રસ્ટ સંચાલીત હોસ્પિટલમાં સારવાર અપાય તો તે સારવારનો રૂ. 50 હજાર સુધીનો ખર્ચ સરકાર ભોગવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ યોજનાની શરૂઆત ખુબ સારી રહી હતી. માર્ગ અકસ્માતના બનાવોમાં લોકોને ઝડપથી સારવાર મળી રહેતી હતી. પરંતુ છેલ્લા થોડા સમયથી આ યોજના હેઠળ જોડાયેલી વિવિધ હોસ્પિટલો અલગ થઈ ગઈ હતી. જેના લીધે ગોલ્ડન અવર યોજનાનો હેતુ સરતો ન હતો. આ અંગે તપાસ કરતા વીવીધ હોસ્પિટટલોએ કરેલા કલેઈમના નાણાં તેઓને લાંબા સમયથી મળ્યા ન હોવાનું સામે આવ્યુ હતુ. જિલ્લા કલેકટર કે.સી.સંપતને આ વાત ધ્યાને આવતા તેઓએ આરોગ્ય વિભાગને આ અંગેની તપાસ સોંપી હતી. જેમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના વડપણ હેઠળ એક ટીમ બનાવી સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં વિવિધ રેકર્ડસની ચકાસણી કરાઈ હતી. ર-3 દિવસની ચાલેલી મેરેથોન તપાસ બાદ નવેમ્બર 2022 પછી વિવિધ હોસ્પિટલોએ કરેલ રૂ. 2.34 કરોડના 1396 કલેઈમ પાસ જ ન થયા હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. કલેકટરે આ તપાસનો રીપોર્ટ સોંપાતા તેઓએ ગાંધી હોસ્પિટલના સીડીએમઓ અને સ્ટાફનો ઉધડો લઈ લીધો હતો અને સીડીએમઓ તથા કર્મીઓના નિવેદન લેવાયા હતા. આટલા લાંબા સમયથી હોસ્પિટલોને કલેઈમ ન ચુકવાયાના બનાવમાં દોષનો ટોપલો કદાચ વર્તમાન સીડીએમઓ પર ઢોળાશે. પરંતુ અગાઉ આ સ્થળે નવેમ્બર-2022 પછી ફરજ પર રહેલા સીડીએમઓ પણ આ બનાવમાં આટલા જ દોષિત હોવાનું આરોગ્ય વિભાગમાં ચર્ચાઈ રહ્યુ છે.


